તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકારણ અને આપરાધિક રેકોર્ડ ધરાવતા નેતાઓનું કૉકટૅલ

સર્વોચ્ચ અદાલતે દાગી નેતાઓના સંદર્ભમાં મહત્ત્વના નિર્દેશો આપ્યા

0 342
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

જુલાઈ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સજાયાફ્તા (સજા પામેલા) સાંસદો અને વિધાનસભ્યોને સભ્યપદ માટે અને ચૂંટણી લડવા માટે ગેરલાયક જાહેર કરવા, પરંતુ સંસદમાંના ભ્રષ્ટ અને ગુંડા તત્ત્વો ઇચ્છતા હતા કે સર્વોચ્ચ અદાલતના હુકમનો અમલ થવો ના જોઈએ. આવો આગ્રહ રાખનારાઓમાં લાલુપ્રસાદ, માયાવતી અને મુલાયમ સિંહ વગેરે હતાં. કોંગ્રેસની પણ એવી જ ઇચ્છા હતી, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ થાય તો કોંગ્રેસના પોતાના અને ટેકેદાર પક્ષોના ઘણા વિધાયકો અને સાંસદો ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે તેમ હતા. માથે રાષ્ટ્રીય ચૂંટણીઓ આવી રહી હતી અને ત્યાર પછીનાં વરસોમાં દાગી સભ્યો અને ઉમેદવારોના વિષયમાં ભાજપની રીતભાત જોતાં આજે સમજાય છે કે વટહુકમ આવવાનો હતો તે બાબતમાં અંદરથી ભાજપ પણ રાજી હશે.

સપ્ટેમ્બર ૨૦૧૩માં રાહુલ ગાંધીએ મનમોહન સિંહ કેબિનેટ દ્વારા પારિત થયેલો વટહુકમ પત્રકાર પરિષદમાં ફાડી નાખ્યો હતો. સૂચિત વટહુકમ સામે દેશ અને મીડિયા ક્રોધે ભરાયા હતા. કોંગ્રેસના અજય માકન પત્રકારોને બોલાવીને વટહુકમમાં રહેલા સદ્ગુણો જણાવી રહ્યા હતા ત્યારે અચાનક સ્ટંટમેન માફક રજૂ થઈ વટહુકમની નકલ ફાડી  હતી. ‘નોનસેન્સ’ હુકમનું ખરું સ્થાન કચરા ટોપલી ગણાવ્યું. અજય માકન થોડી વાર બાઘા બની ગયા. પછી બોલ્યા કે રાહુલજીને વટહુકમ કચરા ટોપલીમાં પધરાવવા જેવો લાગે છે તો તે જરૃર એવો જ હશે.

જુલાઈ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સજાયાફ્તા (સજા પામેલા) સાંસદો અને વિધાનસભ્યોને સભ્યપદ માટે અને ચૂંટણી લડવા માટે ગેરલાયક જાહેર કરવા, પરંતુ સંસદમાંના ભ્રષ્ટ અને ગુંડા તત્ત્વો ઇચ્છતા હતા કે સર્વોચ્ચ અદાલતના હુકમનો અમલ થવો ના જોઈએ. આવો આગ્રહ રાખનારાઓમાં લાલુપ્રસાદ, માયાવતી અને મુલાયમ સિંહ વગેરે હતાં. કોંગ્રેસની પણ એવી જ ઇચ્છા હતી, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ થાય તો કોંગ્રેસના પોતાના અને ટેકેદાર પક્ષોના ઘણા વિધાયકો અને સાંસદો ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે તેમ હતા. માથે રાષ્ટ્રીય ચૂંટણીઓ આવી રહી હતી અને ત્યાર પછીનાં વરસોમાં દાગી સભ્યો અને ઉમેદવારોના વિષયમાં ભાજપની રીતભાત જોતાં આજે સમજાય છે કે વટહુકમ આવવાનો હતો તે બાબતમાં અંદરથી ભાજપ પણ રાજી હશે. જોકે સુષ્મા સ્વરાજ ઇત્યાદિ તેનો પુરજોર વિરોધ કરી રહ્યાં હતાં. વટહુકમ આવે કે રદ થાય બંને સ્થિતિમાં ભાજપને ફાયદો હતો. કોંગ્રેસની બગડેલી દાનતની પ્રજા નોંધ લેવાની જ હતી.

સર્વોચ્ચ અદાલતના સ્તુત્ય ચુકાદાઓ વિરુદ્ધ કાનૂનો ઘડીને બંધારણની અને પ્રજાની ભાવનાઓનો કોંગ્રેસે વારંવાર સમૂળગો અનાદર કર્યો છે અને તેમાં કોંગ્રેસે મેળવવાને બદલે ગુમાવવાનું જ આવ્યું છે. ટૂંકી દૃષ્ટિ અને સ્વાર્થસાધના મૂરખ લોકોમાં વધુ જોવા મળતાં હોય છે. શાહબાનો કેસ પણ આ હકીકતનો જીવતો જાગતો પુરાવો છે કે કોંગ્રેસને બંધારણ કરતાં મતબેન્ક અને સત્તા વધુ પ્રિય છે અને આજકાલ રાહુલ, પ્રિયંકા, સોનિયા અને રોબર્ટ (હા, રોબર્ટ પણ) બંધારણ બચાવવાના નામે કાંઉ, કાંઉ, કાંઉ કરી રહ્યાં છે અને તેને કાગારોળ કહેવાય! કોણ તેને સાચી માનશે?

કેબિનેટમાં વટહુકમ માટેનો ઠરાવ પસાર થયો ત્યારે પી. ચિદમ્બરમ્ અને કપિલ સિબ્બલે કેબિનેટ મિટિંગમાં લાંબી અને વિગતવાર રજૂઆતો કરીને વટહુકમ ખૂબ જરૃરી છે તે સમજાવ્યું હતું. અફકોર્સ લોકશાહી માટે જ! આજે સફેદ વસ્ત્રોમાં પ્રમાણિક, બૌદ્ધિક અને બંધારણ માટે નિષ્ઠાવાન હોવાનો ડોળ ઘાલીને ફરતા પી. ચિદમ્બરમ ૨૦૧૩માં કેવો રંગ ધરાવતા હતા અને કેવો રાગ આલાપતા હતા તે આજે પ્રજા ભૂલી ગઈ છે. વાસ્તવમાં કેબિનેટની મિનિટ્સ (નોટ્સ)માં રાખવા માટે આવા બધા ડાયલોગ્સ ત્યાં બોલવા જરૃરી હોય છે, જેથી અનૈતિક કાર્યને પણ નૈતિક ઠરાવી શકાય. પ્રોસિજરનું પાલન થયું છે તે બતાવવા માટે તે જરૃરી હતું. એ સમયે સોનિયા ગાંધીની ઇચ્છા વિરુદ્ધ પાવળું પાણી નહીં પીનારા મનમોહન, ચિદમ્બરમ, સિબ્બલ વગેરે સોનિયાની ઇચ્છા વિરુદ્ધ આવો ઓર્ડિનન્સ લાવવાની હિમાકત કરી શકે ખરા? માકેન પોતાની રીતે પત્રકાર પરિષદ યોજી શકે ખરા? બધું રાહુલ અને સોનિયાની ઇચ્છા માત્રથી થતું હતું, પણ મીડિયા અને પ્રજામાં ખૂબ મોટો આક્રોશ પેદા થયો હતો. આમેય મનમોહન સરકારની મથરાવટી ઓલરેડી મેલી થઈ ચૂકી હતી. મીડિયા હાઉસોએ સરકારના ઓર્ડિનન્સ વિરોધમાં ઝુંબેશ ચલાવી. મા-દીકરાએ વાઘ પરથી ઊતરવું પડ્યું અને જે થાય તે થયું.

બદનામ વસતિની સીડી ચડતા પકડાઈ જાય અને પછી બચાવ કરે કે મારા ગામની દીકરી અહીં રહે છે તેને મળવા આવ્યો હતો તે સાચું હોય તો પણ ના ચાલે. તેમાં વળી શુચિતા અને પ્રમાણિકતાનો ઉપદેશ આપો તો શયતાન બાઇબલ વાંચતો હોય તેવું લાગે, પણ દેશની દરેક વ્યક્તિ જાણે છે કે લગભગ તમામ નેતાઓ બાઇબલ જ વાંચે છે. ઘણાના કિસ્સાઓ બહાર આવતા નથી. યોગાનુયોગે બીજી એક સત્ય ઘટના હમણા દિલ્હીના નિવૃત્ત પોલીસ કમિશનર નીરજ કુમારે પ્રગટ કરી છે તે નેતાઓનો અસલી ચહેરો દર્શાવે છે. ઓર્ડિનન્સ જાહેરમાં ફાડ્યો ત્યારે મનમોહનની બેઇજ્જતી થઈ. રાહુલ પાસે તેમ અધિકારિકપણે કરવા માટે કોઈ હોદ્દો ન હતો છતાં તેમ કરીને એ પુરવાર કર્યું કે રાહુલ અને સોનિયા દેશમાં કેબિનેટ અને સરકાર કરતાં પણ સર્વોપરી છે અને છતાં એ જ નેતાઓના મુખે રાહુલની પ્રમાણિકતા માટેની ધગશની પ્રશંસા કરાવવામાં આવી.

નીરજ કુમારવાળી ઘટના છેલ્લે જોઈશું. જરા લાંબી છે, પણ વાત રાજનીતિઓમાં ગુંડાઓની બોલબાલા વિષે કરવાની છે. આ બાબતમાં તમામ પક્ષો એકસરખા  નાલાયક છે. અન્ના હઝારેને મંચ પર જઈ ટેકો જાહેર કરનાર ભાજપ અને તેના એક સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ વટહુકમ કે અન્ના પ્રકરણમાંથી કશું શિખ્યા ન હતા. બહેન માયાવતીએ પક્ષમાંથી ફેંકી દીધેલા બાબુ સિંહ કુશવાહાને ગડકરીએ રાતોરાત રસ્તા પરથી ઉઠાવી લીધા હતા અને ભાજપમાં માનભર્યું સ્વાગત કર્યું હતું. માયાવતી મુખ્યમંત્રી હતાં ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગમાં હજારો કરોડ (લગભગ પાંચ હજાર કરોડ રૃપિયા)નું દવા કૌભાંડ આચરાયું હતું. બે તબીબી અધિકારીઓ સરકારને નડતા હતા. તેમના સહિત કુલ ચાર તબીબી અધિકારીઓની જેલમાં અને જેલબહાર હત્યાઓ થઈ હતી. તેમાંના બેની હત્યાનો આરોપ ત્યારના ઉત્તર પ્રદેશના આરોગ્યમંત્રી બાબુ કુશવાહા પર હતો. માયાવતીએ તો નાટક કરવા ખાતર એમને બહુજન સમાજ પાર્ટીમાંથી કાઢી મૂક્યા તો ભાજપ એમને તત્કાળ ઉઠાવીને પક્ષમાં લઈ આવ્યો. ભાજપમાં આંતરિક અને બહાર પણ ખૂબ વિરોધ થયો ત્યારે ગડકરીએ એમને થોડા દિવસ પછી પક્ષમાંથી પડતા મૂકવા પડ્યા હતા.

વરસ ૨૦૧૩ના જુલાઈનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને હમણા ૧૩ ફેબ્રુઆરીના રોજ કોર્ટ દ્વારા નવું ફરમાન થયું ત્યાર સુધીનાં લગભગ સાત વરસમાં સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી છે. નેતાઓ, પછી તે કેજરીવાલ ભલે હોય, સર્વોચ્ચ અદાલતની ઇચ્છાને નાકામયાબ કરતા રહ્યા છે. અન્ના આંદોલન પછી દેશમાં હવા ફેલાઈ હતી કે હવે બધું સુધરી જશે. શું સુધર્યું? કપાળ? નિર્ભયાના કિસ્સામાં અભૂતપૂર્વ પ્રદર્શનો થયાં તે પ્રકરણનો હજી ચુકાદો આવ્યો નથી. અદાલતો પણ હવે એક મુદ્દાને ફૂટબોલ બનાવી રમવા માંડી છે. હમણા સર્વોચ્ચ અદાલતે દાગી નેતાઓના સંદર્ભમાં મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. ચેનલોએ ગીત ગાવા માંડ્યા કે હવે ગુંડાઓ માટે ખરાબ દિવસો આવશે. ભૂતકાળના અનુભવો જોતા દેશનો સમજદાર નાગરિક નિરાશાવાદી જ બની જાય. તમે ધારો છો તેવું ના થાય તે શક્યતા જ વધુ છે. કોઈક નેતાઓને અદાલતે ત્રીસ ત્રીસ વરસ પછી સજા કરી તો પણ એમના મિત્ર પક્ષો એમને બચાવી લે છે. ઝારખંડમાં લાલુ યાદવની મિત્ર સોરેન સરકાર રચાઈ તો સરકારે તેમને રાંચીની જેલમાંથી જામીન પર મુક્ત કરી દીધા. છગન ભુજબળ હમણા મહારાષ્ટ્રની સરકારમાં પ્રધાન બની ગયા તે શરદ પવારની કૃપા છે. જેઓ આમ આદમી પક્ષમાં પ્રવૃત્ત ન હતા તે દિલ્હીના બે ગુપ્તા અટકધારી માલેતુજાર ઉદ્યોગપતિઓ રાતોરાત આમ આદમીની ટિકિટ પર રાજ્યસભાના સભ્યો બની ગયા તે કેજરીવાલની કૃપા છે. કેજરીવાલ ત્યારે જ પાકા પ્રમાણિક ગણાય જ્યારે હાથમાં સંપૂર્ણ સત્તા હોય અને ભ્રષ્ટ ના બને. હાલની પ્રમાણિકતા અને પ્રજાપરસ્તી એમની ટકી રહેવાની મજબૂરીનું પરિણામ પણ હોઈ શકે. દિલ્હીની બધી તકલીફો માટે ભવાઈભાંડ મનોજ તિવારી કેજરીવાલને દોષ આપતા રહ્યા તેથી પણ કેજરીવાલ મજબૂત થતા ગયા. લોકો એટલા મૂરખ નથી જેટલા મનોજ તિવારી છે.

આ તો હળવી વાત થઈ, પણ ગંભીર વાત એ કે લોકપાલની નિમણૂક માટે આમરણાંત અનશન પર ઊતરેલા કેજરીવાલે સત્તા મળી તો પણ લોકપાલની નિમણૂક ના કરી. પક્ષ માટે જે લોકપાલ, પ્રદર્શન માટે નીમ્યા હતા તે એડમિરલ રામદાસ સાચું કામ કરવા મંડ્યા તો તેમને પણ ભગાડી મૂક્યા. વર્તમાન આરટીઆઈ કાનૂન અન્નાની જીદને કારણે કોંગ્રેસ સરકાર લાવી, પણ ભાજપની સરકારે તેમાં પણ પાણી નાખી પાતળો કર્યો, તેના વિરોધમાં કોંગ્રેસે પણ ખાસ વાંધો ઉઠાવ્યો નથી. આ માહિતી અધિકાર કાનૂન દરેક પક્ષને કનડે છે, કઠે છે. કેજરીવાલે ખાસ વિરોધ ના કર્યો. ભોપાળાં ઓછાં પ્રગટ થાય તે દરેક પક્ષના હિતમાં છે. કેજરીવાલ ખોટો પ્રચાર કરતા રહ્યા કે કેન્દ્ર સરકાર દિલ્હી માટે જનલોકપાલ નીમવા દેતી નથી, પણ હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે

વડાપ્રધાને કેજરીવાલની ટીકા કરી કે, ‘જેની ઓથ લઈને કેજરીવાલે સત્તા મેળવી તે લોકપાલની નિયુક્તિ હજી કેજરીવાલે કરી નથી, જ્યારે કેન્દ્ર સરકારે નિંમણૂક કરી દીધી છે.’ કેન્દ્ર સરકારે વરસો બાદ નિમણૂક કરી છે અને આ કાર્યાલય કોઈ ફાઈવ સ્ટાર હોટેલના રૃમમાં બેસે છે અને સંસ્થા અસરકારક નીવડી નથી તેવા અહેવાલો પણ છે. કેજરીવાલે તેના ખોટી ડિગ્રી ધરાવતા કાનૂન મંત્રી જિતેન્દ્ર સિંહ તોમરનો લાંબા સમય માટે ખોટો બચાવ કર્યો હતો અને પછીથી માફી માગવી પડી હતી. આવું ચાલતું હોય ત્યાં રાજકારણનું અપરાધીકરણ કેવી રીતે અટકે? ઊલટાનું પુરબહારમાં ખીલે.

Related Posts
1 of 262

ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ આરટીઆઈ કાર્યકર અમિત જેઠવાનું કાસળ કઢાવી નાખ્યું. દીનુભાઈ હાલના કર્ણાટકના ગવર્નર અને એક સમયે ગુજરાત ભાજપનું મોટું માથું ગણાતા વજુભાઈ (રાજકોટ) વાળાના નજીકના સગા થાય છતાં દીનુભાઈને સજા થઈ. આરટીઆઈ કાર્યકરો તમામ પ્રમાણિક અને નિર્દોષ હોય છે તેવું નથી. અમુક રાજકારણ પ્રેરિત બ્લેકમેઇલરો પણ હોય છે. દેશમાં નેતા બનવાનું પણ આસાન નથી રહ્યું. છતાં નેતાઓ મરતા નથી, આરટીઆઈ કાર્યકરો મોટી સંખ્યામાં મરે છે. ગુંડા નેતાઓ તેઓને મરાવી નાખે છે. અમિત જેઠવા એક બહાદુર અને પ્રમાણિક આરટીઆઈ કાર્યકર હતા.

છેલ્લી ચાર રાષ્ટ્રીય ચૂંટણીઓમાં રાજકારણમાં ગુંડાઓનું પ્રમાણ ઉત્તરોત્તર ભયજનક હદે વધ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ નિષ્કર્ષ તેના છેલ્લા ફરમાનમાં જાહેર કરાયો છે. ગુરુવારે અદાલતે રાજકીય પક્ષોને એ આદેશ પણ આપ્યો કે ચૂંટણી અગાઉ તેઓ જે ઉમેદવારોને પસંદ કરે તેમનાં નામ અને બીજી વિગતોની સાથે એ વિગતો પણ જાહેર કરે કે તે ઉમેદવારની સામે પોલીસ સ્ટેશનમાં કેટલા કેસ નોંધાયા છે, એની સામે અદાલતોમાં કેટલા ખટલા ચાલી રહ્યા છે, એ ખટલા ક્યા આરોપસર ચાલી રહ્યા છે? સૌથી મહત્ત્વનો નિર્દેશ તે અપાયો છે કે રાજકીય પક્ષે પોતાની વેબસાઈટ, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અને જે-તે વિસ્તારનાં બે અખબારોમાં આ બધી વિગતો જાહેર કરવાની રહેશે અને પક્ષને એ ખાસ (શક્યતઃ દુર્જન) ઉમેદવારને પસંદ કરવાની શા માટે જરૃર પડી? એ મતવિસ્તાર માટે કોઈ સજ્જન ઉમેદવાર ઉપલબ્ધ ન હતો શું? આ બધા ખુલાસાઓ કરવા પડશે. ઉમેદવારની પસંદગી થાય ત્યાર પછીના ૪૮ કલાકમાં આ વિગતો મતદાતાઓ સમક્ષ જાહેર કરવી પડશે અને જે બે અખબારોમાં તે વિગતો પ્રસિદ્ધ કરવાની રહેશે તેમાંનું એક સ્થાનિક ભાષાનું અખબાર અને બીજું એક રાષ્ટ્રીય અખબાર પસંદ કરવું પડશે. વિવેચકો અને રાજકીય નિરીક્ષકો માને છે કે આ નિર્દેશોથી ઘણો ફરક પડશે. તેઓનાં મોંમાં ઘી સાકર! પરંતુ નેતાઓ કંઈક એવું જરૃર કરશે કે જે આ નિર્દેશોને અસરકારક રહેવા નહીં દે. ખાસ કરીને ઉમેદવારો પોતાને લગતી વિગતો છુપાવશે. જેઓ એક ચૂંટણીમાં એક અને બીજી ચૂંટણીમાં બીજી શૈક્ષણિક લાયકાતો લખાવે અથવા ખોટી ડિગ્રીઓ ખરીદીને વકીલ અને નેતા બની ગયા હોય તેઓ શું નહીં કરે? તેઓની જે-તે વિસ્તારમાં એટલી ધાક હોય છે કે પોલીસ કે સરકારી તંત્ર તેઓની સેવામાં લાગી જાય. ઉપરથી સત્તાધારી પક્ષ (જે કોઈ પણ હોય) તેનો સાથ હોય તો ખરી વિગતો દબાવી પણ દેવાય! રાજા ભૈયા, શાહબુદ્દીન, મુખ્તાર અન્સારી જેવા ગુંડાઓની ખાનગી ફોજ મતવિસ્તારોમાં ગોઠવાઈ ગઈ હોય ત્યારે જે કોઈ ગુંડા નેતાની પાઘડી ઉછાળે તેનું આવી બને. બોરીવલીના એક મતવિસ્તારમાં એક મૃત્યુ પામેલી દલિત વ્યક્તિના નામે સવર્ણ વ્યક્તિ ચૂંટણી લડી. જીતી ગઈ. કારસ્તાન પકડાયું. કેસ અદાલતમાં ગયો તો અદાલતે તે બનાવટી વ્યક્તિને બરકરાર રાખી. જજો પોતે ચુકાદો પોતાની ઇચ્છા મુજબ આપવા માટે લૂપહૉલ્સ શોધતા થયા છે. ચુકાદો આપી દે અને પછી મામલો અપીલમાં જાય. વરસો સુધી તારીખો પડે. ત્યાં સુધીમાં ઉમેદવાર બીજી ત્રણ-ચાર વખત ચૂંટાઈને રિટાયર્ડ થઈ ગયો હોય, પણ આવી ગોબાચારી ખૂબ મર્યાદિત માત્રામાં થશે. જો લીડરો ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટાવી ના નાખે અથવા નવાં કારણો રજૂ કરીને, સુપ્રીમ કોર્ટ પાસેથી નવો અને ફેવરેબલ આદેશ મેળવવામાં સફળ નહીં થાય તો આ ચુકાદો અસરકારક સાબિત થશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ શ્રી આર.એફ. નરિમાન અને એસ. રવિન્દ્ર ભટે આ ચુકાદો આપ્યો છે, તેમાં નેતાઓ છટકી જાય તેવી બારીઓ બંધ કરી દેવામાં આવી છે. ઉમેદવાર પસંદ કરનાર રાજકીય પક્ષે પસંદગીના ૭૨ કલાકમાં ચૂંટણી પંચને જણાવવું પડશે કે તમામ પ્રક્રિયાનું પાલન થયું છે. આ બાબતો ફેસબુક અને ટ્વિટર પર પ્રસિદ્ધ કરવી પડશે. હવે ચૂંટણી ટાણે નેટવર્કો વારંવાર ડાઉન થઈ જાય તો નવાઈ ના પામવી! છતાં આટઆટલાં પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો ઉમેદવારનાં કરતૂતો છુપાવી શકશે નહીં. વળી, દાગી ઉમેદવાર પસંદ કરવો પડ્યો તેનો સ્વીકાર અને તે માટેના ખુલાસા હારનું કારણ બની શકે છે. ઉમેદવારની શૈક્ષણિક અને અન્ય લાયકાતો, સિદ્ધિઓ, યોગ્યતા વગેરે જાહેર કરવા પડશે. ઉમેદવાર જીતવાની શક્યતા વધુ (વિનેબિલિટી) છે તેથી પસંદ કર્યો છે તેવું કારણ આજે પક્ષપ્રમુખો જાહેરમાં કશા ખચકાટ વગર આપતાં હોય છે, પણ હવે તેઓ ઉમેદવારને પસંદ કરવા માટે આ કારણ આપી નહીં શકે અને માત્ર આ કારણથી ઉમેદવાર પસંદ કરી નહીં શકે. છતાં એ શક્યતા રહે છે કે દબંગ ઉમેદવારો સ્વતંત્ર ઊભા રહી, ચૂંટણી જીતી પોતાને મનગમતા પક્ષમાં મોટી ફી વસૂલીને જોડાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તે પણ નક્કી કરવું પડશે કે સ્વતંત્ર ઉમેદવારો જીતી ગયા પછી કોઈ રાજકીય પક્ષમાં પાંચ વરસ અથવા બીજી ચૂંટણી સુધી જોડાઈ નહીં શકે, પણ બહારથી ટેકો આપે તો? મામલો પેચીદો છે. જવાબદારી મતદાતાઓની વધી જાય છે. બિહાર, ઉત્તર પ્રદેશમાં હાલત એવી છે કે આવા ઉમેદવારોને ચૂંટો નહીં તો લોકોને પોતાના ગામમાં વસવાનું ભારે પડી જાય. પોલીસનું કશું ના ચાલે. વિશાળ ફાર્મ હાઉસમાં તળાવમાં પાળી રાખેલા મગરમચ્છોનો કોળિયો બની જાય. આ પરિકલ્પના નથી, વાસ્તવમાં થયું છે. રાજા ભૈયા ઉર્ફ રઘુરાજા પ્રતાપસિંહના ગામ કુંડા (પ્રતાપગઢ) ખાતે ગામના લોકોએ મળીને ડીએસપી જીઆ ઉલ હક્કને મારી નાખ્યા. આ કામ રાજા ભૈયાની ઉશ્કેરણીથી થયું હતું એવો આક્ષેપ હતો છતાં પાછળથી એ ત્યારે તેઓ અખિલેશ યાદવના પ્રધાનમંડળમાં મંત્રી હતા અને ખૂબ વિરોધ થતાં રાજીનામું આપવું પડ્યું હતું. ગામ લોકોએ દબંગોના હુકમ પાળવા પડે. પોલીસના નહીં. પોલીસે તો આઝમ ખાનની ભેંસો શોધવા રાત્રે નિકળી જવું પડે. રામ વૃક્ષ યાદવે રેડ પાડવા ગયેલી આખી પોલીસ પાર્ટીને ઉડાવી દીધી, કારણ કે મુલાયમના લઘુબંધુ શિવપાલ યાદવનો તેને પાકો ટેકો હતો. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અમેઠીમાં સંજય સિંહ પર ત્યારના ભારતના શ્રેષ્ઠ બેટમિન્ટન ખેલાડી, જેમણે આઠ વખત રાષ્ટ્રીય ખિતાબ અને ૧૯૮૨નો કોમનવેલ્થ ખિતાબ જીત્યો હતો, તેની હત્યા કરાવવાનો આરોપ મુકાયો હતો. તે વખતની બેડમિન્ટન ખેલાડી અમિતા કુલકર્ણી સૈયદ મોદીને પરણી હતી, પણ પછી સંજય સિંહ સાથે અફેર શરૃ થયો. અમિત રોજબરોજની ડાયરી રાખતી તેમાં સંજયની પ્રબળ કામશક્તિની પ્રશંસા કરતી નોંધો રાખતી જે આ ખટલો ચાલ્યો ત્યારે ઇન્ડિયા ટૂડેમાં પ્રસિદ્ધ થઈ હતી. અમિતા અને સંજય સિંહ લગ્ન કરવા માગતા હતા તેથી સાથે મળીને સૈયદ મોદીને મરાવી નાખવાનો આરોપ સંજય સિંહ પર હતો. સંજય સિંહ અમેઠીના સાંસદ હતા. નિર્દોષ છૂટી ગયા. અમિતાએ એમની સાથે લગ્ન કરી લીધાં. સંજય સિંહે પ્રથમ પત્ની ગરિમા સિંહ, જે ત્યારના વડાપ્રધાન વી.પી. સિંહની ભાણેજ હતી તેને થોડાં વરસો સાથે રાખી અને હવે છોડી દીધી છે. હવે નવા પ્રકારના કોર્ટ કેસ શરૃ થયા છે, પણ કેટલાક સાદા સવાલો અદાલતો તરફથી પુછાયા નહીં. જે વ્યક્તિ પર પોતાના પતિને મરાવી નાખવાનો સંગીન આરોપ હોય એ મરનારની વિધવા એ આરોપી સાથે લગ્ન શા માટે કરે? આ સંજય સિંહ વરસો સુધી રાહુલ ગાંધીના પ્રચારક અને મિત્ર રહ્યા હતા.

સલમાન ખાન પર એક બેકરીના ત્રણ મજૂરોને નશાની હાલતમાં ચગદી નાખવાનો આરોપ હતો. તેર વરસ સુધી અદાલતોમાં કેસ ચાલ્યો. મૂળ કેસમાં જેને ડ્રાઇવર બતાવાયો હતો તે દમની બીમારીમાં ખરેખર મરણ પામ્યો. પછી હાઈકોર્ટમાં તેર વરસ બાદ કોઈ નવો જ ડ્રાઇવર રજૂ કરાયો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું જ નહીં કે તેરમા વરસે આ ડ્રાઇવર ક્યાંથી ફૂટી નીકળ્યો? લોકોને અને પોતાને પ્રસિદ્ધિ અપાવવાનો ધંધો કરતા, મીડિયા મેનેજર, સુહેલ શેઠ, જે પોતાના વાળને સફેદ કલર ચડાવે છે, તે ચુકાદાને દિવસે ચેનલોમાં બની-ઠનીને હાજર થયા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો, જેમાં સુપ્રીમ કોર્ટે કેટલાક સાદા સવાલો પૂછવાનું ટાળ્યું હતું. માત્ર નીચેના અધિકારીઓની કાર્યપદ્ધતિની ટીકા કરવી પડે એટલે કરે. ભારતની તમામ ચેનલો પણ સુહેલ શેઠના કોરસમાં જોડાઈ. ચાહકોને ટેટૂઓ સાથે ગલીઓમાં નાચતાં ગાતાં, ઢોલ વગાડતાં દેખાડવામાં આવ્યા. સલમાનભાઈ ગેલેરીમાં દર્શન આપવા આવે. શ્રીમંતો અને દબંગો જે દેશમાં ન્યાયનું વિરેચન કરી નાખતા હોય ત્યારે નિર્દેશો માત્ર કાગળ પર રહી જશે એવી ભાવના સામાન્ય લોકોમાં ઘર કરી ગઈ છે. સલમાનના કેસમાં યોગ્ય ન્યાય કરવા માટેનાં પૂરતાં કારણો સર્વોચ્ચ અદાલત પાસે હતાં, તેની અવગણના થઈ. આજે સુપ્રીમ કોર્ટ સુધી જવાનું ગજું ક્યા સામાન્ય નાગરિકો પાસે છે? કોની પાસે દાયકાઓનો સમય છે? રાજકીય નિરીક્ષકોને ભલે શ્રદ્ધા હોય, સામાન્ય જનતાએ તમામ પક્ષો, સરકારો, અદાલતો પરથી શ્રદ્ધા ગુમાવી દીધી છે. નિર્ભયા બાદ બધા સંસદમાં કેવા ભેગા મળ્યા હતા અને કાયદો ઘડીને વાહ વાહ લૂંટી હતી અને પરિણામ શું આવ્યું તે જુઓ. -આઝાદીનાં ૭૨ વરસ બાદ પણ જે કોઈ નવી ઘટના, નવો પ્રસંગ ઘટે ત્યારે તેઓને દરેક વખતે એક કાયદો ઓછો પડે છે. સંસદમાં મહિનાઓની મેથી મારી પછી પણ નિર્ભયા કેસમાં કાયદો ઓછો પડે છે. તેઓ હંમેશાં એક કાયદાની ખોટ ચાલુ રાખશે જેથી જવાબદારીમાંથી છટકી શકાય. લોકોએ અને મતદાર લોકોએ એટલા માટે ખાસ સાવધ રહીને મતદાન કરવાની જરૃર છે કે સારા લોકો ચૂંટાશે તો સારા કાયદા ઘડશે, ગુંડાઓ ચૂંટાશે તો ગુંડાઓને ફેવરેબલ કાનૂનો ઘડશે.

એક તરફ રાજનીતિમાં ગુંડાઓના પ્રભાવ વિશે વરસોથી ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે અને બીજી તરફ રાજનીતિમાં ગુંડાઓની સક્રિય ભાગીદારી સતત વધી રહી છે. હમણાના આદેશમાં સુપ્રીમ કોર્ટે એ હકીકતની ખાસ નોંધ લીધી કે ૨૦૦૪માં દેશના ૨૪ ટકા સાંસદો સામે ફોજદારી કેસો પેન્ડિંગ હતા. ૨૦૦૯માં તે પ્રમાણ વધીને ૩૦ ટકા, ૨૦૧૪માં ૩૪ ટકા અને ૨૦૧૯માં ૪૩ ટકા પર પહોંચી ગયું હતું. આજે બેમાંથી લગભગ એક સાંસદ સામે ફોજદારી કેસ અથવા કેસો નોંધાયેલા છે. જરૃરી નથી કે તેઓ બધા જ ગુનેગાર હશે. આજકાલ સૌથી ગંદા ક્ષેત્રો રાજકારણ અને ધર્મકારણ ગણાય છે. રાજનીતિમાં સાંસદો કે જનપ્રતિનિધિઓ સામે જૂઠા, ઊપજાવી કાઢેલા કેસ મંડાય છે, પણ જો સાવ એવું જ હોય તો કાયદાનું ઘડતર અને અમલ તેઓના હાથમાં જ છે. શા માટે તેઓ જરૃરી કાનૂન અને વ્યવસ્થા પેદા કરીને પ્રકરણોનો અંત આણતા નથી? ખટલાઓ દાયકાઓ સુધી લંબાયા કરે. વિધાયકો, સાંસદોના જીવનનો કુદરતી અંત આવે પણ કેસનો લોજિકલ નિકાલ થયો ના હોય. આવી સ્થિતિ કોણે સર્જી છે? ખુદ સાંસદો અને વિધાયકોએ જ. તેઓના ઇરાદાઓ અને નિયતમાં ખોટ છે. તેઓ તમામ નિર્દોષ હોય તેવી શક્યતા ઓછી છે. એથી તો પ્રમાણ વધી રહ્યું છે.

હમણા દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓનો જ દાખલો લો. ‘ધી એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (એડીઆર) નામની એક જવાબદાર સંસ્થાના ખુલાસા પ્રમાણે અરધાથી વધુ ઉમેદવારો સામે ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. ફોજદારી ગુનાનો આરોપ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં પણ મોટો ઉછાળ આવ્યો છે. હમણાની ચૂંટણીઓ વખતે ૪૩ વિધાનસભ્યોએ જાહેર કર્યું હતું કે તેઓની સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તે સામે ૨૦૧૫ની ચૂંટણીમાં ૨૪ વિધાનસભ્યો સામે ગુનાઓ નોંધાયા હતા. હાલમાં જે ૪૩ વિધાનસભ્યો છે તેમાંના ૩૭ એવા છે જેઓની સામે બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરોધના ગુનાઓ નોંધાયેલા છે. તેમ એડીઆરનો રિપોર્ટ જણાવે છે.

સ્ત્રીઓ સામેના અત્યાચારોનો આરોપ ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં છેલ્લાં અમુક વરસોમાં નોંધપાત્ર ઉછાળ આવ્યો છે. છેલ્લાં પાંચ વરસમાં આવા ૫૭૨ ઉમેદવારો લોકસભા રાજ્યસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ લડ્યા હતા. ત્રણ સાંસદો અને છ વિધાનસભ્યો મળીને કુલ નવ સભ્યો સામે બળાત્કારના આરોપો છે. આ લોકો નવા કાનૂનો ઘડશે. ભારત ભાગ્ય – વિધાતા છે. જોકે આ પ્રકારના ગુનાઓના આરોપો વધુ છે અને તેની માત્રામાં જબરો ઉછાળો આવ્યો છે તેનું એક કારણ એ હોઈ શકે કે આવા આરોપો લગાવવાનું આસાન છે. કોઈ એક મહિલા આરોપ મૂકે તો પણ આરોપ ચીટકી જાય છે, પણ બધી જ મહિલાઓ જૂઠી છે તેમ આપણે કહી શકીએ નહીં. વળી દબંગો સ્ત્રીઓને મિલકત માની તેનો દુરુપયોગ હજારો વરસથી કરતા આવ્યા છે. આ મેન્ટાલિટી ગુંડાઓમાં આજે પણ પ્રવર્તે છે તેથી તમામ આરોપોને શંકાની નજરે જોઈ શકાય નહીં. આજે દેશભરમાં ૭૬ સાંસદો અને વિધાયકો એવા છે જેમણે કબૂલ કર્યું છે કે તેઓની સામે મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ નોંધાયેલા છે. એડીઆરનો અભ્યાસ દર્શાવે છે કે ૨૦૦૯થી ૨૦૧૯નાં દસ વરસમાં સ્ત્રીઓ પર અત્યાચારોનો આરોપ ધરાવતા લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની સંખ્યામાં ૨૩૧ ટકાનો વધારો થયો છે અને આ દસ વરસમાં આવા આરોપો ધરાવતા હોવા છતાં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવનારાઓની સંખ્યામાં ૮૫૦ ટકાનો વધારો થયો છે. સરળ અર્થ એ કે દબંગોને રાજકીય પક્ષો તરફથી વધુ ટિકિટો મળે છે, તેઓ ઊભા રહે અને ચૂંટાઈ પણ આવે છે. તેઓની સામે જે આરોપો છે તે પોલીસ સ્ટેશનોમાં કે અદાલતોમાં નોંધાયેલા ડિકલેર્ડ આરોપો છે અથવા હતા. બીજો અર્થ એ કે એ આરોપોના સંદર્ભમાં ન્યાયની પ્રક્રિયાઓ ચાલુ હતી. અહીં ટિકિટ આપનારા પક્ષો, ઉમેદવારો અને મતદાતાઓ સહિત તમામ લોકો કસૂરવાર છે. રાજકીય પક્ષોએ શરમ મૂકી દીધી છે અને મતદારો બેશરમીને ટેકો આપે છે.

છેલ્લાં પાંચ વરસમાં સ્ત્રીઓ પરના અત્યાચારોના ડિકલેર્ડ આરોપો ધરાવતા લોકોને ચૂંટણી લડવા માટેની ટિકિટો અપાઈ તેમાં સૌથી વધુ ભાજપ દ્વારા ૬૬ ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. બીજા ક્રમે કોંગ્રેસ છે. તેના દ્વારા ૪૬ ગુંડા ઉમેદાવારોને ટિકિટ અપાઈ હતી. આ સ્થિતિમાં કયો પક્ષ બીજા પક્ષનો નૈતિક વિરોધ કરી શકે? બહેન માયાવતીનો બહુજન સમાજવાદી પક્ષ ઉત્તર પ્રદેશ પૂરતો સીમિત છે છતાં તે પક્ષે ૪૦ દબંગ ઉમેદવારોને ટિકિટો આપી હતી. રાજકીય નિરીક્ષકોના મતે ભારતીય જનતા પક્ષે મતદારોને રાજકીય શુદ્ધીકરણના આસમાની વચનો આપ્યા હતા છતાં જમીન પરની વ્યવસ્થામાં કોઈ ફેરફાર થયો નથી.

વોશિંગ્ટન ખાતેની કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ નામની પ્રસિદ્ધ સંસ્થાના ફેલો તરીકે મૂળ ગુજરાતી સજ્જન મિલન વૈષ્ણવ છે. એમણે ભારતીય ચૂંટણીઓ અને તેમાં બદમાશોની ભૂમિકા વિશે એક અભ્યાસપૂર્ણ પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે; ‘વ્હેન ક્રાઇમ પેય્ઝ ઃ મની એન્ડ મસલ ઇન ઇન્ડિયન પોલિટિક્સ.’ એમણે રોઇટર સમાચાર સંસ્થાને જણાવ્યું હતું તે મુજબ ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૧૪ના ભ્રષ્ટાચારમુક્ત ભારતના નારા બાદ ભાજપના ૨૮૨ લોકસભાના સાંસદોમાંથી ૩૫ ટકા સાંસદો સામે ફોજદારી કેસો મંડાયેલા હતા અને ૨૨ ટકા સાંસદો સામે અદાલતોમાં ગંભીર આરોપોસર કેસ ચાલી રહ્યા હતા. ગંભીર આરોપો ધરાવતા આઠ સાંસદોને પ્રથમ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતું. શ્રી વૈષ્ણવના કહેવા મુજબ ગુનેગારોને પસંદ કરનાર ભાજપ એકમાત્ર પક્ષ નથી. અન્ય પક્ષો પણ કંઈ ઓછા નથી. ફરક એટલો જ કે ભાજપ પોતે પવિત્ર હોવાનો દાવો કરી શકે તેમ નથી.

હવે સુપ્રીમ કોર્ટનો આગ્રહ અને હુકમ છે કે ઉમેદવારની ગુનાકીય પ્રવૃત્તિઓ એની ઉમેદવારી સાથે જાહેર કરવામાં આવે, પણ શ્રી મિલન વૈષ્ણવ માને છે કે આવી ઘોષણા અસરકારક પુરવાર થવાની નથી, કારણ કે ઉમેદવારના ગુનાઓથી મતદારો પહેલેથી જ વાકેફ હોય છે અને છતાં એ દબંગ ઉમેદવારને જ મત આપે છે. વૈષ્ણવનું પુસ્તક કેટલાંક રસપ્રદ અને ચોંકાવનારાં તથ્યો પ્રગટ કરે છે. એમના અભ્યાસ મુજબ મતદારો એ બાબત પર સૌથી વધુ ધ્યાન આપે છે કે પોતાના મત વિસ્તારના લોકો અને પ્રશ્નો રજૂ કરવામાં ક્યો ઉમેદવાર વધુ સબળ અને સક્ષમ પુરવાર થશે. જે ઉમેદવારો સામે જેમ વધુ કેસ મંડાય તેમ તેમ એની શોભા વધતી જાય છે. પ્રત્યેક ગુનો વધુ એક યશકલગી પુરવાર થાય છે. વૈષ્ણવના અભ્યાસ પ્રમાણે ઉમેદવાર સામે એક ગુનો નોંધાયેલો હોય તો સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર સામે એ ચૂંટણી જીતે તેવી શક્યતા સાત ટકા પરથી વધીને ઓગણીસ ટકા સુધી વધી જાય છે અને જો ગુનાનો આરોપ ગંભીર પ્રકારનો હોય તો જીતવાની શક્યતા ૨૫ ટકા વધી જાય છે. મતદારોને જ ગુંડાઓ પસંદ હોય ત્યારે સમસ્યાનો નિકાલ લાવવાનું પણ મુશ્કેલ બની જાય. શ્રી વૈષ્ણવના મતે ચૂંટણી પંચને ઉમેદવારોની આવક, નાણા અને સંપત્તિની જાહેરાતો બાબતમાં ખાસ વધુ સત્તાઓ મળે તો આ દૂષણ અંકુશમાં લાવી શકાય. રાજકીય પક્ષોને મળતાં દાન અને તેમાં અપાતી કરવેરાની રાહતોને લોકશાહીય પારદર્શિતાના ધોરણો સાથે સાંકળી લેવાની હિમાયત શ્રી વૈષ્ણવ કરે છે. ઉમેદવાર પોતાનાં સાધનો, સ્ત્રોત સંપત્તિની ખોટી માહિતી ના આપે તે માટે સ્વતંત્ર સંસ્થાઓ પાસે તેનો ઑડિટ કરાવવા અને ઉમેદવારો સામે ગંભીર આરોપો હોય ત્યારે તેના નિકાલની નવી વ્યવસ્થા ચૂંટણી પંચને સોંપવામાં આવે તો આ દૂષણ દૂર કરી શકાય. ચૂંટણી પંચ સ્વાયત્ત છે તેથી શ્રી વૈષ્ણવનો આ સુઝાવ અસરકારક પુરવાર થાય તેમ છે, પણ રાજકીય પક્ષો પોતાની મરજીથી તો ગળામાં ઘંટડી પહેરવાના નથી. સુપ્રીમ કોર્ટ તેમ કરી શકે, પણ આજકાલ સુપ્રીમ કોર્ટના હુકમો પણ ક્યાં અસરકારક રહ્યા છે? સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય સમિતિએ હમણા આપ્યો તેવો જ ચુકાદો આપ્યો હતો છતાં તેનું કશું પાલન થયું ન હતું. હમણાના ચુકાદામાં આ પરિસ્થિતિનો સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ પણ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ જ્યાં સુધી અદાલતની આમાન્યા જાળવવા માટે અસરકારક પગલાં નહીં ભરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટને પણ સરકારો અને નેતાઓ હળવાશથી લેતા બની જશે. ન્યાયમૂર્તિઓનું વૈચારિક, બૌદ્ધિક અને નૈતિક સ્તર ઘણુ ઘટ્યું છે. મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે અને મર્યા પછી આત્મા અધ્ધર લટકતો રહે છે એવું માનસિક સ્તર ધરાવતા જજો પાસેથી કેટલી અપેક્ષા રાખી શકાય? તેઓ નિવૃત્ત થયા બાદ પાંચ વરસ માટે ઘરે બેસવા તૈયાર નથી, પણ ગવર્નર કે બીજા સરકારી હોદ્દાઓ ઇચ્છે છે અને તેથી ફરજ દરમિયાન જ કેડેથી વાંકા વળી જાય છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને રાફેલના નામે પ્રચાર માધ્યમો દ્વારા દેશમાં જૂઠ ફેલાવ્યું. મીનાક્ષી લેખીએ કેસ નોંધાવ્યો. સુપ્રીમ કોર્ટે માત્ર ચેતવણી આપીને રાહુલ ગાંધીને છોડી મૂક્યા. શું કોઈ સામાન્ય માનવી પ્રત્યે આ દયાભાવ રખાયો હોત? સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી તમામ બાબતોમાં ઉત્તમતાના દાખલા સતત પુરા નહીં પાડે તો તેના પોતાના હુકમોની ગંભીરતા જ ઘટશે. સુપ્રીમ કોર્ટને દેશની પ્રજા સુપ્રીમ આસ્થાસ્થાન માને છે. આ ગૌરવ જળવાઈ રહેવું જોઈએ.

સુપ્રીમ કોર્ટનો સપ્ટેમ્બર ૨૦૧૮નો હુકમ પણ સ્તુત્ય અને સરાહનીય હતો. જેમાં અદાલતે રાજનીતિનું અપરાધીકરણ રોકવા માટે એક ખાસ કાનૂન ઘડવાનું સંસદને જણાવ્યું હતું. આ ‘કૅન્સરને રોકવા માટે’ સર્વોચ્ચ અદાલતે સંસદને જણાવ્યું હતું કે એવો કાનૂન ઘડો કે જેથી રાજકીય ક્ષેત્રોમાં ગુંડાઓ પ્રવેશી જ શકે નહીં, કારણ કે ‘રાજનીતિની આ પ્રદૂષિત નદીને સાફ કરવી જરૃરી છે.’ જે ઉપમાઓ ઇન્વર્ટેડ કોમામાં આપી છે તે સુપ્રીમ કોર્ટનાં વિધાનો છે.

આ હુકમોનો અમલ ના થયો ત્યારે અદાલતના અનાદરની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં થઈ. તેની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે અદાલતને જણાવ્યું કે જેમની સામેના કેસોનો નિકાલ થવાનો બાકી છે તેવા દબંગ સાંસદોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે તે બાબત ચિંતાજનક છે. ભાજપના એક નેતા અશ્વિની ઉપાધ્યાયે આ કન્ટેમ્પ્ટ પિટિશન નોંધાવી હતી. તેની સુનાવણી દરમિયાન એમના વકીલ ગોપાલ શંકરનારાયણે એ સુઝાવ આપ્યો હતો કે પોતાના ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળની વિગતો પ્રજા સમક્ષ જાહેર કરવાની જવાબદારી જે-તે રાજકીય પક્ષોના માથે લાદવી. આ પ્રક્રિયા ફરજિયાત બનાવવી અને કોઈ સારા નિષ્કલંક ઉમેદવારને શા માટે પસંદ ના કર્યો? તે જાહેર ખુલાસો કરવાની જવાબદારી પણ રાજકીય પક્ષ પર લાદવાનું નક્કી થયું. આ જવાબદારીમાંથી છટકી જાય તે ઉમેદવારો અને રાજકીય પક્ષોને દંડ કરવાની પણ ભલામણ હતી, પરંતુ ચૂંટણી પંચની રજૂઆત હતી કે ઉમેદવાર કે રાજકીય પક્ષને દંડ કે સજા કરવાના અધિકારો ચૂંટણી પંચ પાસે નથી.

આ હુકમ બાદ કોંગ્રેસે તેનો રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. કોંગ્રેસે ટીકા કરી કે ભાજપ દ્વારા આ હુકમોના લીરા ઉડાડવામાં આવી રહ્યા છે, કારણ કે ગેરકાયદે ખનન કેસના એક આરોપી આનંદ સિંહને કર્ણાટકમાં પ્રધાન બનાવવામાં આવ્યા છે. જોકે બંને પક્ષોએ અદાલતના ચુકાદાને આવકાર આપ્યો છે, પરંતુ શૉ-કેસમાં કપડાં રાખ્યા છે તે દુકાનમાં મળતાં નથી.
——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »