તમારા માટે, તમારી સાથે, સતત…

મારો વર સું કમાય સે  ઈ મુંને કંઈ ખબર નંઈ….

પરિવારમાં સહુ સાથે અનુકૂલન સાધવાનો રાજમાર્ગ છે.

0 343
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

સ્ત્રીઓ કંઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી હોતી, પરંતુ તેમની આત્મસૂઝ, નાની મોટી ટકોર અને દૂરદૃષ્ટિ આખા પરિવારને તારી દે છે

સ્ત્રીઓ પરિવારના વ્યવસ્થાતંત્રનો એક બહુ જ મહત્ત્વનો ભાગ છે. ભારતીય સમાજ આજે પણ પુરુષપ્રધાન સમાજ ગણાય છે અને એવું દેખાય છે, પરંતુ પરિવારના અર્થતંત્રના ઘણા સૂત્રો તો કુટુંબની મહિલાઓના નિર્ણયો અને વર્તનથી પ્રભાવિત હોય છે. સ્ત્રીઓના હાથમાં જે નાણા સોંપવામાં આવે છે અથવા તો પરિવારને ટેકો કરવા તેઓ નોકરી કરીને સ્વયં જે કમાણી કરે છે તે સ્વહસ્તકના નાણાના ઉપયોગમાં બહુ સંયમ અને સાવધાની દાખવે છે. ટેલિવિઝન ચેનલોમાં મહિલાઓને શોપિંગ મેનિયા હોય અને બહુ વધારે પડતા ઠાઠમાઠની ટેવ હોય એવું બતાવવામાં આવે છે જ્યારે કે વાસ્તવિકતા એ છે કે પરિવારમાં કરકસરના સંસ્કારોની આધારશિલા જ સ્ત્રી છે. સ્ત્રીઓ પોતાના મોજશોખ માટે મહદ્અંશે અવ્યક્ત રહે છે. લગ્ન પછી તો દરેક યુવતી પોતાના શોખને કે ભાવતા ભોજનને સાસરિયાંઓની પસંદગીઓમાં કન્વર્ટ કરી લે છે. તે પિતાના પરિવારથી જ્યારે પોતાના પરિવારમાં આવે છે ત્યારે તે ન દેખાય એવી પોતાની અનેક પસંદગીઓને પિતાના ઘરે જ જાણે કે મૂકીને આવે છે. એક નવા જ અવતારને તે ધારણ કરે છે. દરેક સ્ત્રીનું લગ્નોત્તર જીવન એક નવા જ પંથનો પ્રવાસ હોય છે.

નવી વહુને શું ગમે ને શું નહીં, એ જલ્દી તો કોઈને ખબર પડતી નથી. એ જ એનો પોતાના પરિવારમાં સહુ સાથે અનુકૂલન સાધવાનો રાજમાર્ગ છે. આજે દેશમાં છુપી મંદીનો માહોલ છેલ્લા એક દાયકાથી છે. બે-ત્રણ પ્રકારની બેરોજગારીએ પરિવારોને અકળામણમાં ધકેલ્યા છે. પરિવારના જે સંતાનો યુવાન થયા છે તેઓ અગાઉના જમાનાની જેમ ઝડપથી કામધંધે લાગતા નથી એ એક પ્રકારની બેરોજગારી છે. બીજો પ્રકાર એ છે કે વેપારમાં નફો ઘટ્યો છે અને ખેતીમાં ખર્ચ વધ્યો છે – ઉપજ ઓછી થતી જાય છે. મોસમની અનિશ્ચિતતા વધતી જાય છે. અનેક પરિવારોની જૂની બચતો ઘસાઈ ગઈ છે. જેટલી આવક છે એનાથી અધિક જાવક હોય એવા પરિવારો તો દેશમાં સિત્તેર ટકાથી વધુ છે. આવા સંજોગોમાં સ્ત્રીઓ જ ઘરનું ગાડું ચલાવે છે. એને કોઈએ કહેવું પડતું નથી. એ આપોઆપ સમજી જાય છે. ક્યારેક તો તે આવનારા વસમા દિવસોને ધ્યાનમાં રાખીને ઘર ચલાવવાની પોતાની આખી પ્રણાલિકા જ બદલી નાંખે છે.

આપણે ત્યાં ગુજરાતમાં કેટલીક સંસ્થાઓ છાને પગલે સામાજિક સેવાનાં કામો કરે છે. સેવા નામની એવી એક સંસ્થા છે જેના દેશમાં દસ લાખથી વધુ મહિલા સભ્યો છે. આ સંસ્થાના વડા ઇલાબહેનને દુનિયાના અનેક દેશો બોલાવે છે. એક વાર દક્ષિણ આફ્રિકામાં આર્થિક ઉદ્ધાર માટે તેઓ માર્ગદર્શન આપવા ગયા. ત્યાં તેમણે તમામ આફ્રિકન દેશોના ગૃહસ્થોને એક જ સલાહ આપી કે તમે તમારી ગૃહિણીના હાથમાં વધુમાં વધુ પૈસા મૂકો તો રાતોરાત તમે ઊંચા આવી જશો. આ ઇલાબહેનને આંતરરાષ્ટ્રીય મેગસેસે જેવા અનેક ઍવૉર્ડ મળ્યા છે. એમની વાત આપણે માટે પણ એટલી જ સાચી છે ભલે આપણે આફ્રિકન દેશમાં ન રહેતા હોઈએ. જે ગૃહસ્થો પોતે ઘરમાં આવક અને જાવકની ચોખવટ રાખતા નથી તેમનો હિસાબ ઠેબે ચડી જાય છે. સ્ત્રીઓ કંઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી હોતી, પરંતુ તેમની આત્મસૂઝ, નાની મોટી ટકોર અને દૂરદ્રષ્ટિ આખા પરિવારને તારી દે છે. જમાનો એવો આવ્યો છે કે

ગૃહસ્થે એકલાએ પલાખા ગણવાની જરૃર નથી. જો પહેલેથી જ ઘરમાં ચોપડા ખુલ્લા હોય તો સંકટનો સામનો સામુદાયિક રીતે થઈ શકે છે નહિતર ગૃહસ્થ એકલો એકલો જ મુંઝાઈ જાય છે અને વધારે પડતી આર્થિક મૂંઝવણ વધુ મોટી આપત્તિ નોતરે છે. એ લોકો બચી જાય છે જે ગૃહિણીથી ખાનગી કોઈ વ્યવહાર કરતા નથી.

Related Posts
1 of 57

તેઓ જે કંઈ હિસાબી કામકાજ હોય એ ઘરમાં મૌખિક તો મૌખિક પણ એક રીતે રજિસ્ટર્ડ રાખે છે. આર્થિક વ્યવહારોમાં તો એવું છે કે જરાક ભૂલચૂક કરો કે વાજા વાગે અને છેવટે ઊભી બજારે એના ઢોલ વાગે. છેલ્લાં પાંચ વરસમાં સુરત, બાપુનગર, વાપી અને મુંબઈમાં અનેક લોકોના ફૂલેકા ફરી ગયા છે તેના મૂળમાં ઘરથી છાના થયેલા વ્યવહારો છે. એ પછી પાંચ-પચીસ હજારના હોય કે બે-પાંચ કરોડના હોય, ભૂલ કરો એટલે વાજા વાગ્યા વગરના ન રહે. ભૂલો એના મૂળભૂત સ્વરૃપમાં બહુ નાની હોય છે, પરંતુ આગળ જતાં એ જ નાની-નાની ભૂલોના સરવાળા બહુ મોટા બેસે છે અને એવા સરવાળા બેસે એ પછી ગૃહસ્થોને ‘ઉઠાડી’ મુકે. આવા ઊઠી ગયેલા નમૂનાઓથી અત્યારે તમામ બજારો છલકાય છે. આ પરિસ્થિતિ સુધરશે, પણ સમય લાગશે કારણ કે જે લોકોએ બજારમાં ગોથા ખાધા છે તે તમામ કિસ્સાઓમાં તેઓ એકલા દોષિત નથી. ઉપરના હવાલાઓના વળ છેડે આવતા સુધીમાં નાના-મોટા અનેક વેપારીઓને સપાટામાં લઈ લે છે. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં જે જે વ્યવહારદક્ષતાની વાત કરી છે એનું જો ખરેખર પાલન કરવામાં આવે તો અનેક આર્થિક દુર્ઘટનાઓ નિવારી શકાય છે. કોરોનાને કારણે હજુ તો અનેક કસોટીઓ બાકી છે. એક સિદ્ધાંત છે કે કુદરત સમસ્યા મોકલે એ પહેલાં એનો ઉકેલ મોકલી આપે છે, પરંતુ ઉકેલ સુધી પહોંચતા મનુષ્યને સમય જાય છે એ સમયમાં જો એ ટકી રહે તો કોઈ પણ વ્યક્તિ હારેલી બાજી ફરી જીતી જાય છે અને એમની વાતો કરનારી દુનિયા જોતી જ રહી જાય છે.

પર્સનલ ફાઇનાન્સ બહુ રસપ્રદ વિષય છે. બધાને બધી જ ખબર હોય છે છતાં પોતાની હોશિયારીના ખુશનુમા ખયાલમાં ભલભલા લોકો ઊંધે માથે પટકાયા છે. સમાજમાં એક એવો નવો વર્ગ અસ્તિત્વમાં આવેલો છે કે એમની આવક કેટલી છે તે એમના પરિવારજનોનેય ખબર હોતી નથી. રૃપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ ખબર જો પરિવારને ન હોય તો એ ચોક્કસ પતનનો માર્ગ હોય છે. પરિવારમાં પણ જે લોકો પોતાના હિસાબી કામકાજ ખુલ્લા રાખતા નથી એના ચોપડા એવા અંટસે ચડે છે કે એક દિવસ એ ગામના ચોકમાં ખુલ્લા પડે છે. આજે સમાજમાં એવી અનેક ગૃહિણીઓ છે કે એનો પતિ કેટલું કમાય છે અને એ આવકમાંથી કેટલા ખર્ચ અને કેટલી બચત કરે છે એ ખુદ એની ગૃહિણી જ જાણતી હોતી નથી. સુરતમાં આવા પરિવારોની સંખ્યા હમણા વધી ગઈ છે. જિંદગી સદાય તો કોઈના હાથની વાત નથી. ચડતા-પડતા રહેવું એ તો જીવનનો ક્રમ છે. કોઈ પણ પ્રકારનું સંકટ આવવું એ તો જિંદગીની જ લાક્ષણિકતા છે. આ જગતમાં જે જીવસૃષ્ટિ છે તેમાં કોઈ અસ્તિત્વના સંઘર્ષથી મુક્ત નથી.

જેઓ ગણતરી કર્યા વિનાના સુખ ભોગવવા જાય છે તેમણે આખરે દુઃખના દિવસો જોવાનો વારો આવે છે. સમાજમાં કેટલાક આદર્શ પરિવારો પણ છે કે જેઓ પછેડી પ્રમાણે જ સોડ તાણે છે. બજારમાં એમની પાઘડી કદી ઉછળતી નથી અને એમણે ટોપી ફેરવવાનો વારો આવતો નથી. ગુજરાતી પાસે જે છે તે રૃપિયો કંઈ નાનોસૂનો નથી. મધ્યકાળથી છેક ઓગણીસમી સદી સુધી ગુજરાતીઓએ વહાણવટુ ખેડેલું છે. દુનિયાનાં તમામ બંદરો પર ગુજરાતીઓના વાવટા ફરકતા હતા. ડંકો વગાડીને ગુજરાતે જુગજૂની કમાણી કરી છે. એ જમાનામાં છોકરો જુવાન થાય એટલે એને વહાણે ચડાવતા. લોકો એકબીજાને પૂછતા કે એલા, તારો છોકરો વહાણે ચડ્યો કે નહીં? ઘર ગુજરાતીઓને એટલા વ્હાલા ન હોય જેટલા વેપાર માટેના પારકા પાદર ગમતા હોય. આજેય ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે એના મૂળમાં પાછલી પેઢીઓના દાદા આદમના જમાનાના વહાણવટાના સંસ્કાર છે. છતાં છેલ્લા કેટલાક સમયથી આ મહાજાતિ સહેજ પાછી પડી રહી છે. એનું કારણ શું છે તે સહુ સરળ આત્મદર્શનથી પોતપોતાની રીતે જાણે જ છે. કોઈને કંઈ કહેવાની જરૃર જ ક્યાં છે? પણ સમજણની ‘માલિપા’ કંઈ આવે જ નહીં તો એમાં કોઈ શું કરે?

ગુજરાતમાં છે એનાથી વિષમ પરિસ્થિતિ બીજા રાજ્યોમાં છે, પરંતુ એ રાજ્યોમાં જીવન જીવવાનો અને પરિવારને નિભાવવાનો પડતર ખર્ચ બહુ ઓછો આવે છે. આપણે ત્યાં તો નજીકનું એક પરિવાર ક્રુઝમાં મુંબઈથી ગોવા સફર કરી આવે એટલે પડખોપડખના બીજાઓને પણ લ્હાય લાગે કે હાલો આપડેય ઉપડીએ. જમાનો જ જો નહીં સમજાય તો બીજું કંઈ જ નહીં સમજાય. સ્નેહ, સંબંધો અને વ્યવહાર તો નાનાને મોટા સાથે અને મોટાને નાના સાથે હોય જ, કારણ કે આપણો સમાજ પરસ્પરાવલંબનથી ટકેલો છે, પણ એમાં લાંબા વાંહે ટૂંકો જાય એ રીતે મરે નહીં ને માંદા થાય એ રસ્તો અખત્યાર ન થઈ જાય અને ભૂલેચૂકેય દેખાદેખીની હોડમાં ન ઊતરી જવાય એ સાવધાની ગૃહસ્થ અને ગૃહિણી બંનેએ રાખવાની છે. જિંદગી બહુ જ મનોહર અને રળિયામણી છે. નાની અમથી વાતમાં એ ઠેબે ન ચડી જાય એનું ધ્યાન રાખવા જેવું છે. પરિવારને જેઓ વ્હાલથી વીંટળાયેલા છે તેઓને ઘરમાંથી જ જ્ઞાન ગંગા મળે છે. વેપારધંધાના કામકાજ સિવાય બહાર બહુ ભટકવાની જરૃર નથી. ડિજિટલ યુગને કારણે હવે તો આંગળીના ટેરવે આનંદ છે. એયને વહેલી સવારે બે પ્રભાતિયા સાંભળીને ઘડીક હરિનામ લઈ દિવસની શરૃઆત કરે એનો સૂરજ સોનાનો છે.

રિમાર્ક –

રામ તોહે ચરણનન હી ધન રામ તુંહી હૈ સુખ, તોહે બિસારે મૈં દરદર ભટકુ તોહિ બિન પાવત દુઃખ..!

—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »