નાસ્તા બદલશો તો વજન ‘ઓટો મોડ’માં ઘટવા લાગશે

આપણા માટે ઉજવણી કે પાર્ટીનો અર્થ માત્ર જમવું કે કંઈક ખાવું તેવો છે
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

એક ગ્લોબલ માર્કેટિંગ રિસર્ચ કંપનીએ તેના સરવેમાં સાબિત કર્યું છે કે ભારતીયો ભૂખ લાગે ત્યારે નહીં, પરંતુ રિલેક્સ થવા અને સ્ટ્રેસ ઘટાડવા માટે સ્નેક્સ ખાય છે. આ કારણે તેઓ જીભને ગમે તેવી વાનગીઓ પેટમાં પધરાવે છે.

આપણા ત્યાં સ્નેક્સ માટેની જે વાનગીઓ હોય છે તે મોસ્ટ અનહેલ્ધી હોય છે. ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાઈએ તો પછી હેલ્ધી ખોરાકની કોઈ અસર પણ થતી નથી.

છેલ્લા બે દાયકામાં ઓબેસિટીનું પ્રમાણ લગભગ બમણુ થઈ ગયું છે. આવું કેમ થઈ રહ્યું છે, ખાવામાં લોકોની શું ભૂલો થાય છે તે સમજવા માટે થયેલા દોઢ વર્ષના અભ્યાસ પછી તારણ નીકળ્યું કે લંચ અને ડિનર ઉપરાંત કંઈક ચગળ્યા કરવાની આદતથી શરીરમાં વણજોઈતી ચરબીનો ભરાવો થાય છે. સરવેમાં જાણવા મળ્યું કે માત્ર ૫૦ ટકા લોકો જ ભૂખ્યા હોય ત્યારે સ્નેક્સ શોધે છે. બાકીના ૫૦ ટકા લોકો મૂડ નથી અથવા તો મૂડ બહુ સરસ છે તે માટે નાસ્તો ઝાપટે છે.

આ સરવે મુજબ ૬૦ ટકા લોકો દિવસમાં બે વાર નાસ્તો કરે છે. જ્યારે ૧૫થી ૨૦ ટકા લોકો દિવસમાં ચારથી પાંચ વાર નાસ્તો કરે છે. રાત્રે મોડા સુધી જાગવાનું છે તો કંઈક ખાવાનું, બપોરે કંટાળો આવે છે તો કંઈક ખાવાનું, સાંજે હજુ જમવાનું બન્યંુ નથી તો કંઈક ખાવાનંુ. ક્યારેક વ્યક્તિ કોઈ પ્રકારનો સ્ટ્રેસ ઘટાડવા માટે પણ નાસ્તો શોધે છે. કેટલાક લોકો કામમાંથી બ્રેક લઈને રિલેક્સ થવા માટે કંઈક શોધે છે.

આપણે ઉત્સવપ્રેમી જનતા છીએ. આપણા માટે ઉજવણી કે પાર્ટીનો અર્થ માત્ર જમવું કે કંઈક ખાવું તેવો છે. નાની-મોટી ખુશી કે મેળાવડો અથવા કોઈ મિત્ર મળી જાય કે પછી ક્યાંય ફરવા નીકળ્યા હોય તો એમ થાય ચાલો કંઈક ખાઈ લઈએ. આપણે સમોસા, બેકરી આઇટમ, વડાપાંઉ, દાબેલી જેવા નાસ્તા કરીએ છીએ. ઘરમાં તળેલા નાસ્તા કે કુકીઝના ડબ્બા તો ભરેલા જ રાખીએ છીએ. આપણે આખો દિવસ અભાનપણે કંઈક ને કંઈક ખાતા જ રહીએ છીએ.

જમવાના સમયે જમવું અને બાકીના સમયે પેટને આરામ આપવો તેવી સભાનતા આપણામાં આવી નથી. આ કારણે આપણે લંચ કે ડિનર ભલે માપમાં લેતા હોઈએ, પરંતુ નાસ્તાના નામે પેટમાં કચરો ઠાલવો એટલે ડાયેટ પ્લાનની ઐસી કી તૈસી થઈ જાય.

શું છે હેલ્ધી સ્નેક્સ
આપણને કંઈક ને કંઈક ચગળવાની આદત પડી ગઈ છે, પરંતુ જો એ સમયે આપણે હેલ્ધી વસ્તુ ચગળીએ તો બહુ વાંધો આવતો નથી. હેલ્ધી સ્નેક્સમાં આપણે ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, ખારેક, સીડ્સ, સોયાબીન, સિંગ કે ચણા જેવી વસ્તુ ખાવી જોઈએ. પેકેટમાં મળતી સ્નેક્સ આઇટમ હેલ્ધી નથી કેમ કે તેમાં મોટા પ્રમાણમાં શુગર અને સોયાબીન હોય છે. તમે સ્નેક્સમાં બોઇલ્ડ ફણગાવેલા કઠોળ, વેજિટેબલ પૌંઆ, ઉપમા, પોપકોર્ન, શેકેલા મમરા, પૂરી વગરની ભેળ પણ ખાઈ શકો છો.

કેમ છે ફાસ્ટફૂડ અનહેલ્ધી
તમે જે ભેળપૂરી, સેવપૂરી, વડાપાંઉ, ઈડલી, ઢોસા, સમોસા, દાબેલી જેવા ફાસ્ટફૂડ ખાવ છો તેમાં પ્રોટીનની માત્રા ઘણી ઓછી હોય છે અને સહેલાઈથી પચી જાય તેવું કાર્બોહાઇડ્રેડ હોય છે. તેથી તમને આ બધંુ ખાધા પછી થોડી વારમાં ભૂખ લાગે છે. તમે ફરી પેટમાં કંઈક અનહેલ્ધી પધરાવો છો. નાસ્તામાં તમે પ્રોટીનયુક્ત ચીજો લો તો તે ઓવરઓલ ડાયેટને બેલેન્સ કરે છે.

————————

ફેમિલી ઝોનભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment