તમારા માટે, તમારી સાથે, સતત…

અસલ નાયકોની શૌર્યગાથા ‘કેસરી’

કંગના જયલલિતાની બાયોપિક કરશે

0 190

મૂવીટીવી – હેતલ રાવ

મલ્ટિપ્લેક્સમાં કેસરી ફિલ્મ ચાલી રહી હોય ત્યારે ભાગ્ય જ કોઈ એવું હશે જેને પોતાના દેશ પર ગર્વ ન થાય. આજ મેરી પગડી ભી કેસરી, જો બહેગા મેરા લહુ ભી કેસરી, ઔર મેરા જવાબ ભી કેસરી. જ્યારે અક્ષયકુમાર આ ડાયલોગ બોલે છે ત્યારે સિનેમાઘરોમાં બેઠેલી દરેક વ્યક્તિ જાણે કેસરી રંગમાં રંગાઈ જાય છે. ૨૧ શીખ કેવી રીતે દસ હજાર દુશ્મનોને ધૂળ ચટાવે છે તેની સત્યગાથા ફિલ્મમાં જોવા મળે છે.

કેસરી ફિલ્મની સફળતાને શબ્દોમાં વર્ણી ન શકાય, પરંતુ ટ્રેન્ડ વિશ્લેષક તરણ આદર્શ એક શબ્દમાં ફિલ્મની સમીક્ષા કરતા કહે છે કે, બેહતરીન કરાર એટલે કેસરી. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, આ ફિલ્મ અક્ષયકુમારની કારકિર્દીની બેસ્ટ ફિલ્મ છે. તો અનુરાગ સિંહનું ડાયરેક્શન કમાલનું છે. એકવાર તો આ ફિલ્મ જોવી જ જોઈએ. જ્યારે બોક્સ ઓફિસના સંપાદક વજીર સિંહ કહે છે, કેસરી ફિલ્મમાં સન્માન અને સાહસને અદ્ભુત રીતે બતાવવામાં આવ્યું છે. ભારતીય ઇતિહાસમાં એવા ઘણા યુદ્ધ છે જે લોકોથી અજાણ્યા છે. જેને સારી રીતે સામે લાવવાની જરૃર છે. કેસરીમાં અક્ષયની પ્રતિભા સુંદર રીતે બતાવવામાં આવી છે. પોતાની હાજરી તે દર્શકો સુધી પહોંચાડવામાં સફળ નિવડ્યા છે. ફિલ્મના પ્રમોશન પછી દર્શકો આ યુદ્ધ વિશે જાણવા ઉત્સુક હતા. ક્યારે અને કેવી રીતે આ ઘટના બની તેનો જવાબ મેળવવા દર્શકો સિનેમાઘર સુધી જરૃર જશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણકાર અતુલ મોહન કહે છે કે કેસરી રિલીઝ થઈ તે પહેલાં હું વિદેશયાત્રા પર હતો, ત્યાં પણ આ ફિલ્મને લઈને લોકોમાં આતુરતા જોવા મળી હતી. ફિલ્મની પ્રશંસા થઈ રહી હતી. અક્ષય પોતાની ફિલ્મમાં જીવ રેડી દે છે અને આ ફિલ્મ પછી ફરી એકવાર એ વાત સાચી ઠરી છે. દેશભક્તિની આ ફિલ્મ ભારતની અખંડતાની છબી સ્પષ્ટ કરે છે. ફિલ્મની સ્ટોરીમાં દેશભક્તિ છલોછલ જોવા મળે છે.

૧૨ ડિસેમ્બર, ૧૮૯૭માં ભારતની ઉત્તર પશ્મિમી સીમા (હાલમાં પાકિસ્તાનનો ખૈબર પખ્તુનાવા પ્રાંત)માં થયેલી સારાગઢીનું યુદ્ધ ભારત જ નહીં, પરંતુ વિશ્વ ઇતિહાસની ગૌરવપૂર્ણ ગાથાઓમાંથી એક છે. આ યુદ્ધમાં ૨૧ શીખ અને ૬૦૦ અફઘાની મરી ગયા હતા, પરંતુ આ શૌરવગાથા વિશે ઘણા ઓછા ભારતીયોને જાણ છે. હવાલદાર ઇશર સિંહ (અક્ષયકુમાર) અને તેનો સાથી ગુલાબ સિંહ (વિક્રમ કોચર) અફઘાનિસ્તાન અને ભારતની સીમા પર આવેલા ગુલિસ્તાન કિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે. આ કિલ્લા પર અડ્ડો જમાવવા માટે વારંવાર અફઘાની હુમલો કરે છે, પરંતુ તેમને સફળતા મળતી નથી. એક દિવસ કેટલાક અફઘાનીઓ એક મહિલાને મોતની સજા આપી રહ્યા હોય છે, કારણ કે તે પતિ સાથે રહેવા નથી માગતી. ઇશર પોતાના અંગ્રેજ અધિકારીનો આદેશ માનતો નથી અને મહિલાની રક્ષા કરે છે  જેના કારણે તેને સારાગઢી મોકલી દેવામાં આવે છે. બીજી બાજુ ઇશરના વર્તનથી ગુસ્સામાં આવેલો મૌલવી અફઘાન સરદારો, ગુલબાદશાહ ખાન અને ખાન મસૂદ સાથે મળીને સારાગઢી-ગુલિસ્તાન અને લોકાર્ટ કિલ્લા પર ૧૨ ડિસેમ્બરે હુમલો કરે છે. ત્યાં હાજર શીખોને આત્મસમર્પણ માટે કહે છે, પરંતુ શીખ તૈયાર નથી થતા. અંતે દસ હજાર અફઘાન સામે ઇશરના નેતૃત્વમાં શીખ સૈનિકો લડવાનું નક્કી કરે છે.

Related Posts
1 of 258

ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી સારી છે. યુદ્ધમાં  ફિલ્માંકન કરવામાં આવ્યંુ છે છતાં તે હકીકત લાગે છે. સ્ટોરીની સાથે લાગણીને એ રીતે વ્યક્ત કરવામાં આવી છે કે ફિલ્મ દર્શકોના દિલ દિમાગમાં ઘર કરી લે છે. ફિલ્મની સિનેમોટોગ્રાફી બેસ્ટ છે. ફિલ્મના દરેક પાત્રએ પોતાનો બેસ્ટ અભિનય આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ જોઈને બહાર આવે ત્યારે દર્શકોના મનમાં પંક્તિઓ ગુંજવા લાગે છે. શૂરા સો પહચાનીયે, જો લડે દિન કે હિત, પુર્જા પુર્જા કટ મરે કબહું છોડે ના ખેત. ફિલ્મ પોતાની વાત પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં સફળ નિવડી છે. ફિલ્મોમાં વધારે રસ ના હોય તેવા લોકોએ પણ દેશમાં બનેલી ગરિમાપૂર્ણ ગાથાને જોવા એકવાર તો આ ફિલ્મ જોવી જ રહી.
—————–

કંગના જયલલિતાની બાયોપિક કરશે
મણિકર્ણિકામાં લક્ષ્મીબાઈનો રોલ કરીને વાહવાહી લૂંટનારી કંગના રાણાવત જયલલિતાના જીવન પર આધારિત બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મ તમિલમાં થલાયવી અને હિન્દીમાં જયા નામથી બની રહી છે. કંગનાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, જયલલિતા રાજનીતિમાં પણ સફળ રહ્યાં. આ રોલ કરવાની તક મળી તે મારા માટે મોટી વાત છે. કંગના આ ફિલ્મ માટે ૨૪ કરોડ ફી લેવાની છે. જે અત્યાર સુધીની સૌથી વધુ ફી હશે. બોલિવૂડમાં આટલી ફી લઈને કામ કરનાર કંગના પ્રથમ અભિનેત્રી બનશે. લક્ષ્મીબાઈની જેમ જયલલિતાનો જાદુ કંગના ચલાવી શકે છે કે કેમ તે ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડશે.
—————–

અક્કી-કૈટ વર્ષો પછી ફરી જોડી જમાવશે
બોલિવૂડની હિટ જોડીમાં જેની ગણના થાય છે તેમાંથી એક અક્ષયકુમાર અને કેટરીના કૈફ છે. જે વર્ષો પછી સાથે ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. હમકો દીવાના કર ગયે, સિંઘ ઇઝ કિંગ, તીસ મારખાં, નમસ્તે લંડન, વેલકમ અને દે ધના ધન જેવી હિટ ફિલ્મો આપનાર આ જોડી છેલ્લાં નવ વર્ષથી સાથે જોવા નથી મળી. ત્યારે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં કૈટ અને અક્કી સાથે કામ કરશે. સૂર્યવંશી માટે પહેલા જેકલીન ફર્નાન્ડિઝ પર પસંદગી ઉતારવામાં આવી હતી, પરંતુ હવે ચર્ચા પ્રમાણે ફિલ્મમાં અક્ષયની અભિનેત્રી કેટરીના બનશે. ૨૦૨૦માં ઈદ પર રજૂ થનારી એક્શન ફિલ્મ સૂર્યવંશી એક જ શિડ્યુલમાં તૈયાર થશે.
—————–

દીયા બાતીની સંધ્યા વહુની  વાપસી
સ્ટાર પ્લસની લોકપ્રિય ધારાવાહિક દીયા ઔર બાતીમાં સંધ્યા રાઠીનો રોલ કરી ઘર ઘરમાં જાણીતી બનેલી દીપિકા સિંહ ફરીવાર ટીવી પરદે પરત ફરી રહી છે. ૨૦૧૪માં નિર્માતા રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કરી ઠરીઠામ થયેલી દીપિકા ૨૦૧૭માં દીકરા સોહમના જન્મ પછી ટેલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ હવે પોતાના પ્રેક્ષકો માટે ફરી કામ કરશે. બાલાજી ટેલિફિલ્મની સિરિયલ કવચ-કાલી શક્તિયોં સેની બીજી સિઝનમાં તે લીડ રોલમાં જોવા મળશે. સિરિયલની પહેલી સિઝનમાં મોના સિંહ, વિવેક દહિયા અને મહેક ચહલે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જ્યારે બીજી સિઝનમાં દીપિકા જોવા મળશે. દીકરાના જન્મ પછી પરિવાર અને તેના ઉછેરમાં વ્યસ્ત બનેલી દીપિકા બે વર્ષ પછી ટીવી પરદે પુનરાગમન કરશે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »