વતન-વાપસી ઇચ્છતા શ્રમજીવીઓની વ્હારે સુપ્રીમ

પ્રશાંત કિશોર હવે  ડીએમકેના ચૂંટણી સલાહકાર બન્યા
  • રાજકાજ – ચાણક્ય

રોજગારી માટે વતન છોડીને અન્ય રાજ્યોમાં ગયેલા પ્રવાસી શ્રમજીવીઓ લૉકડાઉન લાંબંુ ચાલતાં પરેશાની અનુભવતા હતા અને લૉકડાઉનના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પરિવાર સાથે મોટા સમૂહમાં વતન જવા માટે નીકળી પડ્યા હતા. એ બધાને સમજાવીને રોકી રાખવાનું અશક્ય જણાતા કેન્દ્ર સરકારે તેમને માટે રાજ્ય સરકારોના સહયોગ સાથે ખાસ ટ્રેનો શરૃ કરી હતી, પરંતુ એ વ્યવસ્થા અપૂરતી બની રહેતાં દેશભરના હાઈવે પર શ્રમજીવીઓની પગપાળા વતન વાપસીનાં વરવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ શ્રમજીવીઓની વેદના અને મૂંઝવણને સમજવા સરકાર અને તંત્રએ ભારે વિલંબ કર્યો. એ દરમિયાન મે માસના છેલ્લા સપ્તાહમાં સર્વોચ્ચ અદાલતે શ્રમજીવીઓના પ્રશ્નોનું સંજ્ઞાન લઈને સુઓ-મોટો અરજીની સુનાવણી હાથ ધરી હતી. એ પછી સર્વોચ્ચ અદાલતે નવમી જૂને સરકારને કેટલાક નિર્દેશો આપીને જે શ્રમજીવીઓ પોતાના વતન કે જ્યાં ક્યાંય પણ જવા ઇચ્છતા હોય તેમને ત્યાં પહોંચાડવાની બે સપ્તાહમાં વ્યવસ્થા કરવા જણાવ્યું છે. સાથોસાથ આ શ્રમિકો જે રાજ્યમાં જાય ત્યાં તેમના વતન રાજ્યમાં સ્થાનિક સ્તરે તેમને રોજગારી પુરી પાડવા માટેનું આયોજન કરવા પણ જણાવ્યું છે. લૉકડાઉન દરમિયાન જે શ્રમજીવીઓ સરકારના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરીને ચાલી નીકળ્યા હતા તેમની સામે કરવામાં આવેલા કેસોને પણ પાછા ખેંચી લેવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે તેમના આ આદેશો દ્વારા શ્રમજીવીઓને મોટી રાહત આપી છે. તેનો ઇનકાર થઈ શકે તેમ નથી, પરંતુ અદાલતનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે સરકારે લૉકડાઉનનો તબક્કાવાર અંત લાવવાનો નિર્ણય કર્યો છે અને આઠમી જૂનથી અનલૉક-૧નો આરંભ કરીને લૉકડાઉનનાં નિયંત્રણોમાં વ્યાપક છૂટછાટો આપીને ધંધા-રોજગાર, નાના-મોટા ઉદ્યોગો, દુકાનો, રેસ્ટોરાં, શોપિંગ મૉલ્સ વગેરેને શરતોને આધીન શરૃ કરવાની છૂટ આપીને આર્થિક પ્રવૃત્તિઓની પ્રક્રિયા આરંભી છે. એ સાથે નાનાં-મોટાં કારખાનાંઓ, ઑફિસો, બજારો શરૃ થઈ જતાં શ્રમજીવીઓ માટે ફરી રોજગારીની તકો સર્જાઈ રહી છે, ત્યારે ઘણા કિસ્સાઓમાં ખાસ કરીને ગુજરાતમાં એવું જોવા મળ્યું છે કે પોતાના વતન પહોંચી ગયેલા અનેક શ્રમજીવીઓએ ફરી ગુજરાત પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં તો કેટલાકે તો ગુજરાતે તેમને ઘણુ આપ્યું હોવાનું સ્વીકારીને ગુજરાતને તેઓ ભૂલી શકે નહીં એમ પણ કહ્યું છે.

લૉકડાઉન હળવું થતાં અને રોજગારીની તકો ઊજળી બનવા છતાં કોરોના સંક્રમણના સંકટને કારણે એક વખત વતન જવાની ઝંખના સેવનારા શ્રમજીવીઓ આજે પણ મોટી સંખ્યામાં છે અને તેમને માટે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો આશીર્વાદ રૃપ બનશે. એ જ રીતે જે શ્રમજીવીઓ હવે પોતાના વતનમાં જ સ્થાયી થવા ઇચ્છતા હોય તેમને માટે સ્થાનિક સ્તરે કામ મળી રહે એ માટે સ્કિલ મેપિંગ કરવા પણ અદાલતે જણાવ્યું છે. રાજ્ય સરકારોએ એ માટે કૃષિ સંલગ્ન ઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થપાય એ માટેની કામગીરી વહેલી તકે શરૃ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજમાં પણ તેને માટેની વ્યાપક જોગવાઈ કરેલી છે. સ્વાભાવિક રીતે જ આવા શ્રમિકોની ઘરવાપસી પછી રાજ્ય સરકારો માટે તેમના પુનર્વાસની કામગીરી પડકારરૃપ બની રહેવાની છે, પરંતુ રાજ્ય સરકારો જો તેને રાજ્યના વિકાસ માટે એક અવસરના રૃપમાં લઈને કામગીરી શરૃ કરે તો એ રાજ્યને માટે અને લોકોને માટે લાભદાયક બની રહેશે. લૉકડાઉન દરમિયાન જ આર્થિક મુસીબતનો સામનો કરીને પાછા આવેલા શ્રમજીવીઓને વહેલી તકે કામ મળી રહે એ જોવું પડે તો સાથોસાથ જ્યાં સુધી તેમને માટે રોજગારીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમના પરિવારોને અનાજ સહિતની સહાય મળી રહે એ પણ જોવું પડશે.

કોરોના સંક્રમણના સંકટને કારણે જે અસાધારણ સ્થિતિ સર્જાઈ છે તેમાં સૌથી વધુ મુશ્કેલી સહન કરનાર કદાચ શ્રમજીવી વર્ગ છે. સર્વોચ્ચ અદાલતે તેમનો મુદ્દો સુઓ-મોટો દ્વારા હાથ ધર્યો એ વિશે કેટલાકના ભિન્ન મત હોઈ શકે છે તો અદાલતનું ધ્યાન પણ આ દિશામાં મોડું ગયું હોવાનું કેટલાકે અનુભવ્યું છે. અદાલતના દિશા-નિર્દેશોનો અર્થ એવો નથી કે સરકારે શ્રમજીવીઓ માટે કશું કર્યું નથી. અદાલતે સરકારને તેના પ્રયાસો અને કામગીરીમાં વધુ ચોકસાઈ અને વધુ સક્રિયતાની અપેક્ષાએ નિર્દેશો આપ્યા છે. સર્વોચ્ચ અદાલતનું આ દિશામાં ધ્યાન દોરવાનું કામ વીસ અગ્રણી ધારાશાસ્ત્રીઓએ કર્યું હતું. કોરોના સંક્રમણનું સંકટ હજુ પૂર્ણ થયું નથી અને એટલે શ્રમજીવીઓના આવાગમનમાં તેને માટેની તમામ કાળજી લેવાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈશે.
————.

પ્રશાંત કિશોર હવે  ડીએમકેના ચૂંટણી સલાહકાર બન્યા
તામિલનાડુના પ્રાદેશિક વિપક્ષ ડીએમકેના સર્વેસર્વા એમકે સ્ટાલિને પણ હવે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોરની સલાહ લેવાનું પસંદ કર્યું છે. નજીકના ભૂતકાળમાં તેઓ બિહારમાં નીતિશકુમારના પક્ષના સલાહકાર રહી ચૂક્યા છે. મમતા બેનરજી તેમના પક્ષ માટે પ્રશાંત કિશોરની સેવાઓ લઈ રહ્યાં છે. આ યાદીમાં હવે ડીએમકેના સ્ટાલિનનું નામ ઉમેરાયું છે. સ્ટાલિને ત્રણ મહિના પહેલાં ટ્વિટ કર્યું હતું કે તેઓ કિશોરની સેવા લેવા જઈ રહ્યા છે. તામિલનાડુમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે હવે ડીએમકેની પ્રચાર ઝુંબેશ માટે પ્રશાંત કિશોરે કાચી રૃપરેખા તૈયાર કરી આપી છે, જેમાં તેમણે એવું સૂચવ્યું છે કે માત્ર સ્ટાલિનને જ પ્રોજેક્ટ કરવામાં આવે અને ડીએમકેના સહયોગી એવાં નાનાં જૂથોની ગૌણ ભૂમિકા રહેશે. પ્રશાંત કિશોરે સૂચવેલા સૂત્રોમાં એક સૂત્ર છે, ‘-આવતીકાલ આપણી છે.’ રાજ્યની કુલ ૨૩૪ બેઠકોમાંથી લગભગ ૧૭૦ બેઠકો પર ડીએમકે ચૂંટણી લડશે એવી યોજના છે. બાકીની બેઠકો ડીએમકેના આઠ સાથી પક્ષોમાં વહેંચી દેવાશે. કોંગ્રેસના ભાગે અંદાજે ૩૦ બેઠકો આવશે. સ્ટાલિન ચૂંટણી વ્યૂહરચનામાં પ્રશાંત કિશોરને મહત્ત્વ આપી રહ્યા છે, પરંતુ પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓને એ ગમ્યું નથી. તેઓ પક્ષની વિચારધારાની દૃષ્ટિએ પણ મૂંઝવણ અનુભવે છે કે દ્રવિડીયન પાર્ટીના મુખ્ય સલાહકાર એક બ્રાહ્મણ અને ઉત્તર ભારતીય છે.
————.

મમતા બેનરજીએ અનિચ્છાએ વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા
સામાન્ય છાપ એવી છે કે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ સર્જેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની મુલાકાતે આવવાનું આમંત્રણ રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આપ્યું હતું. વાસ્તવમાં રાજ્યની મુલાકાતે આવવાની ઇચ્છા વ્યક્ત કરવાની પહેલ વડાપ્રધાનના પક્ષેથી થઈ હતી. વડાપ્રધાનના સલાહકાર ભાષ્કર કુલ્બે પશ્ચિમ બંગાળ કેડરના છે. તેમણે મમતા બેનરજીના અગ્ર સચિવ ગૌતમ સાન્યાલનો સંપર્ક સાધ્યો હતો. વાવાઝોડામાં તારાજ થયેલા વિસ્તારોની મુલાકાતે આવવાની વડાપ્રધાનની ઇચ્છાની જાણ કરવામાં આવ્યા પછી મમતા બેનરજી પાસે મોદીને આમંત્રિત કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. વડાપ્રધાનની મુલાકાતના દૃશ્યો અને રાજ્યને તત્કાલ સહાય માટે એક હજાર કરોડ રૃપિયા આપવાની જાહેરાતને ભાજપના પશ્ચિમ બંગાળ એકમે ખૂબ પ્રચારિત કરીને માઈલેજ મેળવવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળની મોદીની મુલાકાત માટે તેઓ બહુ ઉત્સાહિત ન હતા એવું સ્પષ્ટ કરવા માટે મમતા બેનરજી ઉત્સુક હતાં. વિમાનમથકે વડાપ્રધાનના સ્વાગત માટે દિલીપ ઘોષની આગેવાની હેઠળ ભાજપના પ્રદેશ અગ્રણીઓ મોદીને વંદન કરી રહ્યા હતા ત્યારે મમતા બેનરજીએ હાથમાં ફાઈલો સાથે વડાપ્રધાનને નમસ્કાર કર્યા હતા. હવાઈ નિરીક્ષણ વખતે હેલિકૉપ્ટરમાં પણ તેમણે દૂર બેસવાનું પસંદ કર્યું હતું. એ જ રીતે રાજ્યને તત્કાલ સહાય માટે એક હજાર કરોડ રૃપિયાની મોદીની જાહેરાત સામે મમતા બેનરજીએ પાંચ હજાર કરોડની માગણી કરી હતી.
————.

પ્રવર્તમાન સંકટની ચર્ચા માટે સંસદના સત્રનો ઇંતેજાર
કોંગ્રેસ અગ્રણી આનંદ શર્માએ સંસદના ચોમાસુ સત્રની તારીખ વહેલી નક્કી કરવા માટે શાસક પક્ષને ફરજ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો. સંસદ સત્રના વિલંબ પાછળનું સંભવિત કારણ એ છે કે સંસદની ૨૪ સ્થાયી સમિતિની બેઠક સૌ પ્રથમ યોજાય અને તેના રિપોટ્ર્સ સુપરત થવા જોઈએ.

ગૃહમંત્રાલયની સંસદીય સમિતિના વડા તરીકે તેમણે ત્રીજી જૂને સમિતિના સભ્યોને બેઠક માટે સંસદ ભવન બોલાવ્યા હતા. શર્માના માનવા પ્રમાણે લૉકડાઉન પ્રોટોકોલને કારણે જે સાંસદ બેઠકમાં આવી ન શકે એ ઇન્ટરનેટ પ્લેટફોર્મના માધ્યમથી બેઠકમાં ભાગ લઈ શકે છે. બ્રિટનની આમસભાનું સત્ર વર્ચ્યુઅલ રીતે યોજાયું હતું અને તેમાં ઝૂમ પ્લેટફોર્મ દ્વારા ૧૨૦ સાંસદોએ ભાગ લીધો હતો તેનું ઉદાહરણ આપીને શર્મા કહે છે કે, આપણી સંસદ પણ બ્રિટનના મૉડેલ પર આધારિત છે. વિશ્વભરની સંસદો આ પદ્ધતિ અજમાવી રહી છે, પરંતુ શર્માની દરખાસ્તને એવું કહીને નકારી કાઢવામાં આવી કે તેનાથી સમિતિની કાર્યવાહીની ગુપ્તતાનો ભંગ થશે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના સાંસદ રીટા બહુગુણા જોશીને વેતન અને ભથ્થાં અંગેની સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવો કોઈ અવરોધ નડ્યો નહીં. તેમણે લૉકડાઉન પહેલાં તેમની સમિતિની બેઠક યોજીને ૩૦ ટકા વેતન કાપનો નિર્ણય લીધો હતો. દેશમાં પ્રવર્તમાન સંકટની ચર્ચા માટે સંસદનું સત્ર વહેલી તકે યોજાય એ સમયનો પણ તકાજો છે.
—————-

પૂર્વાપરવિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment