તમારા માટે, તમારી સાથે, સતત…

શાંતિ એટલે શું?

અશાંતિની ગેરહાજરી એટલે શાંતિ?

0 1,005
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

શાંતિ શાંતિ સૌ કરે, શાંતિ પામવા મથે જૂજ
અશાંતિનું જ્ઞાન ગજવે ના બચે લગીર સૂઝ

શાંતિ એટલે શું એવું કોઈને પૂછવાનો સામાન્ય સંજોગોમાં ખાસ અર્થ નથી સરતો. પ્રશ્ન પૂછનાર શાંતિ પામી ચૂક્યો હોય તો એણે આ પ્રશ્ન પૂછવાનું સાહસ કે કદાચ દુઃસાહસ કર્યું કહેવાય. જવાબ અશાંતિ સર્જી શકે છે. અશાંતિ પામેલો વ્યક્તિ જ્યારે કોઈને આ પ્રશ્ન પૂછે છે ત્યારે જેને પૂછ્યો હોય તે શાંતિમાં છે તેમ તે ધારી બેઠો હોય છે. વાસ્તવમાં પ્રત્યેક માણસ શાંતિ અંગે ધારણા કરતો રહેતો હોય છે. બેશક શાંતિની વ્યક્તિગત કે સર્વમાન્ય વિભાવના નિશ્ચિત શબ્દોમાં પામનારા જૂજ હશે. ઘણા શાંતિ અંગે સ્વપ્ન સેવતાં હશે. અમુક શાંતિ અંગે અવલોકન કરતા હશે. કેટલાંક શાંતિ અંગે અભ્યાસ કરતા હશે. થોડા અપવાદ એવા પણ હોઈ શકે છે જેમને શાંતિનો પૂરો અનુભવ હોય. શાંતિ એટલે શું એ બાબતે શિક્ષણ મેળવવાથી શાંતિ મળે? રેશનલ માઇન્ડ વડે કે લોજિક દ્વારા શાંતિ એટલે શું એવું સમજી શકાય એ પણ ધારણા, માન્યતા કે કલ્પના હોઈ શકે છે. સૈદ્ધાંતિક કે પુસ્તકિયો અભિગમ રાખીને ઊંડા ઊતરીએ તો આપણુ ફાંટાબાજ મન ‘ને બહુમુખી મગજ શાંતિના પ્રકાર ‘ને વર્ગીકરણ દર્શાવી નવા-નવા પ્રકારની અશાંતિમાં આપણને ડૂબાડી શકે છે.

સંપૂર્ણ એવમ લાંબા સમય સુધી શાંત રહ્યા હોય તેને શાંતિ પ્રાપ્તિ થઈ હોય તેવું શક્ય છે. શાંતિ મેળવી ચૂકેલો માણસ સંપૂર્ણ એવમ લાંબા સમય સુધી શાંત રહી શકે. જોકે શરીર શાંત થઈ જવું અર્થાત મૃત્યુ થવું. મૃત્યુ શીખવાની, જાણવાની કે સમજવાની બાબત છે? સાચેસાચું તો મૃત્યુ પામ્યા હોય તેમને જ ખબર હોય કે મૃત્યુ એટલે શું? મોતના મોંમાંથી બહાર આવી શકાય છે, પેટમાંથી નહીં. મૃત્યુ પામ્યા પછી કોઈ જીવન પામી ના શકે. રહ્યો મુદ્દો ભૂત વગેરે પ્રકારના આત્માનો તો એમનામાં ‘ને એમની વાતોમાં કોણ પડે? એવા જીવ હોય તોય એ અને માણસ જુદા જીવ એટલે એમના બયાન આપણે શરીરમાં રહીને માણસ તરીકે જીવન જીવતી વખતે પૂર્ણ ઉપયોગમાં લઈ શકીએ કે નહીં, એ ડાઉટફુલ બાબત છે. મામલો માણસ તરીકે શાંતિ એટલે શું તે શીખવા, જાણવા ‘ને સમજવાનો છે. કેમ કે અશાંતિનો સહેજ પણ અનુભવ ના હોય ‘ને એ અનુભવનો જાગૃતપણે અહેસાસ ના હોય એવો કોઈ સમજુ માણસ ના હોઈ શકે.

અશાંતિની ગેરહાજરી એટલે શાંતિ? શાંતિ વત્તા અશાંતિ એટલે કુલ સ્થિતિ એમ ઘણા માનનાર ધારે છે કે જેટલી અશાંતિ ઓછી એટલી શાંતિ વધુ. ઘણા આગળ ઉમેરે છે કે અશાંતિને અશાંતિ તરીકે ઓળખી ‘ને અપનાવવાની જરૃર નથી. અશાંતિને ઓળખવાનો ઇનકાર કરતા જાવ એટલે અશાંતિ આપોઆપ ભાંગતી ‘ને ભાગતી જાય અને શાંતિ મળતી જાય. જી, આવો શાબ્દિક વ્યાયામ નશામાં જેમ શાંતિ મળતી હશે લગભગ તેમ ઉપભોક્તાને લાવી આપી શકે. હકીકતમાં ફક્ત ‘ને માત્ર અશાંતિના સાપેક્ષ કે સંદર્ભમાં જ શાંતિ હોય તેવું નથી. સ્વિડન જેવા બેસ્ટ લિવિંગ કન્ડિશન આપતાં દેશ વા સમાજમાં નોંધપાત્ર આપઘાતના બનાવ બન્યા ત્યારે સંશોધન કરવામાં આવેલું. તારણ આવેલું કે બધું જ એકદમ પરફેક્ટલી કરેક્ટ હોવાને કારણે માણસોમાં મૃત્યુની ભૂખ ઊઘડતી હતી. આપઘાતી વલણ રાખનારાને વિષમ પરિસ્થિતિ વિના પોતાનું મહત્ત્વ હોવાનો અનુભવ જ નહોતો થતો. યસ, અમુક-તમુક ભૌતિક શાંતિ જ્યારે સહજ આદત બની જાય ત્યારે એ ભૌતિકવાદી માણસ માટે રોગ બની જાય છે.

પાણીમાં તરવા માટે જાતે પરિશ્રમ કરવો પડે, પણ એકના એક સ્થાન પર તરી ના શકાય. તદ્દન મહેનતશૂન્ય થાવ એટલે કે શાંત થાવ તો પાણી પર તરતાં રહી શકો, પણ તેમાં એક સ્થાનેથી બીજા સ્થાને ના જઈ શકો. અમુક હદ સુધી એક સ્થાનેથી બીજા સ્થાને તરીને પહોંચવાની કે સ્વિમિંગ કરવાની શાંતિ મળે એટલે અશાંતિ મળવાની તૈયારી થઈ જાય. શાંતિમાં રહીને એક જ સ્થાને મગરની જેમ પડ્યા રહેવાની સહજ તારકતા યાને બોયન્સી કેળવી લીધા પછી વધુ શાંતિ મેળવ્યા બાદ અશાંતિ મળવાની શરૃઆત થઈ જાય છે. બરાબર ધ્યાન લગાડવા શાંતિ રાખવી પડે. બરાબર ધ્યાન લાગ્યા પછી શાંતિ મળે. છતાં કોઈ એક મૂવમેન્ટ એવી આવે કે એ શાંતિ ઉર્ફે ધ્યાનમાંથી બહાર નીકળવાનું થાય છે. બેશક, ટુ સ્વિમ ‘ને ટુ મેડિટેટ વચ્ચે ઘણો ફરક છે, બંનેની આફ્ટરઇફેક્ટ્સમાં પણ ઘણો ફરક છે. કિન્તુ, શાંતિ ‘ને અશાંતિ વચ્ચે કોઈ પાતળી રેખા હોય તેવું પણ નથી. બંને તરંગો એકબીજામાં ક્યારે ભળી જાય છે તે ભોગવનારને ભાન નથી રહેતું. સમુદ્રમાં મોજાનું પાણી ‘ને મોજા ના હોય તે પાણી અલગ નથી પડતું.

કહે છે કે મૃત્યુ સુધી બહુધા વ્યક્તિનું કોન્શયસ કે પછી સબકોન્શયસ માઇન્ડ અશાંત હોય છે. અધૂરી કે અપૂર્ણ ઇચ્છા ‘ને બાકી રહેલાં કર્મ અંગે ઘણાને શંકા હોઈ શકે છે, ઘણા એ બાબતો અંગે કૅરફ્રી કે કૅરલેસ હોઈ શકે છે. છતાં બ્રેઇન નામક વેરહાઉસમાં મૃત્યુ અગાઉ તૂટેલાં, વિખેરાયેલાં કે બિલકુલ બોક્સ પેકિંગમાં પડેલાં સપનાંની યાદ સચવાયેલી હોય છે. મેમરી બડી જાલિમ ચીજ હૈ. ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે કોઈ પણ કણ જરીક હલે તોય તેની અસર સમસ્ત બ્રહ્માંડ પર થાય છે, તેના પડઘા ઊઠે છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણા થકી જે તરંગ સમષ્ટિમાં મુસાફરી કરી ‘ને જે-જે ખલેલ પેદા કરે છે તે તમામ ખલેલ વળતાં તરંગ સ્વરૃપ મૂળ પેરેન્ટ વૅવના સોર્સ એવા આપણને પરત મળે છે. એ રીતે અશાંતિનું મૂળ ચલન છે. જંગલમાં અશાંતિ હતી તે ગોપજીવન શરૃ કરેલું. ત્યાં અશાંતિ લાગતાં ગામડાં બનાવ્યાં. ગામડાંમાં અમુક અશાંતિ ઓળખી કાઢી તો શહેર વસાવ્યાં. ઉત્ક્રાંતિ શાંતિ તરફ આગળ વધી. ઉત્ક્રાંતિ અશાંતિ તરફ આગળ વધી. ઉત્ક્રાંતિ શાંતિ તરફ પાછી ગઈ. ઉત્ક્રાંતિ અશાંતિ તરફ પાછી ગઈ. ઘણે અંશે ચારે વાક્ય સમાન સિદ્ધ થાય છે.

શક્તિ સંચયનો નિયમ હોય કે હિન્દુ વા ભારતીય દર્શનનો સિદ્ધાંત, પરિવર્તન એ નિરંતર સ્થિર રહેતી વાસ્તવિકતા છે. પરિવર્તન કહો કે રૃપાંતરણ, ચલણ વડે થાય ‘ને આખરે ચલન સર્જે. અસ્થિરતા સર્જે. અશાંતિ સર્જે. આપણને એમ થાય કે તો તો એનો અર્થ એ થાય કે જડ એટલે શાંત ‘ને શાંત એટલે જડ. શક્ય છે એ અર્થ થાય. શક્ય છે જીવંત હોવું એટલે જ અશાંત હોવું, પરંતુ એ મુદ્દે આધ્યાત્મ એવું જણાવે છે કે સ્વયં તરફથી કોઈ પ્રોએક્ટિવિટી કે એક્ટિવિટી વિના અસ્તિત્વ કે કુદરત એની મેળે જે કરે તે પ્રવાહમાં જોડાયેલા રહેવાથી જીવંત પણ રહેવાય ‘ને અશાંત થવાથી પણ દૂર રહી શકાય. ભૌતિકશાસ્ત્રના ઘણા ઉત્તમ વિજ્ઞાનીઓ માને છે કે જ્યારે અણુ કે પરમાણુને બહારથી જોવામાં આવે છે ત્યારે તે તેમનું વર્કિંગ ચેન્જ કરી નાખે છે અથવા તેમનું વર્કિંગ ચેન્જ થઈ જાય છે. ભાવાર્થનું કહેવાનું કે માત્ર પોતાના જીવનમાં પોતાના તરફથી માનસિક કે શારીરિક રીતે જે એક્શન અમલમાં મૂકાય કેવળ તે જ યુનિવર્સમાં દખલ કરી શકે તેવું નથી. ફક્ત નજર ફેરવવા કે પડવાથી પણ વલય ઉત્પન્ન થાય તેવી શક્યતા ભારોભાર છે.

સ્ટેબિલિટી ‘ને સ્ટેડિનેસ. કૂલ ‘ને કામ. આ શબ્દોના પર્યાય તરીકે એક સુંદર શબ્દ વપરાય છે- ઇક્વિલિબ્રિઅમ. સમતોલપણુ. સમભારત્વ. તુલ્યાર્થતા. આપણે ત્યાં રામ રાખે એમ રહેવું કે જેવી માલિકની મરજી એવી ઉક્તિ છે. ઇક્વાલિટી ‘ને સિમેટ્રી અલગ ચીજો છે. હાર્મની અર્થાત સુમેળ, સપ્રમાણતા કે એકતાનતા કરતાં પણ આ નોખી ચીજ છે. પાણીનો કયો જથ્થો ક્યારે મોજું બનશે ‘ને ક્યારે એ ઊંડાણમાં જઈને મોજાં તરીકે હવામાં ઊછળીને જમીન પર પછડાવાથી દૂર થશે એ પાણીનો કોઈ જથ્થો કે દરિયો નક્કી નથી કરતો. સાગરમાં એકથી વધુ પ્રકારના પાણીના જથ્થા પાડી શકો, છતાં એ જથ્થામાંથી એકને પણ સમંદરના ટેગથી વંચિત ના કરી શકો. હું મોજું જ બનીશ ‘ને હું મોજું બનીશ જ એવી કોઈ હઠ શક્ય નથી. ના, હું તળિયાની રેતીનો સ્પર્શ નહીં જ ગુમાવું એવી અભિલાષા પણ ના ચાલે. મહેસાણાના કોઈ ગામ પરનું કોઈ વાદળું કહે કે મારે તો ન્યૂયૉર્ક પહોંચવું જ છે કે બાંગ્લાદેશની ઉપરની કોઈ હવાનો ભાગ એમ કહે કે અમારે તો અમદાવાદના ચંડોળા તળાવ પર જ જવું છે તો એમ ના ચાલે, પરંતુ માણસ જેવા જીવમાં ‘હું છું’ એ માહિતી સખત રીતે ઘર કરી ગઈ છે. એ ઘડી ઘડી રણક્યા કરે છે કે મેં તો નાચૂંગી.

અશાંતિ જન્મવા માટે અવકાશ છે તેનું મુખ્ય કારણ સ્પેસ છે. પાંચ મહાભૂતની રીતે જોઈએ તો આકાશ તત્ત્વ છે. દરેક અણુની અંદર ‘ને અણુ અણુ વચ્ચે એટલી બધી ખાલી જગ્યા છે કે જો બ્રહ્માંડના સર્વે અણુને પાવર પ્રેસથી એકદમ સોલિડ કરીને તમામ અણુઓને એકબીજા સાથે એ જ રીતે એકાકાર કરી દેવામાં આવે તો સમગ્ર બ્રહ્માંડ હાલની તેની સાઇઝ સામે પરચૂરણ જેવડું થઈ જાય. પરંતુ, જે છે તે છે. બાકી વિચારવું જ હોય તો એમ પણ વિચારી શકાય કે દરેક અણુ સિમ્પલિફિકેશન પામતાં જાય તો આખરે હાઇડ્રોજન જેવા બેઝિક સ્વરૃપ પર આવીને ઊડી જઈ શકે છે. અસ્તિત્વનું જનરેશન થઈ ગયું છે, આ ઑપરેશનલ મોડ ચાલુ છે. શાસ્ત્ર કે સાયન્સ મુજબ નજીકના સમયમાં વિસર્જન થાય એવા કોઈ ચાન્સ નથી. જો હૈ સો હૈ. સ્પેસ યાને જગ્યા કે અવકાશનો વ્યાપ આજના માણસની કલ્પના એવમ સમજ બહારનો છે. બ્લેકહૉલના અત્યંત દૂરથી ફોટા પાડ્યા છે એવું આપણે માનીએ છીએ. બ્લેકહૉલનું દ્વાર કે તેની અંદર શું એ થિયરીમાં પણ સાચું કે પૂરું નથી આવ્યું.

Related Posts
1 of 57

વ્હાઇટહૉલ એટલે મહાકાય ઉદ્ગમસ્થાન અંગેનાં સંશોધનો તો ક્યારે થશે કોને ખબર. આકાશ તત્ત્વ પાંચ ચક્રમાં સૌથી ઊંચે છે. યોગ શાસ્ત્ર અનુસાર શિવ ‘ને શક્તિનું ખરું ઐક્ય આકાશનીય ઉપર થાય. તંત્ર કહે છે કે શરીરમાંથી જ્યારે શક્તિ ઉર્ફે કુંડલિની ઉર્ફે કાલી નીકળીને શિવ ઉર્ફે મહાકાલને મળે એટલે મૃત્યુ. હા, એ જ પરમ કે અંતિમ શાંતિ. અલબત્ત, એ મૃત્યુ દૈહિક ના પણ હોઈ શકે. આખરે શિવ ‘ને શક્તિની લીલાનો પ્રારંભ તેમના મિલન પછી થાય છે. વિજ્ઞાન જાણે છે કે ધન ભારિત પ્રોટોન ‘ને ઋણ ભારિત ઇલેક્ટ્રોન મળે યાને એક થાય તો શું થઈ શકે તે અંગે અધધ સંભાવના છે. સમજવા પૂરતું કાલી એટલે બ્લેકહૉલ. કાલ એટલે સમય. અને આ બે વિભાવના સમસ્ત અસ્તિત્વના લેવલ પર તેમ જ પિંડે બ્રહ્માંડે ન્યાય મુજબ કણ કણના સ્તર પર પણ. ઇટ ઇઝ વ્હોટ ઇટ ઇઝ, બટ વ્હાય? આપણે મૂળ સ્થિતિમાંથી વિચલન પામી ભૂત, વર્તમાન ‘ને ભવિષ્યની પરિસ્થિતિમાં આવ્યા છીએ. એક બિંદુમાંથી ઘણીમાંની એક આકાશગંગા પ્રગટ થયેલી.

એકમાંથી બે કરીને આદિ ‘ને આદ્યા બન્યા. શાંતિ હતી, અશાંતિ છે ‘ને રહેશે. દ્વિભાજન ચાલતું જ ગયું ‘ને ચાલશે. અંત ફરીથી જ્યારે આરંભ બનશે ત્યારે જે ચક્ર પૂર્ણ થશે તે થશે. અત્યારે તો આરંભ પછી અનેકો અવનવા પેટા આરંભોની શ્રેણીઓ જન્મી ચૂકી છે અને એ પ્રત્યેક આરંભ બિંદુ પોતાને જ આદિ ‘ને આદ્યા માનીંને આગળ વધ્યા છે. નિઃસંદેહ, એ ખોટા નથી. કિન્તુ પૂર્ણ સાચા નથી. સત્યનો જ વિજય થાય છે, અન્ય કશાનો નહીં. તેનો અર્થ એય ખરો કે અંતિમ યુદ્ધ પછી જે વિજયી થશે તે સત્ય. કેમ કે અસત્ય જેવું પ્રથમથી કશું હતું જ નહીં. કેવળ સત્ય જ હતું. અસત્ય જન્મ્યું જ છે સત્યના વિકલનની પ્રક્રિયામાં. એકમાંથી આદિ ‘ને આદ્ય એકમેકથી છૂટાં પડે ત્યારે ઘસારો કહો કે શેષ વધે એ અસત્ય અને આ છૂટા પડવાની પ્રક્રિયામાં જગ્યા પડતી ગઈ, વધતી ગઈ. અંતે થયું એવું કે દરેક તત્ત્વ માને છે કે અહમ સત્યાસ્મિ. એથી આગળ વધીને દરેક તત્ત્વ બાકીના દરેક તત્ત્વને કહે છે કે તમે સત્યમાં એટલે કે મારામાં આવી જાવ અથવા હું તમને મારામાં સમાવી લઉં.

એ જ ગુરુત્વાકર્ષણનો નિયમ. ડાર્વિન કે અગ્નિપથના વિજય દિનાનાથ ચૌહાણ કહે છે તે મોટું નાનાને ખાય એ અહીં યાદ કરી શકાય, પરંતુ ગુરુત્વાકર્ષણનો નિયમ વધુ સ્પષ્ટ છે, માણસે જાહેર કરેલી લાગણીના સ્પંદનમાં મર્યાદિત નથી. સમગ્ર અસ્તિત્વમાં પ્રત્યેક કણ અન્ય તમામ કણને પોતાના તરફ આકર્ષે છે, એ રીતે તે સાથે પ્રત્યેક કણ બાકીના તમામ કણ પ્રત્યે આકર્ષાય છે. આ સર્વે આકર્ષણ બળમાં વિજયી થવાનો મુખ્ય આધાર ગુરુતા પર છે. બે સમાન કદ કે સાઇઝના કણમાં જે કણમાં જગ્યા ઓછી એ જીતે. બંને સરખા હોય તો સ્વાભાવિક છે અન્ય કોઈ તેમના કરતાં ગુરુ કણ હશે તેની અસરમાં એ બંને આવશે કે આવ્યા હશે. અત્રે એ પણ નોટ કરવા જેવું કે સમાન સાઇઝ હોય તેવા બેમાંથી એકનું દળ વધુ હોય એ જીતે એટલે અંતે એની સાઇઝ વધે. અતઃ ગુરુત્વાકર્ષણબળમાં વિજયી થવા સાથે જે-તે કણનું દળ તેમ જ તેનો વ્યાપ વધતાં જાય તેવી શક્યતા ભારોભાર અને એવામાં પોતાનો ગુરુ મળી જાય તો પોતાનું વજન વધી જાય ‘ને પોતે ગુરુ તરફ ખેંચાઈ જાય.

વેલ, અહીં આધ્યાત્મને કાવ્યમય ભાષા સાથે જોડીએ તો એવું કહી શકાય કે પોતાનામાં રહેલી ખાલી જગ્યાઓ દૂર કરતાં જઈએ તેમ ગુરુ શક્તિ વધે તથા ગુરુની વધુ નજીક જતાં જઈએ તેમ પોતાનું વજન ઘટે અને અંતે વાયુ તો ઠીક, આકાશથીય હળવા થઈને ઊંચે ઉડાન ભરતાં ઉદય પામતાં જઈને ‘ને પ્યોર એન્ડ પરફેક્ટ એવા આદિ પ્લસ આદ્યાના ટોટલ બની શકીએ. ઓફ કોર્સ, ગુરુત્વાકર્ષણના નિયમના શિકાર થયેલાને એ ભાન નથી હોતું કે તેના બળના વ્યાપ બહાર પણ અકલ્પ્ય દુનિયા છે ‘ને એ પોતે એવી દુનિયાઓની ગિરફતમાં છે. અન્ય પર હાવિ થવાનો, અન્ય પર કાબૂ મેળવવાનો જે સહજ આવેગ વત્તા સ્વભાવ હોય છે તેને કારણે વાસ્તવમાં એ કર્તા પોતાના ગુરુઓની પોતાના પર થતી અસરને ઓળખી નથી શકતો. ગુરુ હંમેશાં શ્રેણીમાં ઉપર યાને પાછળ હોય ‘ને આ બાજુ કર્તાને આગળ જઈ શ્રેણી લંબાવવી હોય છે. કૅન્સરના કોષની ખાસિયત આ જ હોય છે કે એણે પેરેન્ટ સિસ્ટમથી અળગા થઈ પોતાની દુકાન ચલાવવી હોય છે. હકીકતમાં એ સ્વતંત્ર થવાના નામે અળગું થઈ જ ના શકે. ચેઇન તૂટે એટલે સાઇકલનાં બે પૈડાં એકબીજાથી આઝાદ થાય, કિન્તુ જીવતાં ના રહી શકે. બેશક, અહીં સાઇકલ નહીં, ટ્રેનનું ઉદાહરણ થોડુંઘણુ બંધ બેસે.

કોઈ કણમાં કેટલું ભર્યું છે એ તેનો માસ નક્કી કરે છે. માસ એટલે માણસો કે વસ્તુનો જથ્થો પણ થાય. ગુરુત્વાકર્ષણ બળ માસ પર આધારિત છે ‘ને માસ પર ગુરુત્વાકર્ષણ બળ આધારિત છે. યસ, બે કણ કે થિંગ કે માણસ વચ્ચે જે પરસ્પર ગુરુત્વાકર્ષણ બળ હોય તે તેમની વચ્ચેના અંતર પર પણ આધાર રાખે. સ્વાભાવિક છે આ અંતર એટલે વચ્ચેની ખાલી જગ્યા, કારણ કે જો વચ્ચે કશું પણ ભર્યું હશે તો જે-જે ભર્યું હશે તેનું પણ એકમેક સાથે ગુરુત્વાકર્ષણ બળ ચાલતું હશે. ગૂંચવાડો છે. અશાંતિ છે? ના, કુલે શાંતિ એ ગૂંચવાડો છે એટલે જ છે. ટોટલ કમ્પ્લિટ છે. દરેક કણ કોઈક અન્ય કણ માટે ગુરુ બનવા મથતો રહે છે. બન્યા પછી એ વધુ ગુરુ બનવા તરફ આગળ વધે છે. અંતે અન્ય એક કે વધુ આઈ પોતાનામાં વિલીન કરી એ વી નહીં સ્ટ્રોન્ગર ચ બિગર આઈ બને છે એવું એ સમજે છે. માણસના મનમાં કેટલા વિચાર આવ-જા કરે છે ‘ને રહે છે એ છોડો, કારણ સામાન્ય માણસ માટે એક વિચાર એક જીવંત તત્ત્વ નથી, પણ માણસના શરીરમાં કરોડો ઓર્ગેનિઝમ રહે છે તે યાદ રાખો.

માણસ જેને આઈ કહે છે તે રિયાલિટીમાં જુઠ્ઠાણુ છે. એક માણસ પોતે જે કરે છે તે વી તરીકે જ કરી શકે છે. આઈ કૅન નોટ બી સમથિંગ, આઈ ઈઝ ઓલવેઝ મેની મેની મેની થિંગ્સ. શરીરમાં રહેતાં કરોડો ઓર્ગેનિઝમ પોતપોતાનું ગુરુત્વાકર્ષણ બળ કામે લગાડતાં હોય છે. બે માણસ એટલે કરોડો સામે કરોડો ઓર્ગેનિઝમ વત્તા વચ્ચે ‘ને આસપાસ બીજાં કરોડો ઓર્ગેનિઝમ. માણસના વિચારનું મૂલ્ય છે જ. માણસની સંવેદનાનું અલગ મૂલ્ય છે. તેમ છતાં માણસનો જીવ માને પ્રાણ એક ઓર્ગેનિઝમથી પણ જઈ શકે છે ‘ને કરોડો ઓર્ગેનિઝમ મથે તોય ના જાય તેવું બનતું હોય છે. એમાં સિવિલાઇઝડ માણસનું તો શું કહેવું? આ માણસ પોતાની ઓળખ અર્થાત આઈડીને આદિ માની બેઠો છે ‘ને પોતાના આઇડિયાને આદ્યા માની બેઠો છે. આઈડી ‘ને આઇડિયાના સંયોગ થકી જે કશું પણ જન્મે તે વર્ચ્યુઅલ હોય કે સરિઅલ હોય. અતઃ વર્ચ્યુઅલ કે સરિઅલ શાંતિ જે આપે તે સ્વાભાવિક રીતે અનરિયલ જ રહેવાનું.

શાંતિ. કાલિંદીને પેટે કૃષ્ણથી થયેલ દશ માંહેનો એક પુત્ર. ચાલુ વૈવસ્વત મન્વંતરમાં અંગિરા ઋષિને સુરૃપા નામની સ્ત્રીથી થયેલ એક દીકરો. બૃહસ્પતિનો ભાઈ. તુષિત નામના બાર માંહેનો એ નામનો એક દેવ. યજ્ઞને દક્ષિણાથી થયેલ બાર માંહેનો એક દીકરો. વારુણિ અંગિરા ઋષિના આઠ માંહેનો ચોથો પુત્ર. વિષ્ણુના હજાર માંહેનું એક નામ. સોમવંશી પુરુકુળોત્પન્ન અજમીઢના પુત્ર, નીલનો પુત્ર એનો પુત્ર તે સુશાંતિ. કર્દમ પ્રજાપતિને દેવહૂતિને પેટે થયેલી નવ માંહેની સૌથી નાની કન્યા એ અથર્વણ ઋષિની સ્ત્રી હતી. સીતાના હજાર માંહેનું એક નામ. વારુ, આ રીતે શાંતિ એટલે શું એ સમજી શકાય? કોઈ કહેશે કે શાંતિ એટલે દૂરદર્શન પર આવતી હતી એ સિરિયલ. ઓકે, તો હું કહીશ કે શાંતિ એટલે દક્ષ પ્રજાપતિએ ધર્મઋષિને આપેલી તેર માંહેની એક કન્યા, જેના પુત્રને નામ આપવામાં આવ્યું હતું સુખ. સમજ્યા? જેણે સુપ્રીમ ટ્રુથ જોયું છે એવા આર્ષદૃષ્ટા માને સીઅર જે આદિ સત્ય ધારણ કરીને આચરણમાં મૂકે તે ઋષિએ સુખના જન્મ માટે જેને પસંદ કરેલી તે વિજ્ઞબુદ્ધિ અર્થાત દક્ષ સાથે સર્વોચ્ચ દર્દ અર્થાત પ્રસૂતિના મેળાપથી જે જન્મેલી તે આદ્યા એટલે શાંતિ.

ભાષાકોશ શાંતિ અંગે ઘણુ કહે છે. શાંતિ એટલે વેગ, ક્ષોભક્રિયા વગેરેનું બેસી જવું તે યાને શમન. એક પણ માનસિક કે શારીરિક ઉપદ્રવ કે વિકાર ના હોવો તે સ્થિતિ. ક્લેશ, કંકાસ વગેરેનો અભાવ. શાતા, ટાઢક, નિરાંત, વિશ્રામ, નિવૃત્તિ, સુવ્યવસ્થા, નીરવતા, ધીરજ ‘ને ચૂપકી જેવા શાંતિના સમાનાર્થી છે. સમજવાનું છે કે શાંતિ સ્ત્રીલિંગ છે એ રાઇટ ઇન્ફોર્મેશનનો અર્થ એ છે કે શાંતિ પર બળાત્કાર થઈ શકે છે, શાંતિને કોઈ તરછોડી શકે છે, શાંતિ પાસે કોઈ બળજબરીથી કામ કે દહેજ કઢાવી શકે છે. શાંતિનું સમાજમાં બીજા કે તે પછીના ક્રમે સ્થાન હશે. શાંતિ પ્રત્યેની સૌની ચાહના અમુક મર્યાદા સુધી જ સાચી ‘ને પ્રામાણિક હશે. વળી, શાંતિ પૈસો જોઈને પરણી શકે છે. શાંતિ મંથરા, કૈકયી ‘ને રાવણ-કુંભકર્ણની બહેન બની શકે છે. શાંતિ માતા બની શકે છે. શાંતિ સુખ સિવાય આનંદ, સંતોષ ‘ને ત્યાગ, સમર્પણ જેવા સુપુત્ર જણી શકે છે. શાંતિ ગાર્ગી, રઝિયા સુલતાના કે ક્વીન વિક્ટોરિયા બની શકે છે. શાંતિમાં ગંગા, યમુના ‘ને સરસ્વતીના ગુણ હોઈ શકે છે. શાંતિ રાધાની જેમ ઓન્લી ફોર, બાય એન્ડ ઓફ કૃષ્ણ બનીને જીવી શકે છે. શાંતિ પૂર્ણ આદ્યા બની શકે છે, કારણ કે અમુક અંશે તો આદ્યા છે જ. એનિવેઝ, સમજો કે અમુક અંશે આ હતું શાંતિનું આમુખ. જેને અમુક અંશે શાંતિનો ઉપસંહાર ગણવાનો છે તે બાકીનું ચયન આપણે અહીં આવતા અંકે કરીશું.

બુઝારો  – એકાંતનો એક અર્થ છે જ્યાં એક જ હું છે. એકાંતનો બીજો અર્થ છે જ્યાં હું નહીં, પણ હુંની સર્વે ઇચ્છા શૂન્ય થાય છે તે સ્થિતિ અને એકાંતનો ત્રીજો અર્થ છે નિર્જનતા એટલે જ્યાં કોઈ જ નથી. શબ્દકોશ મુજબ શાંતિ અર્થાત એકાંત.

———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »