તમારા માટે, તમારી સાથે, સતત…

ટક્કર એક સબ્જેક્ટની બે ફિલ્મોની

જીવનનું રિમોટ કોઈને આપવું નહીં ઃ  એકતા કપૂર

0 245
  • મૂવીટીવી – હેતલ રાવ

બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો આવે છે જે લગભગ એક વિષય પર જ બનેલી હોય. જેની પટકથા અને અભિનેતા વધુ મજબૂત તે ફિલ્મને સારો પ્રતિસાદ મળે છે. તાજેતરમાં એક જ વિષય પર બનેલી ઉજડા ચમન અને બાલાની ટક્કર થઈ છે.

નાના પાટેકર અને મનીષા કોઇરાલાની ૧૯૯૬માં આવેલી ફિલ્મ ‘અગ્નિ સાક્ષી’ તે સમયમાં ઘણી હિટ સાબિત થઈ હતી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે તેના પછી આવેલી એ જ વિષયની જુહી ચાવલા, રિશિ કપૂર અને અરબાઝ ખાન નિર્મિત ફિલ્મ ‘દરાર’માં દર્શકોનો ઝાઝો રસ જોવા ન મળ્યો. બંને ફિલ્મો એક જ વિષયને પ્રસ્તુત કરતી હતી. ‘દરાર’નું શૂટિંગ અગ્નિ સાક્ષી પહેલાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની રિલીઝ લેટ થવાના કારણે નાના-મનીષા બાજી મારી ગયાં. હવે એ વાત તો જૂની છે, પરંતુ તાજેતરમાં ફરી એકવાર ભૂતકાળ તાજો થયો છે. ‘ઉજડા ચમન’ અને ‘બાલા’ ફિલ્મના કારણે. અભિષેક પાઠકની ફિલ્મ ઉજડા ચમન ગત સપ્તાહમાં રિલીઝ થઈ, પરંતુ દર્શકો પર તે છાપ છોડી નથી શકી. જ્યારે બાલા ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે. વાત એક વિષય કે રિલીઝની નથી વાત છે બંને ફિલ્મ વચ્ચે છેડાયેલા જંગની. આ બંને ફિલ્મોમાં એવા યુવાનની વાત છે જે સમય પહેલાં જ હેર ફોલ (વાળ ખરવા)ની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. જેના કારણે તે સામાજિક, વ્યાવસાયિક અને પર્સનલી ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ઉજડા ચમન કન્નડ ફિલ્મ ઓન્ડુ મોડેયાની રિમિક છે જેના રાઇટ અભિષેક પાઠકે ખરીદ્યા છે. માટે તેને મુંબઈ હાઈકોર્ટમાં બાલા ફિલ્મ સામે કેસ નોંધાવ્યો હતો. તેનું કહેવું છે કે પ્રથમ ફિલ્મ અમારી બની છે. ઉપરાંત ફિલ્મની રિમિક અને વિષયના રાઇટ્સ પણ અમારી પાસે જ છે. બાલા ફિલ્મના લગભગ પંદર જેટલા સીન ઉજડા ચમનમાં દર્શાવેલા હોય તેવા જ છે. જો બાલા ફિલ્મ રિલીઝ થાય તો અમારી ફિલ્મને ફુટેજ નહીં મળે, કારણ કે તે ફિલ્મમાં આયુષ્માન ખુરાના જેવો અભિનેતા છે અને તેનું બજેટ પણ વધુ છે. માટે ફિલ્મની રિલીઝ ડેટ અને વિષયને લઈને કેસ કર્યો. જેના જવાબમાં બાલા ફિલ્મના નિર્માતા દિનેશ વિજાન કહે છે, એક વિષય પર એકથી વધુ ફિલ્મ રજૂ થશે તો દર્શકોને વિવિધતા મળશે અને અમે જે પણ કેસ છે તેનો કાયદાકીય જવાબ આપીશું.  જોકે અંત ભલા તો સબ ભલાની જેમ ઉજડા ચમનના ડાયરેક્ટરે કેસ પરત લીધો છે ‘ને બાલા ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થવા તૈયાર છે.

‘સોનુ કી ટીટૂ કી સ્વીટૂ’ પછી સની સિંહને પ્રથમવાર સોલો સ્ક્રીન મળી હતી, પરંતુ ઉજડા ચમનમાં ચમનનો રોલ નિભાવવામાં તેણે પૂર્ણ સફળતા નથી મેળવી. દર્શકો બાલા ફિલ્મના આયુષ્માનની રાહ જોઈ રહ્યા છે. હવે જોઈએ અત્યાર સુધી હટકે ફિલ્મ આપનારા ખુરાનાની બાલા દર્શકોને કેટલી પસંદ પડે છે.

Related Posts
1 of 258

——–.

જીવનનું રિમોટ કોઈને આપવું નહીં ઃ  એકતા કપૂર
સરોગસીના માધ્યમથી માતૃત્વ ધારણ કરનારી સિંગલ માતા એકતા કપૂર ટેલિવૂડની ક્વિન તરીકે ઓળખાય છે. ટીવી, ફિલ્મો કે વેબ પ્લેટફોર્મ હોય, દરેક ક્ષેત્રે એકતાએ બોલ્ડ અને દર્શકોને જકડી રાખે તેવા કન્ટેનને પીરસ્યું છે, પરંતુ જ્યારે પણ તેને પૂછવામાં આવે છે કે તું લગ્ન ક્યારે કરીશ? ત્યારે તેને સારું નથી લાગતંુ. ૪૪ વર્ષની એકતાનું કહેવું છે કે હું મારા જીવનમાં ઘણી ખુશ છું. કોની સાથે ક્યારે જોડાઈશ તે નિર્ણય મારો હશે. હું કોઈના હાથનું રિમોટ બનવા નથી ઇચ્છતી. મને લાગે છે કે લોકોનું માનવું છે કે મહિલાઓને આગળ વધવા કે ચાલવા માટે કોઈના સહારાની જરૃર પડે છે. મારા અંગત જીવનમાં પણ મને ઘણી વાર પૂછવામાં આવે છે કે કારકિર્દી તો ઠીક છે, પરંતુ લગ્ન ક્યારે કરીશ, આ પ્રશ્ન મને નથી પસંદ, કારણ કે મારે કપડાં કે કોઈ વસ્તુ ખરીદવી હશે તો તેની જવાબદારી મારે જાતે જ લેવી પડશે. આપણા દરેકના જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે આપણે કંઈક મેળવવું હોય પણ તે શક્ય ન બને. આ ઉપરાંત આપણને બાળપણથી જ વિશ્વાસ અપાવાય છે કે આપણા જીવનમાં રાજકુમાર આવશે અને તે જીવન સારું બનાવશે, પણ હું થોડું જુદું વિચારું છું. મારાં લગ્ન, મારા નિર્ણય અને મારા સપના બધંુ હું નક્કી કરીશ, કોઈ પણ વ્યક્તિનું રિમોટ નહીં.
——–.

જયલલિતાના રોલ માટે કંગનાની મુશ્કેલી વધી
કંગના રાણાવતની ફિલ્મ હોય અને તેને મુશ્કેલી ન પડે તેવંુ ભાગ્યે જ બને. તામિલનાડુના પૂર્વ સી.એમ. જયલલિતા પર બનવા જઈ રહેલી ફિલ્મ થલાઇવીમાં મુખ્ય ભૂમિકા કંગના કરવાની છે, જેની તૈયારી પણ શરૃ થઈ ગઈ છે, પણ જયલલિતાની ભત્રીજી દીપાએ મદ્રાસ હાઈકોર્ટમાં ફિલ્મ પર સ્ટે લાવવાની માગ કરી છે. પોતાની એફિડેવિટમાં દીપાએ કહ્યંુ છે કે, થલાઇવી ફિલ્મના ડાયરેક્ટર એ.એલ. વિજયે ફિલ્મ માટે મારી મંજૂરી નથી લીધી. તેના કહ્યા પ્રમાણે ફિલ્મની ઘણી ઘટનાઓ અને તથ્યો જયલલિતાને ખોટી રીતે દર્શાવી શકે છે. માટે ફિલ્મમાં કોર્ટ દખલગીરી કરે અને નિશ્ચિત કરે કે ફિલ્મ મેકર્સ ફિલ્મમાં સાચી જ ઘટનાઓ અને તથ્યોને દર્શાવશે. લાંબા સમયથી ફિલ્મની તૈયારીઓ કરતી કંગનાને આ વાતથી મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે તે કોઈ પણ સંજોગોમાં જયલલિતાના રોલને મિસ કરવા નથી માગતી. હવે જોઈએ કંગનાની કિસ્મત તેને કેટલો સપોર્ટ કરે છે.

——————————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »