તમારા માટે, તમારી સાથે, સતત…

ક્યારેક જે વહાલાં છે તે સગાં નથી હોતાં

લોહીના સંબંધમાં આપણે બધું જ સામી વ્યક્તિની ફરજ ગણી લઈએ છીએ

0 378
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

એક યુવાન ફરિયાદ કરે છે. મારો સગો ભાઈ છે, પણ મારા કરતાં એ એના મિત્ર માટે વધુ લાગણી રાખે છે. એવું નથી કે એનો મિત્ર વધુ લાયક છે. એનો મિત્ર મારા કરતાં જરાય વધુ લાયક નથી. છતાં તેને હંમેશાં વિશેષ લાગણી એના માટે જ થાય છે. એક સગા ભાઈ સાથે જે સારો વ્યવહાર કરવો જોઈએ તે બધો જ તે મારી સાથે કરશે, કારણ કે મારો ભાઈ બહુ ચકોર છે. વહેવારકુશળ માણસ છે, એટલે સમજે છે કે જો સગા ભાઈ સાથે સારો દેખાય તેવો વ્યવહાર ન કરીએ તો તુરત સગાંસંબંધીઓને તેનો ખ્યાલ આવી જાય. લોકલાજના હિસાબે ઉપર ઉપરથી હેત બતાવવું પડે, પણ વાતમાં કાંઈ માલ નહીં. મને એ સમજાતું નથી કે સગા ભાઈ કરતાં ભાઈબંધ વધુ વહાલો લાગે તેનું કારણ શું? શું ભાઈબંધે તેને કાંઈ આપી દીધું છે? કંઈ મોટો ઉપકાર કર્યો છે? શું કોઈ ખાસ મદદ કરી છે? લોહીના સંબંધમાં કેમ બિલકુલ ખેંચાણ નથી? મારામાં શી ખામી છે? મારો શો વાંક છે?

આવી જ પીડા એક બીજી યુવતી વ્યક્ત કરે છે ઃ ‘તમને ખબર છે કે હું ફલાણા ભાઈની સગી બહેન છું! ખબર હોય પણ ક્યાંથી? સગો માનો જણ્યો ભાઈ એવું સગપણ રાખે તો ને? બહેન પ્રત્યેની એક ફરજ બજાવવાની હોય તે બજાવે. સગાંસંબંધીની નજરે યોગ્ય લાગે તે માટે ઉપર ઉપરથી થોડો વહેવાર કરે, થોડો દેખાવ કરે, પણ સગી બહેન પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ તે ક્યાં? હું એમની સગી બહેન છું, પણ મારા માટે તે અડધા અડધા નહીં થઈ જાય. તેમની એક બીજી બહેન છે. આ બહેન સગી બહેન નથી, કાકાની દીકરી કે મામાની દીકરી પણ નથી, પણ એ બહેન માટે મારા ભાઈ અડધા અડધા થઈ જવાના! હું સગી બહેન બાંધું એ રાખડી પાઈની, એ પારકી બહેન રાખડી બાંધે એ સવા લાખની! મનની માનેલી બહેન! ધર્મની બહેન! મારો સગો ભાઈ છે એટલે શું કહું? કોઈ કોઈ વાર તો મારું લોહી ઊકળી ઊઠે છે. થાય છે કે નક્કી દાળમાં કાંઈક કાળું હશે! બાકી એક બહેન તરીકે મારામાં શી કચાશ છે? મારી લાગણીમાં, મારી વર્તણૂકમાં શું ખોટું છે?

Related Posts
1 of 281

લોહીના સંબંધમાં આપણે બધું જ સામી વ્યક્તિની ફરજ ગણી લઈએ છીએ. તે જે કંઈ કરે તે ઓછું જ કહેવાય તેમ ગણીએ છીએ. આથી પરસ્પરની કદર કરીને લાગણીનો સંબંધ વિકસાવી શકતા નથી. સગો ભાઈ કે બહેન – તે સ્વતંત્ર વ્યક્તિ છે. તેથી તેની મનહૃદયની ભૂખપ્યાસ, તેની રુચિ, ખ્યાલો બધું જ પોતાના કરતાં જુદું પડી જવાનો પૂરો સંભવ હોય છે. તેથી લોહીનો સંબંધ ભૂંસાઈ કે ભુલાઈ જતો નથી, પણ લાગણીના નવા સંબંધોને તે બાંધે છે અને તેમ કરવાનો તેને હક્ક છે. ભાઈ અને ભાઈબંધ બંને અલગ આધાર છે. તેની તુલના કે સ્પર્ધાનો સવાલ જ ન હોય. કૃષ્ણની સગી બહેન સુભદ્રા માટે તેને સ્નેહ છે, પણ જે સગી બહેન નથી તેવી દ્રૌપદી માટે કંઈક વિશેષ ભાવ છે. લાગણીની લેણદેણના આ સંબંધનાં મૂળ જોવા-તપાસવાનું મુશ્કેલ બને છે. ભાઈ મોટી આફતમાં આવી પડે ત્યારે સગી બહેન તેની વહારે ધાતાં જરા વિચાર કરે. ‘તારા બનેવીને જ તું વાત કર’ એવું કહીને સગી બહેન છૂટી જાય, જ્યારે મનની માનેલી બહેન કોઈની પરવા કર્યા વિના મદદનો હાથ લંબાવે તેવું બને છે.

મહાન રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કી જ્યારે કિશોર હતો ત્યારે તેની સગી માતા મરી ગઈ. સગી માતા માટે તેણે શોક ધારણ ન કર્યો, પણ કવિ પુશ્કિન ગુજરી ગયા ત્યારે કવિ પુશ્કિન માટે શોક ધારણ કર્યો! દોસ્તોવસ્કી પોતાની સગી માતાને ધિક્કારતો હતો કે માતૃદ્રોહી હતો એવું અનુમાન કરવાની જરૃર નથી. દોસ્તોવસ્કીની માતા સાથેનો લોહીનો જે સંબંધ હતો તે લાગણીનો સંબંધ બન્યો જ નહોતો. આવા રૃપાંતરની કોઈ તક મળે તે પહેલાં  માતા ચાલી ગઈ. અમેરિકન વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વે માતા સાથે લાગણીનો સંબંધ કદી બાંધી જ શક્યો નહીં. કોનો શો વાંક હતો તે નક્કી કરવું મુશ્કેલ છે.

તમે જન્મથી ભાઈ હો તો તમારે કર્મથી તમારી લાગણીની નક્કર ક્રિયાથી ફરી ભાઈ બનવું પડે છે. માત્ર રક્ષાબંધન કે ભાઈબીજના વહેવારથી ભાઈ-બહેન બનતાં નથી. બંને જણાએ ફરી તેનો તાજો રોપ બનાવવો પડે છે. એવી જ રીતે પિતાએ ફરી પિતાનો લાગણીનો પરવાનો રિન્યુ કરવો પડે છે. આ બધું કર્યા પછી પણ એટલો ખ્યાલ કરવો જ પડે છે કે લોહીનો ગમે તેટલો ગાઢ અને લાગણીથી ઘૂંટેલો સંબંધ ‘એકમાત્ર’ અને ‘એકાધિકાર’ બની ન શકે. કોઈ પણ વ્યક્તિના વિકાસ માટે આ હિતકારક પણ નથી. આપણો લોહી કે લાગણીનો સંબંધ પાકો, પણ બીજી શાખા માટે થોડી જગ્યા છોડી દેવી જોઈએ. આ બધા સંબંધોને સ્પર્ધાત્મક કે એકબીજાના વિકલ્પરૃપે જોવા-સમજવાની જરૃર જ નથી, બલ્કે એવી ગણતરી ખોટી છે. હું સારો પિતા રહી શકું અને સાથે-સાથે મારા પુત્રને માટે ‘પિતાતુલ્ય આદરની અધિકારી’ એવી બીજી વ્યક્તિ હોઈ શકે. એવી રીતે ભાઈ અને ભાઈબંધ બાબતમાં પણ બની શકે છે.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »