તમારા માટે, તમારી સાથે, સતત…

અયોધ્યાની રથયાત્રા

અશોક સિંઘલે આ સમગ્ર મુદ્દાને હિંદુઓના માન-સન્માન સાથે જોડી દીધો હતો.

0 170
  • કવર સ્ટોરી

વર્ષ ૧૯૪૯થી ૧૯૮૬ સુધી, રામજન્મ ભૂમિનો મામલો, જે અટકી પડ્યો હતો તે માત્ર ત્રણ વર્ષોમાં જ શિલાન્યાસ સુધી પહોંચી ગયો. આંદોલનની બાગડોળ સંભાળી રહેલા સંઘ પરિવારના સંગઠન વિશ્વ હિન્દુ પરિષદનો આત્મવિશ્વાસ ચરમસીમા પર હતો. સંઘ પરિવારને લાગતું હતું કે હવે રામ મંદિર નિર્માણનું સપનું નજીકના ભવિષ્યમાં જ સાકાર થઇ જશે. પ્રજાએ પણ રામ મંદિરના નિર્માણને એક મહત્ત્વપૂર્ણ મુદ્દા તરીકે સ્વીકારી લીધો હતો. પરિણામ સ્વરુપ મંદિર નિર્માણની તૈયારીઓ જોરશોરથી આરંભાઇ હતી. લાધુ-સંતો સાથે મળીને વિહિપે ઘણાં કાર્યક્રમોની જાહેરાત કરી હતી.

શાસ્ત્રીય સંગીતના જાણકાર વિહિપના અશોક સિંઘલે આ સમગ્ર મુદ્દાને હિંદુઓના માન-સન્માન સાથે જોડી દીધો હતો. રામ જન્મભૂમિના સંદર્ભમાં અશોક સિંઘલને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન એમ હતો કે રામ જન્મભૂમિ પર રામ મંદિર ન બને તો એમાં શું જતું રહેવાનું છે. આ પ્રશ્નના જવાબમાં સિંઘલે કહ્યું હતું કે જો રામ જન્મભૂમિ પર મંદિર ન બન્યું તો આ દેશમાં હિંદુ સમાજ અને તેની ઓળખ ભૂંસાઇ જશે. ભગવાન રામ એ ભારત દેશ અને હિંદુઓની ઓળખ સાથે જોડાયેલા છે અને અયોધ્યા એ જ રામની જન્મભૂમિ છે. સવાલ મંદિરના નિર્માણનો નથી પણ રામની જન્મભૂમિનો છે.

એક તરફ જ્યાં મંદિર નિર્માણ માટે સંઘ અને અન્ય સંગઠનોએ પાયાની કામગીરી આરંભી દીધી હતી ત્યાં બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ રામ મંદિરના નિર્માણને રાજકારણના ક્ષેત્રમાં મહત્ત્વનો મુદ્દો બનાવવાનું કામ કર્યું હતું. એ સમયગાળામા ઝડપથી આકાર રહી રહેલા રાજકીય ઘટનાક્રમો વચ્ચે લાલ કૃષ્ણ અડવાણી મહત્ત્વપૂર્ણ રાજકીય નેતા તરીકે લોકો સમક્ષ ઊભરી આવ્યા હતા. ૭ ઓગષ્ટ, ૧૯૯૦ના રોજ વડાપ્રધાન વી.પી.સિંહે મંડલ કમિશન લાગુ કરવાની જાહેરાત કરી દીધી. આખા દેશમાં જાહેરાતની તરફેણમાં અને વિરોધમાં આંદોલન થવા લાગ્યા. આ બધાની વચ્ચે ભાજપ અને સંઘ પરિવાર રામ મંદિરના નિર્માણ માટે જનમત એકત્ર કરવાના પ્રયત્નોમાં લાગી ગયા. રામમંદિર નિર્માણના સમર્થન માટે લાલ કૃષ્ણ અડવાણીએ ૨૫ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ સોમાનાથ ખાતેથી રથયાત્રાનો આરંભ કર્યો. આ રથયાત્રા જુદા જુદાં રાજ્યોમાંથી પસાર થઇને ૩૦ ઓક્ટોબરના રોજ અયોધ્યા પહોંચવાની હતી. અયોધ્યા ખાતે અડવાણી કાર સેવામાં ભાગ લેવાના હતા. એ રથયાત્રા અયોધ્યા સુધી ન પહોંચી શકી. રયથાત્રા જ્યારે બિહાર પહોંચી ત્યારે તે સમયના બિહારના મુખ્યમંત્રી લાલ પ્રસાદ યાદવના આદેશ પર લાલકૃષ્ણ અડવાણીની સમસ્તીપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી. આ બધા ઘટનાક્રમ વચ્ચે ૨૧ ઓક્ટોબરથી જ અયોધ્યા ખાતે કાર સેવકો એકઠા થવા લાગ્યા હતા. ૩૦ તારીખે આચાર્ય વામદેવ, મહંત નૃત્ય ગોપાલદાસ અને અશકો સિંઘલની આગેવાની હેઠળ કારસેવકો વિવાદિત સ્થળ તરફ કૂચ કરવા લાગ્યા. આ લોકોને બાબરી મસ્જિદ સુધી પહોંચતા રોકવા મુખ્યમંત્રીએ ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. કેટલાંય કાર સેવકો માર્યા ગયા. કેટલાંક પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, કોઠારી બંધુઓએ બાબરી મસ્જિદ પર ભગવો ઝંડો લહેરાવી દીધો હતો. ૨ નવેમ્બરના રોજ કારસેવકોએ ફરી વિવાદિત સ્થળ પર પહોંચવાનો પ્રયત્ન કર્યો અને ફરી સરકારે ગોળી ચલાવવાના આદેશ આપ્યા અને ફરી કેટલાંય કાર સેવકો મોતને ભેટ્યા.

આ બધા ઘટનાક્રમ વચ્ચે ભાજપે વી.પી. સિંહની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. સરકાર પડી ગઇ. ફરી પાછી ૧૦ નવેમ્બરના રોજ કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા. વર્ષ ૧૯૯૧માં મધ્યકાલીન ચૂંટણી યોજાઇ. ૨૧ જૂનના રોજ નરસિંહ રાવ પ્રધાનમંત્રી બન્યા. આ ચૂંટણીમાં ભાજપે ૧૨૦ બેઠકો પર જીત મેળવી. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો. મંદિર નિર્માણનું આંદોલન દિનપ્રતિદિન જોરશોરથી આગળ વધી રહ્યું હતું. કલ્યાણસિંહના મુખ્યમંત્રી બનવાને કારણે ઉત્તર પ્રદેશની સ્થિતિમાં થોડો સુધાર આવ્યો.

રામ મંદિરની બાજુમાં રહેલી ૨.૭૭ એકડ જમીનને રાજ્યસરકારે પોતાને હસ્તક કરી લીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચમાં આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી ૪ નવેમ્બર, ૧૯૯૨ના રોજ પૂરી થઇ ગઇ હતી. કેસનો નિર્ણય ૪ ડિસેમ્બરે આવવાનો હતો. આ બધાની વચ્ચે ૬ ડિસેમ્બરના રોજ કારસેવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વિહિપના તત્કાલીન સંયુક્ત મહામંત્રી ચંપક રાયેે ૨૦૦૯માં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પહેલા બે ન્યાયાધીશોએ પોતાનો નિર્ણય લખી દીધો હતો પણ ત્રીજા ન્યાયાધીશે નિર્ણયને ૧૧ ડિસેમ્બર સુધી ટાળી દીધો. આ તારીખ કારસેવા માટે નક્કી કરેલી તારીખ પછીની તારીખ હતી. નિર્ણય ટાળવાના ન્યાયાધીશના આદેશને કારણે કાર સેવકો પોતાનું ધૈર્ય ગુમાવી બેઠા.

એ સમયે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા ભાજપના નેતાઓ અને વિહિપના ઘણા પ્રમુખો અયોધ્યામાં હાજર હતા. સાધ્વી ઋતુંભરા અને ઉમા ભારતી જેવી હિંદુ સાધ્વીઓ પણ એ દિવસે અયોધ્યામાં હાજર હતી.

——–.

Related Posts
1 of 70

રથયાત્રાની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ
૬ ડિસેમ્બર,૧૯૯૨ના રોજ જે ઘટના ઘટી તેની પાછળ માત્ર કોઇ એક દિવસ જવાબદાર નહોતો પણ ઘણી બધી ઘટનાઓ જવાબદાર હતી. આ ઘટના સાથે ઘણાં નેતાઓ, સંઘ, કાર સેવક અનેસ રકારના કેટલાંક ચહેરા પણ જોડાયેલા હતા.

લાલ કૃષ્ણ અડવાણી
૧૯૮૪ બાદ ભાજપ માટે રામ મંદિર મહત્ત્વનો મુદ્દો બની ગયો હતો. અડવાણી પક્ષના પ્રમુખ નેતા હતા અને સાથે જ રામ મંદિર આંદોલનનું નેતૃત્વ પણ સંભાળી રહ્યા હતા. વર્ષ ૧૯૯૦માં અડવાણીએ રામ રથયાત્રા કરવાનો નિર્ણય કર્યો. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ દ્વારા રોકવામાં આવ્યા છતાં પણ અડવાણી પોતાનું ધાર્યું લક્ષ્ય પાર પાડવામાં સફળ રહ્યા હતા. તેઓ આંદોલનના પ્રમુખ નેતા બની ગયા હતા.

પરમહંસ રામચંદ્ર દાસ
રામ મંદિર આંદોલનના પ્રમુખ સંત અને શ્રી રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ. તેમણે જ વર્ષ ૧૯૫૦માં શ્રી રામજન્મભૂમિમાં પૂજા-અર્ચના કરવા માટે જિલ્લા ન્યાયાલયમાં પ્રાર્થના પત્ર આપ્યો હતો. આ જ કારણથી અત્યાર સુધી ત્યાં પૂજા-અર્ચના ચાલતી આવી છે. વર્ષ ૧૯૯૦માં અયોધ્યા પહોંચેલા હજારો કાર સેવકોનું નેતૃત્વ અને માર્ગદર્શન તેમણે કર્યું હતું.

અશોક સિંઘલ
સંઘ પરિવરના આધારભૂત સ્તંભસમાન વ્યક્તિઓ પૈકીના એક એટલે અશોક સિંઘલ. તેઓ વીસ વર્ષ સુધી વિશ્વહિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા અને અયોધ્યા આંદોલનના મુખ્ય રણનીતિકાર પણ. તેમણે સમગ્ર દેશમાંથી પચાસ હજાર જેટલાં કાર સેવક એકઠા કરવાનું કામ કર્યું હતું. વર્ષ ૧૯૯૨માં વિવાદિત ઢાંચો તોડવાનું કામ કરનારા કાર સેવકોનું નેતૃત્વ અશોક સિંઘલે કર્યું હતું.

મુલાયમ સિંહ યાદવ
વર્ષ ૧૯૯૦માં કાર સેવકોને અયોધ્યા પહોંચતા રોકવા માટે રાજ્ય સરકારે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. એ સમયે રાજ્યમાં મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં એક ચકલુ પણ ફરકી નહીં શકે. ત્યારથી અહીંના રાજકારણમાં બદલાવ આવવાની શરુઆત થઇ ગઇ.

———-.

થતા રહ્યા રોકવાના પ્રયત્નો
આ વાત નેવુંના દશકની છે. આ એ દોર હતો, જ્યારે ભાજપ ભારતના રાજકારણમાં જોરશોરથી પોતાનું દમ લગાવીને લડી રહ્યો હતો. ભાજપ પોતે પણ મજબૂત અને સશક્ત પક્ષ તરીકે તો ઊભરી જ રહ્યો હતો, સાથે જ અન્યોને પણ સક્રિય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. ભાજપના સમર્થનને કારણે કેન્દ્રમાં વી.પી.સિંહની સરકાર રચાઇ હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ રાજનીતિમાં બધું ઠીક ચાલે એ જ ઠીક નથી હોતું. થયું પણ એવું જ. અચાનક વી.પી. સિંહે મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કરી દીધો. ત્યાર પછી તમામ રાજનૈતિક પક્ષો ઉપરાંત સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો. એ બધો સમય કોઇ દુઃસ્વપ્ન સમાન હતો. સરકારના આ પગલાને લઇને માત્ર વિપક્ષ જ નહીં પણ સરકારના સમર્થનમાં રહેલા પક્ષો પણ વોટ બેન્કને લઇને ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.એવું કહેવામાં આવે છે કે આ પરિસ્થિતિઓમાં ભાજપે મંડલના જવાબમાં કમંડલને મેદાનમાં ઉતાર્યું. એ સમયે ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં સોમનાથ થી અયોધ્યા સુધી રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. તારીખ હતી -૨૫ ડિસેમ્બર, ૧૯૯૦. જો રથયાત્રા રોકવામાં આવશે તો બીજેપી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેશે એ વાત નક્કી હતી.

રથયાત્રા પોતાના અંતિમ ચરણમાં બિહાર પહોંચી. પહેલા સાસારામ ખાતે તેમની ધરપકડ કરવાની યોજના હતી. હાવડા રાજધાની મોડી રાત્રે જ્યારે સાસારામમાં પ્રવેશ કરશે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવશે એવો વિચાર હતો પણ આ ખબરની જાણ થતા યોજના બદલવામાં આવી. પછી રથયાત્રામાં સામેલ લોકોને ધનબાદ ખાતે ગિરફ્તાર કરવાની યોજના બનાવવામાં આવી પણ એ પણ સફળ ન થઇ. આખરે ૨૩ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે અડવાણીની સમસ્તીપુરના સરકિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી. એ વાત ્લગ હતી કે રથયાત્રા અધૂરી રહેવા છતાં પણ પોતાનો ઉદ્દેશ્ય પાર પાડવામાં સફળ રહી હતી.

જોકે રામ જન્મભૂમિનું આંદોલન બાકી હતું અને તે ૩૦ ઓક્ટોબર, ૧૯૯૦ના રોજ પૂરું થયું. એ દિવસે લાખો લોકો કારતક પૂર્ણિમાનું સ્નાન કરવા માટે અયોધ્યામાં એકઠા થયા હતા પણ ઉત્તર પ્રદેશ સરકારે લોકોને ભગવાન શ્રી રામના દર્શન કરવાની મંંજૂરી નહોતી આપી. પરિસ્થિતિ એવી બની કે પ્રશાસનના અધિકારીઓ લોકોને સંભાળવામાં નિઃસહાય દેખાયા. એ સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે અગાઉ કોઇપણ ચેતવણી આપ્યા વિના દર્શનાર્થીઓ પર ગોળીઓ ચલાવવાનો આદેશ કર્યો અને તેમાં કેટલાંય લોકો માર્યા ગયા. ઉત્તર પ્રદેશ સરકારનું આ પગલું આંદોલનને દબાવવો પ્રયાસ હતો.
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »