તમારા માટે, તમારી સાથે, સતત…

તાપી જિલ્લાના ભીંડાની વિદેશમાં વધી માગ, ખેડૂતોની તેજી

હું કેનેડા ભણવા ગયો ત્યારે બિઝનેસ મૅનેજમૅન્ટના અભ્યાસ દરમિયાન મારી અંદર રહેલો ખેડૂતનો દીકરો જાગ્યો અને ભારત પરત ફરી એક્સપોર્ટ હાઉસ શરૃ કરવાનું વિચાર્યું.

0 231
  • કૃષિ – હરીશ ગુર્જર

ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની સ્થિતિ હંમેશાં ચિંતાનો વિષય રહી છે. સતત સરકારને કોસતા ખેડૂતોનો ક્યારેય ઉદ્ધાર થયો નથી, પણ જેમણે સમયની સાથે ખેતીની પદ્ધતિમાં આધુનિકતાનો સમન્વય સાધ્યો છે, તેવા ખેડૂતોના ખેત ઉત્પાદનોની બજારમાં હંમેશાં માગ રહી છે. આજથી પાંચ વર્ષ પહેલાં આદિવાસી જિલ્લા તરીકેની ઓળખ ધરાવતાં તાપી જિલ્લામાંથી ભીંડાની નિકાસની શરૃઆત થઈ અને આજે ખેડૂતો માલામાલ થવા માંડ્યા છે.

મહારાષ્ટ્રને અડીને આવેલા અને એક સમયે સુરત જિલ્લા તરીકે જ ઓળખાતા આજના તાપી જિલ્લામાં ખેતી મુખ્ય વ્યવસાય છે. સુરત જિલ્લાને અડીને આવેલો હોવા છતાં, તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાને બાદ કરતાં આખો જિલ્લો શહેરીકરણથી બચી ગયો છે. રોજગાર માટે તાપી જિલ્લાના યુવાનોને વ્યારા અને સુરત તરફ દોટ મૂકવી પડે છે. કુદરતી સુંદરતાથી ભરપૂર વાતાવરણમાંથી નીકળી યુવાનો સીધા જ સિમેન્ટ-કોક્રીન્ટના જંગલમાં મશીનોની દુનિયામાં પહોંચી જાય છે, પરંતુ હવે ખેડૂતોની નવી પેઢીએ ખેતીને એક નવી દિશા આપી છે. ભીંડા તાપી જિલ્લાનો મુખ્ય પાક છે અને હવે તાપી જિલ્લાના ભીંડા વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે.

તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના ૨૭૦ ખેડૂતો ૬૮૦ ટન ભીંડાની નિકાસ કરે છે. ૨૦૧૫થી નાના પાયે શરૃ થયેલી આ પ્રક્રિયાથી ખેડૂતોને વિદેશી બજાર મળતાં મોટો આર્થિક ફાયદો થયો છે. વિવિધ દેશોની માગ અને આંતરરાષ્ટ્રીય નિયમોને આધારે તાપી જિલ્લાના ખેડૂતોએ ખેતી કરવાની પરંપરાગત પદ્ધતિમાં પણ ફેરફાર કર્યા છે.

૨૦૧૩-૧૪માં તાપી જિલ્લાના બાગાયત વિભાગના ધ્યાન પર આવ્યું કે ડોલવણ, વાલોડ અને વ્યારા તાલુકામાં ખેડૂતો દ્વારા પકવવામાં આવતાં ભીંડા દેશના અન્ય ભીંડા કરતાં અનેક ગણી સારી ગુણવત્તાવાળા છે, પરંતુ તેનો આર્થિક લાભ ખેડૂતોને મળતો ન હતો. મુંબઈ અને નાશિકના વેપારીઓ તાપી જિલ્લાના ખેડૂતો પાસેથી બજારભાવથી માલ ખરીદી તેને ઊંચા ભાવે વિદેશમાં મોકલતાં હતા. ભીંડા ગુજરાતના અને વિદેશમાં નિકાસ મહારાષ્ટ્રથી થતી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા મળતાં લાભો પણ મહારાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓને જ મળતા હતા. તાપી જિલ્લાના નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ જણાવે છે કે ઃ ‘એક્સપોર્ટ ક્વૉલિટીના ભીંડા પકવતાં ખેડૂતોને લાભ મળે તે માટે સૌ પ્રથમ ખેડૂતોનું જોડાણ ભારત સરકારના નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને અપેડા (એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથારિટી) સાથે કરવામાં આવ્યું. બંને વિભાગનાં પ્રમાણપત્રો વગર કોઈ પણ ખેડૂત સીધો પોતાનો માલ વિદેશ મોકલી શકતો નથી. આજે ૩૦૦થી વધુ ખેડૂતો પાસે પ્રમાણપત્રો છે. ત્યાર બાદ અમારી સામે પ્રશ્ન એ હતો કે, ખેડૂતો ખેતી કરે કે એક્સપોર્ટ પર ધ્યાન આપે, પરંતુ હવે અપેડા માન્ય બે એક્સપોર્ટ યુનિટ તાપી જિલ્લામાં સ્થપાયા છે જેનો સીધી ફાયદો ભીંડા પકવતાં ખેડૂતોને થઈ રહ્યો છે. ગુજરાતના બાગાયત વિભાગ અને અપેડાએ તાપી જિલ્લાના ખેડૂતો માટે જરૃરી કાગળિયા કાર્યવાહીને સરળ બનાવી છે, પરિણામે હવે તાપીના ભીંડા માગ મુજબ યુરોપિયન દેશો અને અરબ દેશો સુધી પહોંચી રહ્યા છે.’ રાજ્યનો બાગાયત વિભાગ ખેડૂતોને ખાતર, દવા અને પાક માટેની જાણકારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા પુરી પાડે છે. ત્યાર બાદનું કામ એક્સપોર્ટ યુનિટનું હોય છે. અત્યાર સુધી રાજ્ય બહારના એક્સપોર્ટર ગુજરાતથી માલ લઈને વિદેશ મોકલતા હતા, પરંતુ હવે તાપી જિલ્લાના ખેડૂતોની નવી પેઢીના હિરેન આહીરે આ બીડું પણ ઝડપ્યું છે. કાશી એક્સપોર્ટના નામે ડોલવણ તાલુકાના ધરમપુરા ગામમાં તેમણે પોતાનું હાઉસ તૈયાર કરીને તાપી જિલ્લાના ભીંડાને સીધા વિદેશ પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

Related Posts
1 of 319

કાશી એક્સપોટ્ર્સના સીઈઓ, હિરેન આહીર જણાવે છે કે ઃ ‘મારા પિતાની ૫૦ વીઘા ખેતી છે. જમીન સારી એટલે પાક સારો આવે અને સારી રીતે બધું ચાલતું હતું. હું કેનેડા ભણવા ગયો ત્યારે બિઝનેસ મૅનેજમૅન્ટના અભ્યાસ દરમિયાન મારી અંદર રહેલો ખેડૂતનો દીકરો જાગ્યો અને ભારત પરત ફરી એક્સપોર્ટ હાઉસ શરૃ કરવાનું વિચાર્યું. બે વર્ષ પહેલાં જ પપ્પાને સાથે રાખી મારા ખેતરની આજુબાજુના ખેડૂતોને એકઠા કરી ભીંડા વિદેશ મોકલવાનો વિચાર મૂક્યો અને સૌએ મને સહકાર આપ્યો. આજે મારી સાથે ૧૦૦ ખેડૂતો છે, મારા ખેતર સહિત ૧૦૦ ખેડૂતોના ભીંડા તાપીથી મુંબઈ થઈ ઍરકાર્ગો મારફત હાલમાં કેનેડા અને યુકેમાં જઈ રહ્યાં છે. ઘરઆંગણે જ આ પ્રકારની વ્યવસ્થાને કારણે ખેડૂતોએ માલ તૈયાર થયા બાદ એપીએમસી સુધી જવું પડતું નથી, પણ અમારું વાહન ખેડૂતના ખેતર સુધી જાય છે, તેને પુરેપુરા વજનના પૈસા મળે છે અને એક્સપોર્ટ ક્વૉલિટીના ૧ મણ ભીંડા બજાર કરતાં ૧૦૦ રૃપિયા વધુ ખેડૂતને મળે છે. બીજંુ મહત્ત્વનું એ કે અમે ખેડૂતોને બેંક ખાતામાં નાણા આપીએ છીએ, જેથી ખેડૂતોની બચતમાં પણ વધારો થયો છે.’

તરવરિયા યુવાન હિરેન આહીરે તાપી જિલ્લાના ખેડૂતોનો અભ્યાસ કર્યા બાદ શરૃ કરેલા કામને સારી સફળતા મળી છે. હિરેનની કંપનીને તો ફાયદો થયો જ છે, સાથોસાથ ખેડૂતોને મોટો લાભ થયો છે. ખેડૂતોની નવી પેઢીએ ખેતરમાં બેસી વિદેશમાં વેપારના સ્વપ્નને સાચું ઠરાવતાં, યુવાનો હવે સ્ટેટસવાળા રોજગાર તરીકે ખેતીને જુએ છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખેડૂત નરેન્દ્ર પટેલ જણાવે છે કે ઃ ‘અમે ૧૫-૧૭ વર્ષથી ભીંડા કરીએ છીએ. અમારા વિસ્તારમાં ઉનાળા અને શિયાળા બંને સિઝનમાં ભીંડાની વાવણી થાય છે. ઉનાળામાં ૪૦-૪૫ દિવસે અને શિયાળામાં ૫૦-૫૫ દિવસથી પાકની લણણી શરૃ થાય. બે વર્ષથી સરકારી નિયમો મુજબ ઓછી દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને આવતો પાક જ વિદેશમાં જાય છે. પાક ભલે થોડો ઓછો આવે, પણ આવક વધી ગઈ છે. એક્સપોર્ટ હાઉસમાં પુરે-પુરા માલના વજન જેટલા પૈસા મળે છે અને ક્વૉલિટી બાબતે સતત અમને જાણકારી આપવામાં આવે છે. અમારી આવક દોઢી થઈ ગઈ છે.’

તાપી જિલ્લાના બુહારી તાલુકાના ખેડૂત જિગ્નેશ ભંડારીએ તો, પોતાના જ તાલુકામાં આવેલા એપીએમસીના ડેપોમાં પણ માલ નહીં આપવાનો નિર્ણય લીધો છે. તેઓ ભીંડાની વાવણીથી લલણી સુધી પાકની પૂરતી કાળજી લે છે અને તેના બદલામાં સારા નાણા મળે છે, તો પછી ભીંડા વિદેશમાં જ મોકલું ને, એવું તેમનું કહેવું છે.

હિરેન આહીર કહે છે, ‘જો ખેડૂત પૂરતી કાળજી લે તો તેના ખેતરમાં પાકતાં ભીંડામાંથી ૬૦થી ૮૦ ટકા માલ એક્સપોર્ટ યોગ્ય બની શકે છે. બાકીનો માલ અસોર્ટિંગમાં રીજેક્ટ થયા બાદ લોકલ માર્કેટમાં આવે છે, પણ તેના ૬૦થી ૮૦ ટકા માલમાં જ સારો એવો ફાયદો થાય છે. પરિણામે ખેડૂતો અમારી સાથે જોડાઈ રહ્યા છે. મારા ખેતરમાં જ બનેલા એક્સપોર્ટ હાઉસને કારણે અમે ગામડાંઓના ૩૦થી ૩૫ યુવાનો (જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે)ને રોજગારી આપી શક્યાં છે. ભવિષ્યમાં વિશ્વના અન્ય દેશોની જરૃરિયાત, આપણી ઉત્પાદન ક્ષમતાને આધારે ભીંડા સિવાયના ખેત ઉત્પાદનો પણ વિદેશ મોકલીશું.’
—–.

ખેતરથી વિદેશ સુધીની ભીંડાની સફર…
તાપી જિલ્લામાં હાલમાં ૨ એક્સપોર્ટ હાઉસ બન્યાં છે. જેઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી વિદેશમાં મોકલે છે. તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના ખેતરોમાં ભીંડા છોડ પરથી ઉતારવાના એક દિવસ પહેલાં ખેડૂત એક્સપોર્ટરને ફોન કરીને માહિતી આપે છે. સાંજ સુધીમાં એક્સપોર્ટર પ્લાસ્ટિકના કેરેટ ખેતર સુધી પહોંચાડે છે. અંદાજે એક કેરેટમાં ૨૦ કિલો ભીંડા સમાય છે. ત્યાર બાદ આ ભીંડા એક્સપોર્ટ હાઉસ પર પહોંચે છે, જ્યાં તેનું વજન અને પ્રાયમરી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જેની માહિતી તરત જ ખેડૂતને વૉટ્સઍપ પર આપવામાં આવે છે. ત્યાર બાદ શોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ તૈયાર કરવામાં આવેલા એક્સપોર્ટ હાઉસમાં ભીંડાને પ્રિકૂલિંગની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે ભીંડાને વિદેશ મોકલવાની પ્રક્રિયામાં વહેલું મોડું થાય તો પણ વિદેશમાં ગ્રાહક સુધી ભીંડા પહોંચે ત્યારે ખેતરમાંથી તાજા તોડેલા ભીંડા જેટલા જ ફ્રેશ લાગે છે. ત્યાર બાદ રૅફ્રિજરેટર વાન દ્વારા ભીંડાને અમદાવાદ કે મુંબઈ ઍરપોર્ટથી કાર્ગોમાં મોકલવામાં આવે છે.
——————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »