ભારતનું ચોમાસુઃ દેશની મિશ્ર સંસ્કૃતિ મોસમી પવનોએ ઘડી છે

ભારતની ૧૩૦ કરોડની વસતિમાંથી ૮૦ કરોડ લોકોની કમાણીનો આધાર કૃષિ ક્ષેત્ર છે
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

ખેડૂતો વાસ્તવિકતા જાણે છે.  કલ્પનાઓમાં જીવી શકાતું નથી. ભણેલાઓને તેઓ પૂછતાં રહે છે કે સરકારી આગાહી શું કહે છે? દિલ્હીમાં સરકારી વેધશાળા (ઇન્ડિયા મિટિરિઓલોજિકલ ડિપાર્ટમેન્ટ – આઈએમડી)ના વડા વિજ્ઞાની મૃત્યુંજય મોહપાત્ર દુકાળની શક્યતા દર્શાવતાં લક્ષણો અને વરસાદ પડવાની શક્યતા દર્શાવતાં ચિહ્નોની કાગળ અને કોમ્પ્યુટર પર ગણતરીઓ માંડે છે. ડિપાર્ટમેન્ટના તાંત્રિક કામકાજમાં અગાઉનાં વરસોની સરખામણીએ સુધારો ઘણો થયો છે.

ભારતની ૧૩૦ કરોડની વસતિમાંથી ૮૦ કરોડ લોકોની કમાણીનો આધાર કૃષિ ક્ષેત્ર છે, પરંતુ જૂન મહિનો આવે ત્યારે તમામ ૧૩૦ કરોડના જીવ પડીકે બંધાઈ જાય. જેઠ સુદ (ભીમ) અગિયારસ કોરી જાય તો ગુજરાતીઓ ચિંતામાં પડી જાય. ત્યાર બાદ  વરસાદ ગમે ત્યારે આવે. ના પણ આવે. આવે ત્યારે જીવ હેઠો બેસે. શહેરના લોકોને ખબર હોય છે કે વરસાદ આવશે તો બીજા ધંધા-રોજગાર ચાલશે, સુધરાઈ પાણી આપી શકશે. ખાદ્ય પદાર્થો વાજબી ભાવે મળશે. સરકારી માણસો સિવાય લગભગ બીજા તમામને ચોમાસાની ચિંતા હોય. વરસાદ તો સરકારીઓને પણ ગમે. તે આવે તો ઠંડક ફરી વળે, પરંતુ ખેડૂત, મજૂર અને ગ્રામીણોને વરસાદનો અભાવ શારીરિક અને માનસિક બંને રીતે પજવે છે. ગુજરાતીઓ યજ્ઞ કરે, આન્ધ્રના લોકો દર વરસે જૂનમાં બકરાનો બલિ ચડાવે. કોઈક વરસે જૂનમાં વાદળો પંદર-પંદર દિવસ અહીંથી ત્યાં ફરતાં રહે, પણ વરસે નહીં. ચાંદની રાતમાં બે ત્રણ વાગ્યે ટિડોડી અવાજ કરતી ઊડે. ખેડૂતોને ધીરજ બંધાય કે હવે વરસાદ આવશે, ટિટોડીએ ખેતરમાં ઈંડાં મૂક્યાં છે.

આન્ધ્ર, તમિળનાડુ, ઓડિશાના લોકો અગ્નિ અને દક્ષિણ દિશામાંથી આવતાં વાદળો જોઈને ખુશ થાય. પશ્ચિમ ભારતના લોકો અરબી સમુદ્ર તરફથી આવતાં જોઈને રાજી થાય. દરિયે વીજળી ચમકે છે તેની વડીલો નોંધ લે. વાદળો તો દેખાય નહીં, પણ વીજળી જોઈને સમજે કે દૂર સમુદ્રમાં વાદળો બંધાયા હશે. ચોમાસું શરૃ થયું હશે, પણ આવું ચોક્કસપણે અને સમયસર થતું નથી. એક બે વરસ થાય, એક બે વરસ ન પણ થાય. મગફળીનું બિયારણ મોંઘું હોય. તૈયાર રાખે. થોડો ઘણો વરસાદ પડે તો જુગારની જેમ વાવે. જોખમ લીધા વગર છૂટકો નથી. બીજી વખત વરસાદ ન આવે અને બિયારણ બળી જાય. મહિનાઓનો સખત પરિશ્રમ અને નાણા એળે જાય અને ઑફિસોમાં? એક કલાક તો એક કલાક, ઓવરટાઇમ મળવો જ જોઈએ અને ઓવરટાઇમમાં શું કર્યું હોય? રાષ્ટ્ર-પ્રેમ માટે જાગૃત થવાના મેસેજો ટ્વિટ કર્યા હોય; જાગો, જાગો, જાગો. દેશને વિચારવાયુ લાગુ પડ્યો છે.

ખેડૂતો વાસ્તવિકતા જાણે છે.  કલ્પનાઓમાં જીવી શકાતું નથી. ભણેલાઓને તેઓ પૂછતાં રહે છે કે સરકારી આગાહી શું કહે છે? દિલ્હીમાં સરકારી વેધશાળા (ઇન્ડિયા મિટિરિઓલોજિકલ ડિપાર્ટમેન્ટ – આઈએમડી)ના વડા વિજ્ઞાની મૃત્યુંજય મોહપાત્ર દુકાળની શક્યતા દર્શાવતાં લક્ષણો અને વરસાદ પડવાની શક્યતા દર્શાવતાં ચિહ્નોની કાગળ અને કોમ્પ્યુટર પર ગણતરીઓ માંડે છે. ડિપાર્ટમેન્ટના તાંત્રિક કામકાજમાં અગાઉનાં વરસોની સરખામણીએ સુધારો ઘણો થયો છે. અગાઉ કેરળના થિરૃવઅનંતપુરમ્ ખાતે એક ટેકરી પર ત્રાવણકોરના મહારાજા દ્વારા બાંધવામાં આવેલી વેધશાળા. (ઓબ્ઝર્વેટરી)ના પ્રાંગણમાં ગોઠવેલા ટેલિસ્કોપ વડે વરસાદનું ભવિષ્ય અંદાજવામાં આવતું હતું. આજે હવામાન પર સતત નજર રાખતાં ઉપગ્રહો અને રડારોની મદદ વડે વરસાદની શક્યતાઓનો ક્યાસ કઢાય છે. જાપાનમાં ટેલિવિઝન ચેનલો ચેરી બ્લોસમ (વસંત ઋતુ) કેવી રીતે આગળ વધી રહી છે તેની વિગતો રોજ રજૂ કરે. ભારતમાં ચોમાસું કેવી રીતે આગળ વધી રહ્યું છે તે સમાચાર રોજના ધોરણે રજૂ થાય. જીવાદોરના સમાચાર. તે જાણીને શેરબજાર પણ ઊંચું નીચું થાય.

વેધશાસ્ત્રીય ટૅક્નોલોજીમાં પ્રગતિનો અર્થ એ કે આજે શ્રી મૃત્યુંજય મોહપાત્ર પોતાના પુરોગામીઓ કરતાં વધુ સચોટપણે આગાહી કરી શકે છે કે દેશમાં ચોમાસું ક્યારે, કેટલું આગળ વધશે અને એકંદરે કુલ વરસાદ કેટલો પડશે? ભારતમાં કેરળના થિરુવનંતપુરમ્ ખાતે પ્રથમ વરસાદ પડે ત્યારે દેશમાં ચોમાસંુ બેસી ગયું ગણાય છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે સવારનાં અખબારોમાં હેડલાઈનો છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કાળઝાળ ગરમી અને કોરોના સંકટ વચ્ચે દેશ માટે આ રાહતના સમાચાર બને છે. નિસર્ગ નામના વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા હતા. વલસાડ જિલ્લા પ્રશાસનને સાબદું કરી દેવાયું હતું, પરંતુ ગયા વરસે ચોમાસું મોડું શરૃ થયું હતું અને તે માટે ત્યારના આઈએમડીના વડા માધવન નાયર રાજીવન પાસે વૈજ્ઞાનિક કારણો હતાં. અરબી સમુદ્રમાં વાયુ નામનું ચક્રવાતી વાવાઝોડું આવવાથી ચોમાસાનું આગમન ઢીલમાં પડ્યું હતંુ. તો શું આ વખતે નિસર્ગ પણ એવી ખલેલ ઊભી કરશે? ચોમાસંુ જેના પર આધાર રાખે છે તે મોસમી પવનો ગયા વરસે ‘વાયુ’ના કારણે ખોરવાઈ ગયા હતા. મિટિઅરોલોજી અર્થાત મોસમ વિજ્ઞાનમાં પ્રગતિ જરૃર થઈ છે, પરંતુ એટલી નથી થઈ કે વરસાદના મોડા આવવાનું સો ટકા સચોટ કારણ જાણી શકાય. લગભગ દરેક વરસે ચોમાસાના પવનોની હિલચાલમાં રૃકાવટો પેદા થાય છે. પવનોની ગતિ કાં ખૂબ વધે છે, કાં ખૂબ ઘટે છે. તીવ્રતામાં ચડઊતર થતી રહે છે.

સપ્તાહો સુધી ખેંચ અનુભવાય પછી અચાનક ધોધમાર આવી ચડે. આ અનિશ્ચિતતાને મોસમ વિજ્ઞાનની ભાષામાં ‘વેગેરીઝ’ (અનિયમિતતા) તરીકે ઓળખાવાય છે જેને હજી મોસમ વિજ્ઞાન બરાબર સમજી શક્યું નથી. વરસાદ અને ભારતનું ચોમાસું, આકાશની સ્થિતિ અને સમયનું એક જટિલ કોકડું છે. પડોશના કે વચ્ચેના અમુક વિસ્તારો સાવ કોરાધાકડ રહી જાય છે અને આસપાસના પ્રદેશોમાં અતિવૃષ્ટિ જામે છે. ભયાાનક પૂર આવે છે. જમીન અને પાકોનું ધોવાણ થઈ જાય. પૃથ્વીનું હવામાન પલટાઈ રહ્યું છે ત્યારે ભયાનક પૂર આવવાની ઘટનાઓ પણ ખૂબ વધી છે. અચાનક ઝડપથી પૂર આવે. તે પાણી રોકીને તેનો સંગ્રહ કરી શકાય તે અગાઉ વહીને સાગરમાં મળી જાય. આગળ લખ્યું તેમ ભારતમાં સૌથી વધુ લોકો કૃષિક્ષેત્રમાં કામ કરે છે, પરંતુ ભારતની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર છઠ્ઠા ભાગનો છે, તેની સામે દેશની વસતિના પચીસ ટકાથી વધુ લોકો સીધી રીતે કૃષિક્ષેત્રમાં કામ કરે છે. મતલબ કે સારા દિવસોમાંય સ્થિતિ એટલી સારી નથી. તેમાં વળી જો ચોમાસું ખરાબ જાય તો ભારતના અર્થતંત્રમાં ત્રીજા ભાગનું ગાબડું પડે. આવક છઠ્ઠા ભાગની છે, પણ તે ન આવે તો નુકસાન બમણુ થાય છે, કારણ કે દેશનું

કૃષિ તંત્ર બીજા ઉદ્યોગોના ચક્રોને ગતિમાન રાખે છે. આવી જ સ્થિતિ બાંગલા દેશ, ભુતાન, નેપાલ, પાકિસ્તાન અને શ્રીલંકાની છે અને નોંધવા લાયક હકીકત એ છે કે દુનિયાની કુલ વસતિના ૨૫ ટકા લોકો, ૧૭૬ કરોડ આત્માઓ દક્ષિણ એશિયાના ચોમાસા પર જીવે છે.

સમુદ્ર, જમીન અને સૂર્ય મળીને ચોમાસાને આકાર આપે. ઉનાળામાં સમુદ્રના પાણી કરતાં જમીન અને જમીન પરની હવા વધુ ગરમીનું શોષણ કરે છે, પરિણામે સમુદ્ર અને સમુદ્રની સપાટી પરની હવા, જમીન અને જમીન પરની હવાની સરખામણીમાં વધુ ઠંડા રહે છે. જમીન ઝડપથી ગરમી ગ્રહણ કરે તેથી તેના પરની હવા ગરમ થઈને ઊંચે આકાશમાં જાય છે અને તેની જગ્યા લેવા માટે સમુદ્ર પરની હવા, જમીન તરફ ધસી આવે છે. ગરમ અને ઠંડા પાણી વચ્ચે પણ આવી જ પ્રક્રિયા સર્જાતી હોય છે. હવા જમીન તરફ ધસી આવે જેને આપણે ચોમાસંુ પવનો અથવા ટ્રેડ વિન્ડ્સ કહીએ છીએ. આવી જ ઘટનાઓ ચક્રવાત અને પ્રતિચક્રવાતને જન્મ આપે છે. આમાં બીજી ભૂગોળીય અને પ્રાકૃતિક ઘટનાઓ નવી ઘટનાઓને જન્મ અથવા સાથ આપે છે. ભારત અથવા જાંબુદ્વીપ ઉપખંડની વાત કરીએ તો તેની ત્રણ બાજુએ સમુદ્ર છે. પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણ હિન્દ મહાસાગર, ઉનાળામાં આસપાસના સમુદ્રો કરતાં ભારત ભૂમિ વધુ ઝડપથી ગરમ થાય છે.

વિષવવૃત્તની નજીક હોવાથી સૂર્યતાપ ઘણો પડે છે. જમીન પરની હવા ગરમ થઈને આકાશમાં ઊંચે જાય તેથી જમીન પર વાતાવરણનું હળવું દબાણ પેદા થાય. તેની જગ્યા લેવા દરિયાની ગરમ ભેજવાળી ભીની હવા ત્રણેય બાજુથી જમીન તરફ ધસી આવે. આ ભીની હવા પણ વધુ ગરમ બનીને, વરાળના રૃપમાં ઊંચે ચડે છે. ઉપર જઈને તે ઠંડી પડે તેથી વરાળનું પાણીમાં રૃપાંતર થાય અને વજનદાર બનવાથી તે જમીન પર વરસાદના રૃપમાં પડે. મોરલા નાચે, દેડકાઓ અને બીજા જીવો ક્યાંકથી આવી ચડે, ચીનના બીઈજિંગથી ઊડીને કોયલ ૧૫થી ૧૮ કલાકમાં મુંબઈ આવી જાય. કોઈને વિરહની પીડા ઊપજે અને કાલિદાસ મેઘદૂતની રચના કરે. શરૃઆત કરે, અષાઢસ્ય પ્રથમ દિવસે…

જમીન પર પાણી પડે તે ગરમી અને ઠંડીના સંવહન અથવા ચક્રને વધુ ગતિ આપે. વરસાદનું પાણી ફરીથી વરાળ બની ઉપર ચડે. તેનની સાથે વાદળ અને ભેજના પવનો જોડાય. વધુ વરસાદ પડે. ભારતનું આ ચક્રિય ચોમાસું છે અને આવા ચક્રિય ચોમાસાં દુનિયાના અન્ય પ્રદેશોમાં પણ નિયમિત રીતે સર્જાતા રહે છે. જેમ કે, મેક્સિકો અને તેને અડીને નૈઋર્ત્ય અમેરિકા વિસ્તારનું ચક્ર, પશ્ચિમ આફ્રિકા અને પૂર્વ એશિયાનું ચક્ર. પૂર્વ એશિયાના ચક્ર સાથે ભારતના ચક્રિય ચોમાસાને પણ સંબંધ છે. બંને એકમેકને ઉત્તેજન આપે છે. જો જંગલો હોય તો ત્યાં સર્જાતી કળા તેમાં વધુ સાથ આપે. દક્ષિણ એશિયા અર્થાત ભારતના ચોમાસા સાથે એક ખાસ બાબત જોડાયેલી છે. પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરો છેક ઉત્તર ધ્રુવના આર્કટિક સાગર અને પ્રદેશ સુધી ખેંચાયેલા છે, પરંતુ હિન્દ મહાસાગર ત્યાં સુધી ફેલાયેલો નથી. તેનો અર્થ એ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં હિન્દ મહાસાગરના ગરમ થયેલા પાણી ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશો સુધી જઈ શકતા નથી. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ઉત્તરના છેડા સુધી આવીને અટકી જાય છે. અર્થાત મુંબઈ-કરાચી નજીક અને કોલકાતા-ઢાકા નજીક આવીને અટકી જાય. તેથી ગરમના ગરમ જ રહે. ઉત્તર ધ્રુવથી ખૂબ દૂર રહી જાય. ત્યાં સુધી પહોંચે તો ઠંડા પડે. તે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં રહીને ભારતીય ઉપખંડને ઘેરી વળે છે. તેમાંથી મોસમી પવનો પેદા થાય. વળી, ભારતની ઉત્તરે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે.

પૃથ્વી પરનો આ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો સપાટ પ્રદેશ છે. ત્યાં ઉનાળાની જે ગરમી પડે તેના કારણે ભારતની જમીન પરની ભેજવાળી હવા ખૂબ ઊંચે ચડે છે. આ ઉચ્ચભૂ પ્રદેશ ના હોત તો વરાળ ખાસ ઊંચે જઈ શકી ના હોત. વળી, આ ઉચ્ચ ભૂમિ નૈઋર્ત્યના પવનોને રોકી દે છે. વાદળો એવરેસ્ટ અને બીજા શિખરોની ઊંચાઈ સુધી પહોંચીને જલવર્ષા કરે છે. ગંગા, જમુના, બ્રહ્મપુત્રા, સપ્તસિન્ધુ જળરાશિથી સમૃદ્ધ બને. ત્યાં વળી બરફના સ્વરૃપમાં સ્ટોક થઈ જાય તો ઉનાળામાં પાણી પૂરું પાડે. માનવીઓ, પશુ-પ્રાણી, વૃક્ષો માટે સર્જનહારે ખૂબ સરસ ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. અબુધ અને સ્વાર્થી માનવ જે ડાળી પર વસ્યો છે તેને જ કાપી રહ્યો છે.

એટલાન્ટિક મહાસાગરમાં લગભગ બારે માસ અને લગભગ દરેક જગ્યાએ સમુદ્રના પવનો એકસરખી રીતે અને એક જ દિશામાં વહે છે. પોર્ટુગીઝ લોકો એન્ટલાન્ટિકથી સૌથી વધુ નજીક હોવાને કારણે તેનાથી વાકેફ અને ટેવાયેલા હતા. જ્યારે ૧૪૯૯માં વાસ્કો દ ગામા દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ હોપથી હિન્દ મહાસાગરમાં ભારત તરફ આગળ વધ્યો ત્યારે તેને નવા પ્રકારના, લગભગ તોફાની પવનોનો, સામનો કરવો પડ્યો. વાસ્કો પછી જે યુરોપિયન (અંગ્રેજો વગેરે) ભારત તરફ આવ્યા તેઓની ભાષામાં તોફાની મોસમી પવનો માટે કોઈ શબ્દ ન હતો, પરંતુ અરેબિક ભાષાનો ‘મોસમ’ શબ્દ પોર્ટુગીઝોએ જાણ્યો. તેઓ ‘મોન્શાવ’ ઉલ્લેખ કરતા. જેનો અંગ્રેજો ‘મોન્સુન’ તરીકે ઉલ્લેખ કરતા થયા. ટૂંકમાં, મોન્સુન શબ્દ ‘મોસમ’માંથી ઊતરી આવ્યો છે. સિઝન અથવા મોસમ પ્રમાણે હવાની દિશા સદંતર બદલાઈ જાય તે પોર્ટુગીઝોએ પ્રથમ વખત જાણ્યું. જે દિશા તરફ પવન જતો હોય તે દિશા તરફથી પાછો પણ ફરે. સિઝન (મોસમ) પ્રમાણે આ ફેરફાર થાય. એટલાન્ટિકમાં આવું બનતું નથી. બને છે તે થોડી માત્રામાં.

જ્યાં પવનો જાય એ જ દિશામાંથી પાછા ફરે તે વિષુવૃત્તીય પ્રદેશોમાં વધુ બને છે. એ ઘટનાઓ જ્યાં જોવા મળે તે વિસ્તારો ‘ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન્સ ઝોન’ (આઈટીસીઝેડ) તરીકે ઓળખાય છે. આ પ્રદેશોમાં ગરમ પાણીની સપાટી પર હવાનું હળવું દબાણ સર્જાય છે. તમામ મહાસાગરોમાં આ હળવું દબાણ સર્જાય છે અને દક્ષિણ તેમ જ નૈઋર્ત્ય દિશામાંથી (મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધમાંથી) પવનોનો સ્થિર પ્રવાહ ઈશાન અને ઉત્તર તરફ વહે છે જે દક્ષિણ વેપારી પવનો તરીકે ઓળખાય છે.

ઉત્તર ગોળાર્ધ (જેમાં ભારત છે)માં શિયાળો ચાલતો હોય છે ત્યારે હિન્દ મહાસાગરમાં વિષવવૃત્તની દક્ષિણે આવો ઝોન રચાય છે. જેમ જેમ ગરમી ઉત્તર તરફ આગળ વધે (ઉત્તરાયણ બાદ) તેમ તેમ આ ઝોન પણ ઉત્તર તરફ આગળ વધે છે અને ભારતીય ચોમાસાને ગતિ આપનારું એક મહત્ત્વનું પ્રેરક બળ બની જાય છે. તે પવનો આગળ વધતા વધતા હિમાલય સુધી પહોંચે છે. આ પવનોની મદદથી યુરોપ-અમેરિકાના વેપારી જહાજો ભારત તરફ સરળતાથી આગળ વધી શકે છે. તેથી તે વેપારી પવનો તરીકે ઓળખાય છે. દુનિયાના અન્ય પ્રદેશોમાં અને સમુદ્રોમાં પણ વેપારી પવનો રચાય છે. મોસમી પવનો ચોમાસામાં ઉત્તર અને ઈશાન ભારત, હિમાલય સુધી પહોંચ્યા બાદ શિયાળામાં અરબી સમુદ્ર તરફ ઊલટી દિશામાં પાછા ફરે છે. આફ્રિકા તરફ. તે મોસમાં ભારતથી આફ્રિકા, યુરોપ જઈ રહેલાં જહાજોને મદદ મળે છે. અમુક સપ્તાહો માટે આ પવનોની ઝડપ બમણી થઈ જાય છે. આફ્રિકાની ભૂમિ પર વાતાવરણનું ભારે દબાણ સર્જાવાથી આ ઘટના ઘટે છે. એ પાછા ફરતા પવનોને કારણે કેરળ અને તામિળનાડુમાં શિયાળામાં પણ વરસાદ પડે છે. શિયાળામાં સમુદ્ર કરતાં જમીન જલ્દીથી ઠંડી પડે છે.

દિવસના ગરમ થયેલા પાણી સૂર્યાસ્ત બાદ પણ હૂંફાળા રહે છે તેથી જમીન પરથી પવનો સમુદ્ર તરફ વહે છે. દક્ષિણ એશિયાના ચોમાસામાં અને પૂર્વ એશિયાના ચોમાસામાં આ ઘટનાઓ આકાર લે છે તેની અસર ભારત ઉપરાંત બર્મા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, દક્ષિણ ચીન, તાઈવાન, કોરિયા અને જાપાન પર પણ પડે છે. ભારતમાં નૈઋર્ત્યના પવનો દિશા બદલીને ઈશાનના પવનો બને ત્યારે એટલા ભેજવાળા હોતા નથી. સૂકા હોય છે. દક્ષિણ ભારતમાં વરસાદ આવે છે, પણ અમુક અપવાદ સિવાય તે વરસાદનું પ્રમાણ ખાસ હોતું નથી. ખેડૂતો માટે તે ખાસ ફાયદાકારક બનતા નથી. હા, સરખી માત્રામાં આવે તો ચેન્નઈમાં પાણીનું સંકટ હળવું બને, પરંતુ જળ વાહનવ્યવહાર માટે આ પવનો ઘણા ઉપયોગી થાય છે. આ કારણથી દક્ષિણ એશિયામાં અર્થાત ભારત ખંડમાં પ્રાચીન કાળથી લોકો વધુ વસ્યા છે અને તેથી વસતિનું પ્રમાણ મોટું છે, કારણ કે જળમાર્ગે આવવા જવાનું સહેલું હતું તેથી લોકો દુનિયામાં દૂરસુદૂરથી આવી આ પ્રદેશોમાં વધુ જમા થયા. વેપારી પવનોને કારણે ઈરાનથી ઈન્ડોનેશિયા, મડગાસ્કર (આફ્રિકા)થી જાપાનનો વહેવાર પ્રાચીન કાળથી ચાલતો આવ્યો. ભારતના લોકો ઈન્ડોનેશિયા, ખાસ કરીને જાવા, સુમાત્રા જતા. ત્યાં હિન્દુ ધર્મ ફેલાયો. ગુજરાતના હિન્દુમાંથી વટલાઈને મુસ્લિમ બનેલા લોકો, ખાસ કરીને ખોજા ભાઈઓએ અઢારમી અને ઓગણીસમી સદીમાં ઈન્ડોનેશિયા જઈને હિન્દુઓને મુસ્લિમો બનાવ્યા.

તેઓ અગાઉ વાણિયા અને લોહાણા હતા તેથી જાવા, સુમાત્રા તો જતા જ હતા. ધર્મોના પવનો ભલે બદલાયા કરે, કુદરતના પવનો બદલાતા નથી. તેઓ આદિકાળથી વેપારીઓને ઈરાન કે પોરબંદરથી જાવા સુમાત્રા પહોંચાડતાં રહ્યા છે. તેઓ થોડા દિવસ ઝડપ અને ચાલ બદલે તો વાવાઝોડું નિસર્ગ આવી જાય, પરંતુ દક્ષિણ એશિયાના વરસાદી પવનો ચક્રવાતોને સર્જાતા મહદ્અંશે રોકી રાખે છે. જ્યારે તે પવનો નબળા પડે ત્યારે વાવાઝોડાં આકાર લે છે. તે જહાજો માટે પણ બાધારૃપ બને છે, પણ હાલની ટૅક્નોલોજીના પ્રતાપે તેને ચાતરીને આગળ વધી શકાય છે. અગાઉ જ્યારે યંત્રો ન હતા ત્યારે ધીરજ રાખીને આખા વિશ્વનો પ્રવાસ આસાનીથી થઈ શકતો. ઉનાળામાં જહાજો પૂર્વ અને ઉત્તર તરફ આગળ વધી શકતાં. એ જ જહાજો શિયાળામાં પવન સાનુકૂળ બને ત્યારે પશ્ચિમ અને દક્ષિણ તરફ પાછા ફરી શકતાં હતાં. વેપાર અને ધર્મોનો ફેલાવો પણ પવનોની મદદથી થયો હતો. ભારતના પશ્ચિમ કાંઠે યહૂદીઓ બે હજાર વરસ અગાઉ આવીને વસ્યા હતા. કેરળમાં સિરિયાના ખ્રિસ્તીઓ બારમી સદીમાં આવ્યા હતા. આરબ મુસ્લિમો આવ્યા. કેરળમાં ખ્રિસ્ત અને મુસ્લિમ ધર્મોનો ફેલાવો ત્યારથી શરૃ થયો. યહૂદીઓ અને લગભગ ૧૩૦૦ વરસ અગાઉ આવેલા પારસીઓ ધર્માન્તરણમાં માનતા નથી તેથી તેઓનો ફેલાવો ખાસ થયો નથી. કેટલાક યહૂદીઓ પશ્ચિમના કાંઠે આવીને બ્રાહ્મણો બની ગયા. બીજી તરફ સિંગાપુર, મલેશિયા, ઈન્ડોનેશિયામાં તમિળ હિન્દુઓ જઈને વસ્યા. ત્યાં હિન્દુ ધર્મ ફેલાવ્યો. બંગાળના ઉપસાગરમાં એક સમયે એવા લોકો કાયમ માટે વહાણો અને હોડીઓમાં વસતા હતા જેઓને તમે જળ વણઝારા કહી શકો. તેઓને જમીન કરતાં સમુદ્ર અને સમુદ્રના નકશાઓનું વધુ જ્ઞાન હતું. આજે સરહદોના કાનૂનો કડક બન્યા છે તેથી તેઓ રડીખડી સંખ્યામાં બચ્યા છે, પણ તેઓ અને તેમના પૂર્વજો ક્ષિતિજની પેલે પાર ક્યો પ્રદેશ છે તેનું માર્ગદર્શન આપી શકતા. વગર કમ્પાસે સમુદ્રમાં આવું કહી બતાવવું તે ખૂબ અઘરી કળા છે. પવનોની દિશાને આધાર બનાવી તેઓ સ્થળ નક્કી કરી શકતા.

આ વેપારી પવનો જે ભારતમાં અને દક્ષિણ એશિયામાં વરસાદ લઈ આવતા હતા તે વેપારવણજ પણ લઈ આવ્યા. ખલાસીઓ, દરિયાઈ વેપારીઓ ધર્મપ્રચારકો અને અંતે શાસકો પણ બાકીની દુનિયામાંથી ભારત તરફ આવ્યા. ભારતમાંથી બીજે ગયા, પણ જો આજે બંગાળમાં મોકેન તરીકે ઓળખાતી જળ વણઝારા જાતિ ન હોત તો એ વેપારીઓ અને ખલાસીઓ ભારતમાં હજારો વરસથી સફળ રહ્યા તે રહ્યા ન હોત. ભારત ઘણી સદીઓથી યુરેશિયા તરીકે ઓળખાતો થયો તે તેની મિશ્ર અને વર્ણસંકર જાતિને કારણે. સમુદ્રો દ્વારા આવગમનથી અનેક જાતિઓ ભારતમાં આવી. હિન્દુ ધર્મ સાથે ભળી ગઈ. ઘણાએ પોતપોતાના ચોકા માંડ્યા. ભારતની દરેક ધર્મોની દરેક જ્ઞાતિઓમાં એક જ કુટુંબમાં ગોરા અને કાળા લોકો લોહીનાં સગાંઓ તરીકે હોય છે. જો વર્ણસંકર ના હોય તો આવું ન બને. ઘણા ઘઉંવર્ણના છે તેનું કારણ પણ આ વર્ણસંકરતા છે. ભારતની અમુક સંસ્થાઓ અને સંગઠનો આ થિયરી સ્વીકારતા નથી, પરંતુ એ હકીકત છે કે દરિયાઈ પવનો પૂર્વ આફ્રિકનો (હબસીઓ), ગ્રીકો, (વાયા ઈરાનની હોરમઝની ખાડી થઈને), આરબો, યહૂદીઓ, યુરોપિયનોને ભારત લઈ આવ્યા. ઈસવી સનની સાતમી સદીમાં તામિલ વેપારીઓ સમુદ્રી માર્ગે બર્મા, હાલના મ્યાનમાર પહોંચ્યા હતા. ત્યાર બાદનાં વરસોમાં તેઓ ચીનના ગંગઝાઉ અને કેન્ટોન પહોંચ્યા હતા અને તામિળ ભાષામાં લખેલા શિલાલેખો ત્યાં ઊભા કર્યા હતા. નવમી સદીમાં ભારતીઓએ અને ખાસ કરીને તમિળોએ કમ્બોડિયાના અંગકોરવાટ અને જાવાના બોરોબુદુર મંદિરો બાંધ્યા હતા. આ બંને ભવ્ય અને વિશાળ તીર્થક્ષેત્રો હતાં જે હિન્દુઓનું શાસન હોય તો જ સંભવી શકે. ઈન્ડોનેશિયામાં હિન્દુ રાજાઓનાં રજવાડાં હતાં. બાલી તેમાંનું એક હતું અને આજે પણ હિન્દુ ધર્મની મોટી અસર અહીં સ્પષ્ટ જણાય છે. આરબો પ્રથમ કેરળ અને કર્ણાટકના સાગરકાંઠે આવીને વસ્યા. ઘણા ગામો આરબોથી જ ભરેલાં છે. સ્થાનિક પ્રજા સાથે તેઓનો વિસ્તાર થયો, તે પ્રજા મોપલા તરીકે ઓળખાય છે. વાયનાડમાં મુસ્લિમોની સંખ્યા વધુ હોવાનું એક કારણ આ છે. ભારતના પશ્ચિમ કાંઠે ખ્રિસ્તી મિશનરીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા. કેરળ ઉપરાંત મેંગલોરમાં અને ગોવામાં તેઓની મોટી હાજરી રહી.

કર્ણાટકના દરિયાકાંઠાનાં ગામોમાં એવા હબસીઓ વસે છે જેઓ હિન્દુ ધર્મ પાળે છે. કેરળમાં સેટલ થયેલા આરબો પાછળથી તેરમી સદીમાં છેક ચીનના પૂર્વના કાંઠાના વિસ્તારોમાં પહોંચ્યા. ત્યાં અનેક કબરો પર અરેબિકમાં લખાયેલાં લખાણો છે. યહૂદીઓ આન્ધ્રના દરિયાકાંઠે અને છેક ઈશાન ભારતમાં જઈને વસ્યા હતા. ગોવામાં આવીને વસેલા પોર્ટુગીઝ ખ્રિસ્તી ધર્મ ઉપદેશકો બાદમાં દક્ષિણ ચીનના કાંઠે-કાંઠે થઈ જાપાન પહોંચ્યા અને ત્યાં રોમન કેથોલિક ધર્મનો ફેલાવો કર્યો. ભારતના લોકો અને પૂર્વ આફ્રિકા વચ્ચેનો વેપાર આદિકાળથી ચાલતો આવ્યો છે. આરબો, આફ્રિકનો, સિન્ધીઓ, પારસીઓ, આર્મેનિયનો, યહૂદીઓ, તમિળો, ગુજરાતીઓ, ચીનાઓ, થાઈ મલેશિયન, બર્મિઝ, ફિલિપીનોઝ, જાપાનીઓ, એકબીજાની ધરતી પર જઈને મળતા અને આપસમાં વેપાર કરતા. ગુજરાતમાં ૫૦૦ વરસ અગાઉ ખંભાત બંદર ધમધમતું હતું અને તે અગાઉ હજારો વર્ષ પૂર્વે બાજુના લોથલમાં પણ બંદર હતું, જે આજે જમીનની વચ્ચે આવી ગયું છે, પણ પ્રાચીન બંદર તમે આજે પણ જઈને જોઈ શકો છો. મહુવા, વેરાવળ, ઘોઘા, પોરબંદર, વલસાડ, ભરૃચ વગેરે બંદરો હતાં. ઔરંગઝેબ ભરૃચથી જહાજમાં બેસીને હજ કરવા ગયો હતો. સુરતમાં હજ કરવા જનારાઓ માટે મોગલ સરાઈમાં વ્યવસ્થા હતી. સુરતમાં જર્મનો અને ડચ આવીને વસ્યા હતા. સૌરાષ્ટ્રના જાફરાવાદમાં, સુરત નજીક સચિનમાં અને મહારાષ્ટ્રના ઝંઝારામાં હબસીઓના રાજ હતા. કેટલાક દરિયાઈ ચાંચિયાઓ હતા. સૌરાષ્ટ્રમાં ઘણા આરબો વસે છે. આ બધા નૈઋર્ત્યના પવનોનો સહારો લઈને ભારત આવ્યા હતા. વેપારીઓ વરસમાં વહાણોની બે ખેપ મારી શકતા. ઉનાળામાં માલ લઈને ભારત આવતા. શિયાળામાં રેશમ, કપાસનું કાપડ, મરી-મસાલા વગેરે ભરીને પાછા ફરતા. આ રીતે ચીન કે ઈન્ડોનેશિયા વગેરેનો વરસમાં એક ફેરો મારી શકાતો હતો. ચીનની ચા વરસમાં એક વખત યુરોપ પહોંચતી.

ઓગણીસમી સદીના પ્રારંભમાં કોલસો અને વરાળથી ચાલતાં લોખંડનાં યંત્રો શોધાયાં. ત્યાર બાદ મોસમી પવનોના આધારે ચાલતો તાલ તૂટી ગયો. યુરોપિયનોએ સાધનો અને શસ્ત્રોના જોરે ભારત અને બીજા પ્રદેશો પર કબજો જમાવ્યો અને ભારતથી મળતા સામાનની અવિરત સપ્લાય યુરોપ તરફ શરૃ થઈ. કાચો માલ યુરોપ જતો અને ત્યાંનાં કારખાનાંઓમાં બનેલો તૈયાર માલ ભારત આવવા માંડ્યો. યાંત્રિક જહાજો આવ્યાં બાદ ભારતનાં મુંબઈ, ચેન્નઈ, કોલકોતા અને મનિલા, બહાવિયા (જાકાર્તા) જેવાં બંદરોનો ખૂબ વિકાસ થયો. તે વિકાસની સાથે અન્ય વાહનો અને યંત્રો વિકસ્યાં, વીજળી આવી. તે બધાને કારણે પ્રદૂષણ વધ્યું અને એ પ્રદૂષણ હવે નૈઋર્ત્યના પવનો સામે ફરીથી પડકાર બની ગયું છે. પવનોની પેટર્ન ખોરવાઈ રહી છે. હવામાન બદલાઈ રહ્યું છે. છેલ્લાં પાંચ-છ વરસથી સૌરાષ્ટ્રમાં એપ્રિલ-મેમાં વરસાદ પડવા માંડે છે. પૂરનું પ્રમાણ વધ્યંુ છે. વિમાનો સામાન્ય બન્યાં છે. તેથી આંતરરાષ્ટ્રીય લગ્નો અને મેળમેળાપ વધ્યો છે. વર્ણસંકરતા કોઈ ખરાબ બાબત કે અપરાધ નથી, પણ પૂરતા વરસાદને અભાવે પ્રજા જમીનમાંથી અપરાધીઓની માફક પાણી ખેંચી રહી છે. વરસાદી પવનો પરથી હવે પાણી પર આવીએ. કેનાલો અને પંપો દ્વારા ખેડૂતો વરસના બેથી ત્રણ પાકો લે છે. ભારતમાં વીજળીથી ચાલતાં પમ્પો આવ્યા બાદ પાણીનું શોષણ ખતરનાક હદને વટાવી ગયું છે. સંવત ૧૯૫૬ (ઈ.સ.૧૮૯૯-૧૯૦૦)માં દુકાળ પડ્યો જે તેના વરસને કારણે છપ્પનિયા તરીકે ઓળખાયો, ત્યારે જમીનના તળમાં પાણી હતા, પણ તેને ખેંચવાની યાંત્રિક ક્ષમતાઓ (એન્જિનો) ન હતી. ઈસવી સન ૧૭૭૨માં એડિનબર્ગ, બ્રિટનના એક સર્જ્યન ડૉક્ટર વિલિયમ રોક્સબર્ગ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાવા ભારત આવ્યા. પછી એ આન્ધ્રના ઇસ્ટ ગોદાવરી જિલ્લામાં આવેલા સમલકોટા ખાતે સ્થાયી થયા હતા. કેટલાક નિરીક્ષણો અને અભ્યાસ બાદ વિલિયમ રોક્સબર્ગે ભારતમાં મોસમ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. એ માનતા કે ભારતની પ્રાકૃતિક સ્થિતિમાં ઘણા સુધારા થઈ શકે તેમ છે.

ગોદાવરી તટપ્રદેશના ખેડૂતો માત્ર વરસાદ પર જ નિર્ભર હતા. વરસાદ ન આવે તો દુકાળ આવે અને દુકાળનાં પરિણામો ભોગવે. તેનો ઉપાય એ હતો કે સમુદ્રમાં બેરોકટોક વહી જતાં ગોદાવરીના પાણીને નાથવા અને ખેડૂતો તેનો વરસભર ઉપયોગ કરી શકે તે રીતે સંગ્રહ કરવો. ભારતમાં આજે પણ એ સ્થિતિ છે. બિહાર અને બીજા રાજ્યોમાં ભારે પૂર આવે પછીના બે ત્રણ મહિના પછી પાણીની અછત શરૃ થાય. પ્રાચીન કાળથી ભારતવર્ષની પ્રજા પાસે ટેકનિકો તો હતી. મોહેન્જોડેરો સિન્ધુ સંસ્કૃતિના રાજાઓએ પાંચ હજાર વરસ અગાઉ વિશાળ સ્નાનગૃહો, સરોવરો અને તળાવો બંધાવ્યાં હતાં. વરસ ૧૫૬૮માં અકબર બાદશાહે દિલ્હીથી યમુના નદી સુધીની એક જૂની કેનાલને પહોળી બનાવીને નવેસરથી બંધાવી હતી. અકબરની એ કેનાલને ૨૫૦ વરસ બાદ અંગ્રેજોએ નવેસરથી બંધાવી હતી. ગોદાવરી તરફ કોઈ રાજાનું ધ્યાન ગયું ન હતું, પરંતુ સરે, બ્રિટનથી આવેલા એક લો-પ્રોફાઈલ એન્જિનિયર આર્થર કોટને તે કામ ઉપાડ્યું. એના માર્ગદર્શન હેઠળ હજારો મજૂરોએ પસીનો પાડીને ડોવલેશ્વરમ ખાતે એક વિશાલ બંધ બાંધ્યો. વિશાળ દરવાજાઓ વડે ગોદાવરી નદીના પાણીના પ્રવાહનું નિયમન થયું. તે સમયમાં બંધને એન્જિનિયરિંગની ઉમદા કમાલ ગણવામાં આવ્યો અને સ્થાનિક લોકોમાં આર્થર કોટન દોરા અર્થાત બોસ તરીકે લોકપ્રિય બની ગયા. ગોદાવરી તટપ્રદેશ અને ડેલ્ટા ભારતના ‘રાઈસ બાઉલ’માં ફેરવાયો. આજે પણ કોટનના જન્મદિવસે ખેડૂતો એની પ્રતિમા (સ્ટેચ્યુ)ને ફૂલોના હાર ચડાવે છે. અંગ્રેજોએ પાણી પર અંકુશ તો મેળવ્યો, પણ જે વધુ વેચાય અને નિકાસ કરી શકાય તેવા રોકડિયા પાકોની ખેતીનું કલ્ચર તેઓ ભારતમાં લઈ આવ્યા. અગાઉ ગ્રામ્ય જીવન સાટા પદ્ધતિની અર્થવ્યવસ્થામાં ચાલતું. તમે મને કેરી આપો. બાજરી કે ઘઉં આપું.

શાકભાજી આપું. વાળંદ વરસભર સેવા આપે અને ખેડૂતો તેને અનાજ, શાકભાજી વગેરે આપે. સુતાર, લુહાર, કંસારાનું પણ એમ જ હતું, પરંતુ દૂર-સુદૂરનાં બજારો  (જેમ કે કપાસ લંડન જતો) માટે પાક ઉગાડવાને કારણે ગામડાની પરસ્પર નિભાવની અર્થવ્યવસ્થા તૂટી પડી. દુકાળના સમયમાં નવી રોકડિયા પદ્ધતિનો માર સ્પષ્ટપણે જણાવા લાગ્યો. છપ્પનિયા દુકાળ અને ૧૯મી સદીના અન્ય દુકાળો વખતે દેશના કરોડો લોકો ભૂખે મરી ગયા. ૧૮૭૬-૧૮૭૭ના દુકાળમાં ૫૫ લાખથી વધુ લોકો મરણ પામ્યાં. અન્ય ગણતરીઓ મુજબ કરોડથી વધુ લોકો મર્યા હતા. તેના બે વરસ અગાઉ બિહારમાં કારમો દુકાળ પડ્યો, ત્યારે સરકારે બર્માથી ચોખા આયાત કરીને લોકોને બચાવ્યા હતા, પરંતુ બ્રિટનનાં અખબારો ભારતમાંના અંગ્રેજી વહીવટકારોની આ મુદ્દા પર ખૂબ ટીકા થઈ હતી. આજે પણ દુનિયામાં મહત્ત્વના ગણાતાં સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’ દ્વારા ત્યારે લખવામાં આવ્યું હતું કે, ‘સરકાર આવું વલણ દાખવશે તો આળસુ અને એદી ભારતીયો એવું માનતાં થઈ જશે કે તેઓને જીવતાં રાખવાની જવાબદારી સરકારની છે.’ આથી બે વરસ બાદ ૧૮૭૭માં ભારતમાં દુકાળ અને ભૂખમરો ફેલાયા ત્યારે વાઈસરોય લૉર્ડ લિટ્ટને જૂની ‘ભૂલ’ ફરીથી દોહરાવી નહીં. જિલ્લા અધિકારીઓ અનાજનો સંગ્રહ કરવા માગતા હતા, પણ લિટ્ટને તે ના પાડી. એની દલીલ હતી કે લોકો માટે સંગ્રહ કરીશું તો મુક્ત બજારની વ્યવસ્થા તૂટી જશે. જે ખેડૂતોની મહેસૂલની રકમથી ભારતમાં રેલવે બાંધવામાં આવી હતી તેના વેગન ભરીને અનાજ બ્રિટન અને બીજે રવાના કરી દેવાયું. ભારતની પ્રજાએ અનાજની તંગી સહન કરવી પડી. દુકાળના સમયમાં રાહતકામો પર મજૂરી કરતા લોકોના વેતન અંગ્રેજોએ ઓછા કરી નાખ્યા અને તનતોડ મજૂરીના કલાકો વધારી દીધા. વરસ ૧૯૪૩માં બંગાળમાં કુખ્યાત દુકાળ પડ્યો. એ વખતે અનાજની દુકાનોમાં અનાજ ભર્યું હતું. છતાં તે દુકાનોની સામે ભૂખથી ટળવળતાં ત્રીસ લાખ બંગાળીઓ મરણ પામ્યાં. બ્રિટિશ પોલીસનો તે દુકાનો અને ગોદામો પર જાપ્તો બેસાડી દેવાયો હતો. નવું ચોમાસું શરૃ થાય ત્યારે જ ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું, પરંતુ આ બધાં કરતાં સૌથી વધુ નુકસાન ‘સ્કોર્ચડ અર્થ’ નામની જાપાનીઓ સામે અપનાવેલી બ્રિટિશ રણનીતિએ કર્યું.

સ્કોર્ચર્ડ અર્થ અર્થાત જલાવેલી ધરતી, સુકાવેલી ધરતી યુદ્ધની એક એવી નીતિ છે જેમાં દુશ્મન દળોનું આક્રમણ થાય ત્યારે તે આપણા દેશનાં સંસાધનો વાપરી ના શકે તે માટે તે સંસાધનો, સાધનોને નિરુપયોગી બનાવી દેવા. વાહનો, હોડીઓ તોડી ફોડી નખાયા. રસ્તાઓ ખોદી કાઢવા. પાણીની ટાંકીઓ તોડી નાખવી. દુશ્મન દળો પીછેહઠ કરતા હોય ત્યારે તેઓ પણ આ યુક્તિઓ અજમાવે છે જેથી સ્થાનિક સેના તેઓનો પીછો ના કરે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાની હુમલાનો ભય માથે તોળાતો હતો. જાપાનીઓ એટલા ખતરનાક પુરવાર થયા હતા કે તેઓ આગળ ના વધી શકે તે માટે બ્રિટિશરોએ બંગાળમાં સંસાધનો નિરુપયોગી બનાવી દીધા હતા. પરિણામે ખાદ્યાન્ન સામગ્રીની હેરફેર અટકી ગઈ અને તેના વિપરીત પરિણામો બંગાળની પ્રજાએ ભોગવવાં પડ્યાં. હોડીઓ અને વહાણો દ્વારા થતી ચોખાની હેરફેર અટકી ગઈ હતી. ભારતીયો આઝાદીની માગણીઓ કરી રહ્યા હતા તેથી બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના લોહીમાં ભારતીયો માટે ઘૃણા વસી ગઈ હતી. એમણે ભારતની પ્રજા માટે અનાજ મુક્ત કર્યું જ નહીં. ભારતમાં બ્રિટિશરોની બર્બરતાના જે ન ભુલાય તેવા કિસ્સાઓ ટાંકવામાં આવે છે તેમાં જલિયાંવાલા બાગની માફક બંગાળના દુકાળની ઘટનાઓ પણ નોંધપાત્ર છે. ભારતે આઝાદી મળ્યા પછી પણ એ પ્રકારના અને દુકાળો અને વાવાઝોડાં અનુભવ્યાં છે, પણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં દુકાળને કારણે અમાનવીય યાતનાઓ સહન કરી તે આઝાદી બાદ ક્યારેય નથી કરવી પડી. અમુક દુર્લભ અપવાદો સિવાય ભારતીય રજવાડાંઓ અને રાજવીઓ કંઈ ઓછાં ન હતાં. તેઓ લેવાનું અને લૂંટવાનું જ શિખ્યાં હતાં, આપવાનું કંઈ નહીં. આઝાદી મળ્યા પછી પ્રજાની સ્થિતિમાં સુધારો થયો, તે પણ પ્રમાણિકતાથી થયો નથી. ઔદ્યોગિક દેશોમાં ચોમાસામાં વરસાદ આવે કે ન આવે. ખાસ ચિંતાનો વિષય રહેતો નથી. ભારતમાં દુકાળની સ્થિતિ હજી ડરાવે છે, પણ અગાઉની માફક નહીં.
——————

કવર સ્ટોરીવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment