તમારા માટે, તમારી સાથે, સતત…

ધર્મક્ષેત્રની દૃષ્ટિએ અર્થક્ષેત્ર!

'તમે આ બધી સંસ્થાઓને પીઠ કહેવાને બદલે 'પીઠાં' કહો છો?'

0 836

ગયા અઠવાડિયે મને એક સુવિચાર આવ્યો. જોકે સજ્જન માણસોને રોજેરોજ સુવિચારો જ આવતા હોય! પણ કેટલાક પોતાના સુવિચારોને જાહેર નથી કરતા. એમનામાં અને મારામાં બસ આટલો જ ફેર! હું તો પેલ્લેથી જ સંગ્રહખોરીનો વિરોધી. વિચારો ગમે તેટલા સારા આવતા હોય તો પણ એનો સંઘરો તો નહીં જ કરવાનો. આપણા સાંઈકવિ મકરંદભાઈએ કહ્યું છે ને કે ઃ ‘ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ!’ આમેય મને વહેંચવામાં ઘણો આનંદ આવે છે, પૈસા સિવાય.

મને એવો સુપવિત્ર વિચાર આવ્યો કે સા…લું, આ દેશમાં જીવવું તો સાધુ થઈને જ જીવવું. લીલાલહેર બધ્ધી જ અને આપણા તરફ કોઈ આંગળી પણ ના કરે!

અમારા એક મિત્ર છે જે નરસિંહધર્મ પાળે છે. ‘સત્ય, અહિંસા, ચોરી ન કરવી વણજોઈતું નહીં સંઘરવું.’ એ એમનો જીવન મંત્ર છે. એકવાર મેં એમને ‘હે સજ્જન’ એમ કહીને બોલાવ્યા, તો એમને ખરાબ લાગ્યું. મને એમણે ધમકાવી નાખ્યો – “તમારે મને સજ્જન નહીં કહેવાનો, મેં તમારું કંઈ બગાડ્યું છે? બોલાવવો હોય તો મને વૈષ્ણવજન કહીને બોલાવવો, હું નરસિંહધર્મ પાળું છું. તમને કદાચ ખબર ના હોય તમારી બુદ્ધિની આળસને લીધે, પણ હું તમને જણાવી દઉં કે છેલ્લા દોઢ-બે મહિનાથી મેં કથાકલા શરૃ કરી છે. પહેલાં હું કથા સાંભળવા જતો ત્યારે ‘સજ્જન’ હતો… પણ પછી જ્યારથી મેં પોતે જ મારો ઉદ્ધાર કરવા સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવાનું વિચાર્યું અને કથાકલા કરવાનું શરૃ કર્યું ત્યારથી હવે હું ‘વૈષ્ણવજન’ બન્યો છું અને ‘વૈષ્ણવજન’ તરીકે ઓળખાઉં છું અન્ડરસ્ટેન્ડ?”

‘અરે!’ મેં બેવડા આશ્ચર્યથી કહ્યું, ‘તમે તો અંગ્રેજી પણ બોલો છો!’

‘સો વ્હોટ?’ વૈષ્ણવજને કપાળમાં ત્રણ રેખાઓ ઉપસાવીને કહ્યું.

‘કથાકલાને હું ભાષાભેદમાંથી બહાર લાવવા માંગું છું. મારો પ્રયત્ન છે કે કથાકલાને ઇન્ટરનેશનલ ફેઇમ આપી સૌ એન.આર.આઇ.ઓનો મોક્ષ કરવો.’

‘અરે સાહેબ…’

‘હે વત્સ (એટલે કે હે ઇડિયટ!)’ મને બોલતાં અટકાવી એમણે કહ્યું, “મને સાહેબ નહીં કહેવાનો, ‘વૈષ્ણવ શિરોમણિ’ કે પછી ‘શ્રીશ્રીસંતશ્રી’ કે પછી ‘૧૧૧૧ પીઠાધીશ’ કહીને બોલાવશો તો ગમશે. હવે હું માત્ર સાહેબ નથી, એનાથી કંઈક ઉપર છું.”

‘૧૧૧૧ પીઠાધીશ એટલે શું?’ મેં જિજ્ઞાસાવશ પૂછ્યું.

‘આ મારી નવી ઓળખ છે,’ વૈષ્ણવજને આંખો બંધ કરીને કહ્યું, ‘મારી કથાકલાનું આયોજન અનેક પીઠો કરે છે. જેમાં વિદ્યાપીઠ, દાણાપીઠ, કાગડાપીઠ, શક્તિપીઠ, ભક્તિપીઠ, સત્તાપીઠ, અર્થપીઠ… અને મારા સંસારી મિત્ર શબ્દપ્રીતે સ્થાપેલી શબ્દપીઠ જેવાં અનેક પીઠાં છે… હું કેટકેટલાંને ગણાવું?’

‘તમે આ બધી સંસ્થાઓને પીઠ કહેવાને બદલે ‘પીઠાં’ કહો છો?’

‘મેં પહેલાં જ તમને કહ્યું કે, હું કશાય ભેદભાવમાં માનતો નથી. દારૃપીઠાનો માણસ પણ મારી કથાકલાનું આયોજન કરી શકે છે. મારે તો ગમે તેમ કરીને પણ આ લોકોનો મોક્ષ કરાવવો છે.’

‘મોક્ષ?’

‘હા, વિદ્યાપીઠના માણસને વિદ્યામાંથી, દાણાપીઠના માણસને અનાજમાંથી, કાગડાપીઠના માણસને શ્રાદ્ધમાંથી, શક્તિપીઠના માણસને દાદાગીરીમાંથી, ભક્તિપીઠના માણસને ભજનમાંથી, સત્તાપીઠના માણસને સત્તામાંથી અર્થપીઠના માણસને ‘અર્થ’ના અનર્થમાંથી અને શબ્દપીઠના માણસને શબ્દમાંથી મુક્ત કરવો છે. એ તમામે તમામનાં બંધનો હું સ્વીકારી લઈશ, પણ એમને તો મારે એમની પીઠમાંથી મુક્ત કરવા છે. મારી કથાકલાનો આ મુખ્ય હેતુ છે.’

‘બાપજી…’ મેં સહેજ અટકીને કહ્યું, ‘તમને બાપજી કહું તો વાંધો નહીં ને?’

‘સહેજ પણ નહીં,’ વૈષ્ણવજને કહ્યું, “જે શ્રદ્ધા, આસ્થા, નિકટતા અને વિશ્વાસ ‘બાપજી’ શબ્દમાં છે એ બીજા કશાયમાં નથી. અને આવું હું પૂ. બાપુનાં પુસ્તકો વાંચીને જ કહી શકું! મેં ‘સત્યના પ્રયોગો’ વાંચ્યા છે. તો હા, તમે શું કહેતા’તા?”

‘હા,’ યાદ કરીને મેં કહ્યું, “હું એમ પૂછતો’તો કે તમે વારંવાર ‘કથાકલા’, ‘કથાકલા’ એમ બોલો છો… તો કથાકલા એટલે શું?”

‘તમે કથ્થકલી શબ્દ સાંભળ્યો છે? એ એક પ્રકારનું નૃત્ય છે! મારી કથામાં અવારનવાર નૃત્ય પણ આવે છે… બીજા બધા કથાકારોની કથામાં શ્રોતાઓ ક્યારેક ઊભા થઈને નૃત્ય કરી લે છે, પણ મારી કથામાં શ્રોતા નહીં, હું પોતે જ સ્વયંભૂપણે નૃત્ય કરી લેતો હોઉં છું. કશુંક નવું કરવું એ મારો ધાર્મિક ધર્મ છે.’

‘ધાર્મિક ધર્મ? શું ધર્મ પણ ધાર્મિક હોઈ શકે?’

‘હોઈ શકે. આ મારો પર્સનલ ધર્મ છે. આગળ બોલો.’

‘તમે સંસાર છોડી દીધો છે બાપજી?’

‘પહેલો સંસાર છોડી દીધો છે અને બીજા સંસારની જવાબદારી નિભાવવા હું કથાકલા કરું છું.’

‘પહેલો સંસાર? હું કંઈ સમજ્યો નહીં બાપજી!’

‘પહેલી પત્ની મને છોડીને જતી રહી એ પહેલો સંસાર અને હવે આ બીજી જતી નથી એ મારો બીજો સંસાર… આજ જશે કાલે જશે એમ વિચારતાં વિચારતાં સાત આઠ વરસ થઈ ગયાં… ભગવાનની લીલાનો પાર કોઈ પામી શક્યું છે? એની કૃપાથી બે સંતાનો થયાં… જવાબદારી વધવા માંડી… છેવટે એની જ મરજીથી કથાકલાની શરૃઆત કરી.’

Related Posts
1 of 277

“તમે ‘એની મરજી’ એમ કોના માટે કહો છો?”

“સંસારમાં રહેલા દરેક પતિ માટે પોતાની પત્ની જ પોતાનો ભગવાન કહેવાય. ‘એની’ મરજી વિરુદ્ધ ઘરની ચીજવસ્તુય ન ફરકે. પહેલી પત્ની મને છોડીને જતી ન રહી હોત તો આજે હું કરોડપતિ હોત, પણ વાંધો નહીં, આ બીજી પણ કંઈ કમ નથી… એના પીઠબળે આ કથાકલાના માર્ગે હું વળ્યો છું… બે ચાર વર્ષમાં ફરી પાછો કરોડપતિ થઈ જઈશ.”

‘કરોડપતિ?’ મેં આશ્ચર્યથી પૂછ્યું, ‘એક વૈષ્ણવજન થઈને, એક કથાકલાકાર બનીને તમે કરોડપતિ બનવાની ઇચ્છા રાખો છો?!’

‘ઇચ્છા નથી રાખતો વત્સ! એક સપનું રાખ્યું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે માણસે નાનું મોટું કોઈ ને કોઈ ડિઝાઇનનું એકાદ સપનું તો રાખવું જોઈએ, કારણ કે સપના વગરનું જીવન મંજિલ વગરના રસ્તા જેવું કહેવાય!’

‘તમે શબ્દરમત સારી કરો છો હોં!’

“હે વત્સ! ‘અર્થ’ની રમત માટે શબ્દરમત અનિવાર્ય છે. અમારો ધર્મ કહે છે સત્ય બોલવું (પણ આપણને નુકસાન થાય તો નહીં!), અહિંસા પાળવી (જો આપણા પર કોઈ પ્રહાર કરવા આવે એને આવું સમજાવવું!) ચોરી નહીં કરવી (એ પણ જાત સિવાય પૂરા જગતને અમે સમજાવતા હોઈએ છીએ!) અને વણજોઈતું નહીં સંઘરવું. (એટલે જ તો મારી પહેલી પત્નીએ મને સંઘર્યો નહીં અને બીજીને હું સંઘરવા માગતો નથી, પણ એ

સંગ્રહવૃત્તિમાં માનતી રહી છે!)”

‘બાપજી, મેં તો હમણા હમણા એવું સાંભળ્યું છે કે તમે અમુક પ્રકારના શ્રીમંત લોકોના બ્લેકના પૈસાને વ્હાઇટમાં ફેરવી આપવાનું કામ શરૃ કર્યું છે! આ સાચી વાત છે?’

‘તદ્દન સાચી વાત છે!’ બાપજીએ સહજતાથી કહ્યું, ‘અમારું તો કામ જ છે બ્લેકને વ્હાઇટમાં ફેરવવાનું, મતલબ કે… અંધકારને અજવાળામાં ફેરવવાનું, અધર્મને ધર્મમાં ફેરવવાનું અનીતિને નીતિમાં, અસત્યને સત્યમાં એમ કાળાને ધોળામાં પરિવર્તિત કરવું એ અમારો ઉપક્રમ છે! તને ખબર કદાચ નહીં હોય કે સરકારી તંત્ર ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવે છે એ જ રીતે અમે કથાકલાની ફી… મતલબ કે દક્ષિણા લઈને બ્લેકને વ્હાઇટમાં પરિવર્તિત કરીએ છીએ. સત્કાર્ય ક્યારેય ખોટું નથી હોતું.’

‘પણ બાપજી, તમે તો બે નંબરના પૈસાને પણ એક નંબરના બનાવી દો છો, શું એ વાત પણ સાચી છે?’

“હે વત્સ! તને હજીય શંકા છે? તું શંકામાંથી મુક્ત થા… વેદોમાં ક્યાંક ‘તુલસીદાસે’ લખ્યું છે કે ‘સંશ્યાત્મા વિનશ્યતિ’ અર્થાત્ જેનો આત્મા શંકા કરે છે એનો નાશ થાય છે.”

‘આવું તુલસીદાસે નથી કહ્યું.’

‘મને ખબર છે વત્સ! પણ તને એ ખબર નથી કે ઉરટ્ઠં ૈજ ંરીિી ૈહ ટ્ઠ હટ્ઠદ્બી?’

‘પણ બાપજી, વેદોમાં તુલસીદાસે નથી લખ્યું, એમાં તો…’

‘અરે વત્સ! મેં પહેલાં પણ તને કહ્યું છે કે હું કોઈ જ પ્રકારના ભેદભાવમાં માનતો નથી. તુલસીદાસ હોય કે કોઈ પણ દાસ હોય, મારે મન તો સૌ એક સરખા છે.’

ધર્મક્ષેત્રની દૃષ્ટિએ અર્થક્ષેત્ર!

‘તમે મારો જવાબ ના આપ્યો.’

‘ક્યો વત્સ?’

‘બે નંબરના પૈસાને એક નંબરમાં ફેરવવાનો…’

‘એ તો મારાથી તને ન કહેવાય, એ સહેજ કૉન્ફિડેન્શિયલ છે અને તારે જાણીને શુંં કામ છે? પૈસાનો આટલો બધો મોહ સારો નહીં. બોલ, બીજું કંઈ પૂછવું છે?’

‘બાપજી,’ મેં સહેજ આજુબાજુ જોઈને ધીમેથી પૂછ્યું, ‘બ્લેકના વ્હાઇટ કરવાનું કમિશન કેટલા ટકા લો છો?’

“કમિશન? છી, છી, છી છી… ધર્મક્ષેત્રમાં ‘મિશન’ હોય, ‘કમિશન’ના હોય ઇડિયટ… અમે તો જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છીએ.”

‘પણ કમિશન તો… આઇમીન મિશન તો તમારું જ હોય છે ને?’

‘હે વત્સ! પેલી પંક્તિ તેં સાંભળી છે? – સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે! એ જ રીતે જગતનું કલ્યાણ કરતાં પહેલાં અમારે ખુદનું કલ્યાણ કરવું પડે. અમારી ધર્મયાત્રા સ્વથી સર્વ તરફ અને જાતથી જગત તરફની છે! અમે સાધુ છીએ, અમે તમને કહીએ એમ કરો અમે કરીએ એવું ના કરો, ફસાઈ જશો.’

સત્સંગ કરીને હું મારા ઘર તરફ જઈ રહ્યો’તો ત્યારે મને એક સુ-વિચાર આવ્યો ઃ બસ, હવે તો સાધુ થઈને જીવવું છે, માણસ થઈને ક્યાં સુધી ડફણા ખાવાં..?

 

Leave A Reply

Your email address will not be published.

Translate »