તીડનું તાંડવ, જડ નિયમો અને ધરાતલનું સત્ય

તીડ નિયંત્રણના દાવાઓ અને વાસ્તવિકતા
  • કવર સ્ટોરી – નરેશ મકવાણા

પાકિસ્તાન તરફથી ઉત્તર ગુજરાતમાં પ્રવેશેલાં તીડનાં ટોળાંઓએ માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં અહીંના ચાર જિલ્લાઓની ખેતીને તબાહ કરીને આખરે વિદાય લઈ લીધી છે. જોકે એમ કહેવું ખોટું નહીં ગણાય કે, તેણે ખેતીપાકોની સાથે અનેક પરિવારોનાં સપનાંઓ પણ તબાહ કરી દીધાં છે. અણસમજુ એ કીટકો તો પેટભરીને જતાં રહ્યાં, પણ જેમનો માત્ર ખેતીની આવક પર જ મદાર હતો તેવા અનેક પરિવારોએ જિંદગીનાં સમીકરણો નવેસરથી બેસાડવાનો વારો આવ્યો છે. આખા વરસની આવક ગણતરીના કલાકોમાં છીનવાઈ ગઈ છે ત્યારે અહીં સરકારી વળતર અગત્યનો મુદ્દો બની ગયું છે. જોકે નીંભર તંત્ર કેવી રીતે વાસ્તવિકતા નજર સામે હોવા છતાં જડ નિયમોને વળગી રહીને ખેડૂતોને અન્યાય કરી રહ્યું છે તે સમજવા માટે તમારે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાંથી પસાર થવું રહ્યું.

ઉત્તર ગુજરાતના શિયાળાની હાડ થીજવતી ઠંડી વચ્ચે સવારના છ વાગ્યાનો સમય. બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા થરાદ તાલુકાના મીંયાલ ગામના પાદરમાં ચારેક ટ્રેક્ટર સાંતીની જગ્યાએ મોટાં પીપડાં બાંધીને કોઈની રાહ જોતાં પડ્યાં છે. આખું પીપડું જંતુનાશક દવા અને પાણીના મિશ્રણથી છલોછલ છે. સવાર સવારમાં તેની તીવ્ર વાસથી અકળાઈને બધા દૂર ઊભા છે. નજીકમાં કેટલાક યુવાનોએ તાપણુ કર્યું છે. કોઈ મોબાઇલમાં વીડિયો જોવામાં મશગૂલ છે, તો કોઈ છાપું વાંચી રહ્યું છે. એ ટોળાં વચ્ચે થોડી જગ્યા કરતી એક કૂતરી તેનાં ચાર ગલૂડિયાં સાથે ટૂંટિયું વળીને ગરમી મેળવવા મથી રહી છે. જોકે ગઈકાલ સાંજથી કંઈક અમંગળના એંધાણ કળી ગઈ હોય તેમ તે ઊંચું મોં કરીને ઊનવાયા કરે છે. તેની એ હરકતથી ગુસ્સે ભરાયેલા એક વહેમીલાએ હટ્..હટ્..કરીને તેને ભગાડવા પ્રયત્ન કર્યો, પણ તેણે મચક ન આપી. આ બાજુ મહિલા વર્ગ હજુ ઘરકામમાં વ્યસ્ત હોવાથી ગામના ખબરઅંતર પૂછવાનો તેમને સમય મળ્યો નથી. છતાં આગામી ચોવીસ કલાક કેવા વિતવાના છે તેનાથી તે સાવ અજાણ પણ નહોતી. એકમાત્ર બાળકો અને કાંકરેજી બળદો જ સંકટથી અજાણ હોઈ નીંદર ખેંચી રહ્યા હતા. જોકે સૌથી વધુ ભયભીત પારેવાં, હોલાં, કાબર, કાગડા અને ચકલાં હતાં. કેમ કે તેમનાં રહેઠાણો આસપાસ જ એ ‘કાળ’ ગઈકાલ રાતથી અડિંગો જમાવીને બેઠો હતો.

પૂર્વ દિશાએથી સૂર્ય ધીરેધીરે ઉપર આવી રહ્યો છે અને તેની સાથે મીંયાલની સીમ પર ચડી આવેલો એ કાળ ગામલોકોની નજરે ચડવા માંડ્યો. સૂરજ જેમજેમ તપતો જાય છે તેમતેમ, ખેતરો અને ગામપાદરનાં વૃક્ષો પરના એ સળવળાટને ગામલોકો ફાટી આંખે જોઈ રહ્યાં છે. પીલુડી, ગાંડા બાવળ, દેશી બોરડી, આકડો, દીવેલા, જીરુંનાં ખેતરોથી લઈને કાંટાળી વાડો સુદ્ધાં તેનાંથી અલિપ્ત નથી. ટૂંકમાં, જ્યાં પણ લીલોતરી દેખાય એ દરેક જગ્યાએ કાળસમા એ કીટકે કબજો જમાવી દીધો હતો. સૂર્યનાં ત્રાંસા કિરણો તેના લીસા છતાં અણગમતાં શરીર પર પડતાં તેની સોનેરી ઝાંય ચમકી રહી હતી. ચીતરી ચડે એવું શરીર, એન્ટિના જેમ મોં પર ફરફરતાં રહેતા બે દોરા, ભૂખરી પાંખો નીચે સાપ જેવા પટ્ટા અને ચૂડેલ જેમ ત્રાંસા કરકરિયાવાળા પગ ધરાવતું એ વિચિત્ર કીટક આળસ મરડતું ધીરેધીરે જાણે નાસ્તાની તૈયારી કરી રહ્યું હતું. જોકે ગામલોકોમાં પણ આ સંકટને લઈને બે સ્પષ્ટ ફાંટા પડી ગયા હતા. જુવાન લોહી દવા છાંટીને તેને ખતમ કરી દેવા તલપાપડ હતું, જ્યારે એમના કરતાં વધુ દિવાળી જોઈ ચૂકેલી ઘરડી આંખો ભવિષ્ય કળી ગઈ હોઈ ઘેરા વિષાદમાં ડૂબી ચૂકી હતી.

૨૭મી ડિસેમ્બર ૨૦૧૯ની સવારે છ વાગ્યે જ્યારે અમે થરાદથી ચાલીસેક કિ.મી. દૂર આવેલા મીંયાલ ગામે પહોંચ્યા ત્યારે પાદરમાં જોયેલું આ દ્રશ્ય હતું. આમ તો શિયાળામાં ગામપાદરમાં વહેલી સવારે ટ્રેક્ટરોની હાજરી સમૃદ્ધિની નિશાની ગણાય, પણ અહીં મામલો જુદો હતો. કેમ કે ટ્રેક્ટરો સાથે ગામલોકો ગઈકાલે સાંજથી અહીં રાત રોકાયેલાં તીડોનાં ધાડાંઓ પર દવા છાંટવા માટે એકઠાં થયાં હતાં. છેલ્લા પંદર દિવસથી અહીંના વાવ, થરાદ અને ડીસા તાલુકાનાં સો જેટલાં ગામોમાં ઊભો પાક ખાઈ જઈને તીડનાં ટોળાંઓએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવી લીધો હતો. હોલિવૂડની જાણીતી ફિલ્મ ‘ધ મમી’માં બતાવાયેલા કીડાઓની જેમ તેણે ગણતરીના કલાકોમાં જ આખેઆખાં ખેતરો સાફ કરી નાખ્યાં હતાં. એટલે જ તીડનાં ટોળાં ગઈકાલે સાંજે પોતાના ગામમાં ઊતરી આવ્યાંનું જાણીને મીંયાલના ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. તેમની હાજરીનો સીધો અર્થ એવો થતો હતો કે આગામી ચોવીસ કલાકમાં તેમનું ગામ પણ તીડોની રંજાડ ધરાવતાં લિસ્ટમાં સામેલ થઈ જશે.

અને થયું પણ એવું જ. જેવો સૂર્ય ઊગ્યો, થોડુંઘણુ અજવાળું પથરાયું, એ સાથે જ કરોડો અળિયાળા મોં નજરેે ચડી તે લીલોતરી કોતરવા માંડ્યાં અને ખેડૂતો બિચારા મોં વકાસીને જોતાં રહેવા સિવાય કશું કરી શક્યા નહોતા. હાલ તીડે તો અહીંથી વિદાય લઈ લીધી છે, પણ તેના કારણે જે કરુણ પરિસ્થિતિ પેદા થઈ છે તેની વાત અહીં કરવી છે. જોકે એ પહેલાં આ તોફાની કીટક વિશે જાણી લઈએ.

તીડનું જીવનચક્ર, ઉત્પત્તિ અને નિયંત્રણ
સાબરકાંઠા કૃષિ વિભાગના નાયબ નિયામક પી.બી. ખિસ્તરિયાના જણાવ્યા પ્રમાણે, તીડ એકથી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવતું બહુભોજી પ્રકારનું કીટક છે. માથું, છાતી અને પેટ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા તેના શરીર પર બે જોડી પાંખો અને ત્રણ જોડી પગ હોય છે. કીટક વર્ગમાં ૭૮થી ૮૦ ટકા હિસ્સો ધરાવતાં તીડ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા હોવાની સાથે ખેતીના સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે. ઈરાન, ઓમાન, યમન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન વગેરે તેનાં મૂળ ઉત્પત્તિ સ્થાનો છે. દુનિયાના ૨૦૦ દેશોમાંથી ૬૦ દેશોને તીડે કાયમી નિવાસસ્થાન બનાવેલું છે. એક તીડ પોતાના વજન જેટલો ખોરાક ખાતું હોઈ એને ખેતી માટે આતંકવાદીની ઉપમા મળેલી છે.

તીડના મુખ્ય બે પ્રકારો છે, સોલિટરીઅસ અને ગ્રેગેરીઅસ. સોલિટરીઅસ એટલે છૂટાછૂવાયાં, તે ખેતીપાકોમાં વધારે પ્રમાણમાં નુકસાન નથી કરતાં, પણ ગ્રેગરીઅસ અર્થાત ટોળાંમાં વસતાં તીડ ખેતીને મોટાપાયે નુકસાન પહોંચાડે છે. ટોળાંમાં તેની સંખ્યા હજારો, લાખો નહીં પણ કરોડો અને અબજોમાં હોય છે. એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલાં તીડોનાં ટોળાંમાં બેથી ૧૫ કરોડ તીડ હોઈ શકે છે. તેનું જીવનચક્ર મુખ્યત્વે ઈંડાં, કૉશેટો અને પુખ્તા એમ ત્રણ અવસ્થાઓમાં વહેંચાયેલું હોય છે. તેની માદા પેટનો ભાગ જમીન અથવા રેતીની અંદર દાખલ કરીને ચોખાના દાણા જેવા પીળા રંગનાં ૮૦થી ૧૫૦ જેટલાં ઈંડાં મૂકતી હોય છે. વર્ષ દરમિયાન આ રીતે તે પાંચ વખત ઈંડાં મૂકતી હોય છે. ઈંડાં મૂક્યાં બાદ તે કોચલાના રક્ષણ માટે શરીરમાંથી પેદા થતા ચીકણા પદાર્થથી તેને ઢાંકી દે છે. એ પછી ૧૦થી લઈને ૬૫ દિવસની અંદર તેમાંથી બચ્ચાં નીકળે છે. બચ્ચાં નીકળવાનો મુખ્ય આધાર તાપમાન પર રહેલો છે. જ્યારે ૧૫ ડિગ્રીથી વધારે તાપમાન થાય ત્યારે જ તેમાંથી બચ્ચાં પેદા થતાં હોઈ ઓછા તાપમાને નીકળતાં નથી. તીડનાં બચ્ચાંના વળી પાંચ તબક્કા છે. જેમ સાપ કાંચળી ઉતારે છે તેમ તીડ પુખ્તાવસ્થાએ પહોંચતા સુધીમાં પાંચ વખત શરીર પરથી કાંચળી ઉતારી કાઢે છે. એકથી ચાર સ્ટેજ સુધી તેનો રંગ કાળો હોય છે. પાંચમો તબક્કો પસાર કર્યા બાદ તે પુખ્ત બનીને ઉડાન ભરે ત્યારે તેનો રંગ લગભગ ગુલાબી જેવો હોય છે. (આપણે ત્યાં ત્રાટકેલાં તીડનો રંગ આ પ્રકારનો હતો.) આ તીડ એક હૅક્ટર જમીન પર ૧૦ હજારથી વધારેની સંખ્યામાં નાની-નાની ટુકડીઓમાં વહેંચાઈ જઈને નજરે ચડે તે વનસ્પતિ પર તૂટી પડતાં હોય છે. જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો તે ૬ મહિના સુધી જીવે છે, પણ વિપરીત પરિસ્થિતિ, ખાસ કરીને અપૂરતા ખોરાકમાં તે ત્રણ મહિનાથી વધુ જીવી શકતાં નથી.

ભારત સરકારે તીડ માટે કેટલાક શિડ્યુલ વિસ્તારો નક્કી કરેલા છે. જેમાં પશ્ચિમનાં ત્રણ રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને પંજાબનો થોડો ભાગ સામેલ છે. આપણે ત્યાં તીડનાં આક્રમણો મુખ્યત્વે આરબ દેશોમાંથી થતાં હોઈ તેની ઝપટમાં આવતા પાંચ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાને શેડ્યુલ ડેઝર્ટ એરિયા તરીકે જાહેર કરેલા છે. તીડના આક્રમણ અંગે મોનિટરિંગ હેતુ રાજ્યમાં પાલનપુર અને ભુજ ખાતે બે કચેરીઓ પણ કાર્યરત છે. સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. આ ચાર જિલ્લાના કુલ ૧૭ તાલુકાનાં ૧૩૨ ગામો તીડથી પ્રભાવિત થયાં છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રે આપેલી માહિતી મુજબ અહીં તીડના નિયંત્રણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બે રીતે પગલાં લેવામાં આવ્યાં હતાં. કેન્દ્રીય કૃષિ મંત્રાલય હસ્તકના ડાયરેક્ટર ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વૉરન્ટાઇન એન્ડ સ્ટોરેજ(પી.પી.ક્યુ.એસ.) જેની મુખ્ય કચેરી ફરીદાબાદ(યુપી) ખાતે આવેલી છે, તેના ચાર વિભાગો પૈકી એક વિભાગ તીડ નિયંત્રણ માટે કામ કરે છે. તેના નેજા હેઠળ એસયુવી પ્રકારનાં વાહનો તૈયાર કરીને જ્યાં પણ તીડનું ટોળું દેખાય ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સિવાય રાજ્ય સરકારની ૧૦૦થી વધુ ટીમો દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રે દ્વારા દવા છાંટવામાં આવી હતી. ૫ હજાર લિટર જેટલી મૅલાથિઓન ૯૬ ટકા અને ૫૦૦ લિટર જેટલી ક્લૉરપાયરિફોસ દવા તેમાં વપરાઈ હતી. અત્યાર સુધીમાં ૧૦ હજાર હૅક્ટર જમીન પર સરવે કરવામાં આવ્યો, તે પૈકી ૭ હજાર હૅક્ટર પર તીડની હાજરી નોંધાઈ હતી. એમાં પણ સૌથી વધુ તીડ જ્યાં જોવા મળ્યાં તેવી ૫ હજાર હૅક્ટર જમીન પર દવા છાંટવામાં આવી હતી.

તીડ નિયંત્રણના દાવાઓ અને વાસ્તવિકતા
૧૪મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ રાજસ્થાન તરફથી બનાસકાંઠાના સૂઈગામ થઈને ગુજરાતમાં પ્રવેશેલાં તીડનાં ટોળાંએ ફક્ત ૧૫ દિવસના ટૂંકાગાળામાં અહીંના વાવ, ભાભર, દિયોદર, શિહોરી, ડીસા, પાલનપુર, જળોત્રા, સતલાસણ અને દાંતા સહિતના ૧૭ જેટલા તાલુકાઓનાં ૧૩૨ ગામોને નિશાન બનાવ્યાં હતાં. આ લખાઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં ચડી આવેલાં તીડોનાં ઝૂંડ તો પરત ફરી ગયાં છે, પણ ત્યાં સુધીમાં તેણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં અંદાજે ૧૩ હજાર હૅક્ટરથી વધુ જમીન પર ઊભેલા એરંડા, રાયડો, કપાસ, જીરું અને ઘઉંના પાકને સફાચટ કરી નાખ્યો છે. અગાઉ તેને ભગાડવા માટે ખેડૂતોએ રાતદિવસ ઢોલ, નગારાં, ડીજે અને ફટાકડાનો સહારો લીધો હતો. છતાં ધારી સફળતા મળી નહોતી. દરમિયાન સ્થાનિક તંત્રે દાવો કર્યો હતો કે કેન્દ્રની ૧૬ અને રાજ્ય સરકારની ૧૧૭ મળીને કુલ ૧૩૩ ટીમોનાં સઘન ઑપરેશન બાદ મોટા ભાગનાં તીડોનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે અહીંના ખેડૂતોએ આ દાવાઓને પોકળ ગણાવીને બળાપો કાઢ્યો હતો કે મેલાથીયોન-૯૮ અને ક્લોરપાયરીફૉસનો છંટકાવ કરવાથી માંડ પાંચ ટકા તીડ મર્યાં હતાં.

‘અભિયાન’ના પત્રકાર જ્યારે મીંયાલ પહોંચ્યા ત્યારે ખારાખોડા ગામના હેમરાજભાઈ પટેલ મળ્યા, જેઓ ત્યાંના ખેડૂતોની મદદે આવ્યા હતા. તેમનો તર્ક એવો હતો કે, મીંયાલથી તેમનું ગામ સાવ નજીકમાં છે અને તીડને ત્યાં પહોંચતા બે કલાક પણ ન લાગે. આથી જો અહીં જ તેને ખતમ કરી દેવામાં આવે તો કમસે કમ આગળનાં ગામોનાં પાકોને બચાવી શકાય. જોકે તેઓ તંત્રની કામગીરીથી જરાય સંતુષ્ટ નહોતા. ‘અભિયાન’ સમક્ષ તેમણે બળાપો કાઢતાં કહ્યું, ‘કૃષિ વિભાગ દ્વારા અનેક ટીમો કામે લગાડાઈ હોવાનું સાહેબો કહે છે, પણ મીંયાલમાં અમે ખેડૂતોએ જ દવાનો છંટકાવ કર્યો હતો. ગઈ રાત્રે તાલુકામાંથી અમને એવો સંદેશો મળ્યો હતો કે જેમની પાસે ટ્રેક્ટર હોય તે દવા છાંટવા માંડે. અહીં બધા ખેડૂતો ટ્રેક્ટર ક્યાં લેવા જાય. કેટલાક પાસે ટ્રેક્ટર છે, પણ દવા છાંટવા માટેનાં સાધનો નહોતાં. એટલે બેસી રહ્યા સિવાય છૂટકો નહોતો. તીડ બધું ખાઈ ગયાં છે ત્યારે સરકાર તો સહાય કરે ત્યારે ખરી, બાકી અમે અમારી નજર સામે આવક ગુમાવી છે.’

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે જોકે ખેડૂતોના દાવાઓ સાથે સહમત નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલાં પગલાંની વિગતો આપણે તેમણે જણાવ્યું કે, ‘તીડ આક્રમણ આપણે ત્યાં મે-જૂન મહિનામાં શરૃ થયેલું, જેને નાથવામાં આપણને સફળતા મળી હતી. એ પછી અસામાન્ય રીતે આ વખતે ૧૪મી ડિસેમ્બરથી બનાસકાંઠા જિલ્લામાં પણ તીડનું આક્રમણ થયું હતું. થરાદમાં તીડનું મોટું ઝૂંડ રાજસ્થાનના ઝાલોર તરફથી આવ્યું હતું જે દસેક ચોરસ કિ.મી.માં અહીંના રડકા, નારોલી અને આંતરોલમાં જોવા મળેલું. જેના પર કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા નિયંત્રણના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કેન્દ્રની ૧૯ ટીમો સાથે રાજ્ય સરકાર દ્વારા ૨૫ જેટલાં ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રે પૂરા પાડીને તીડ પર દવાનો છંટકાવ કર્યો હતો. હાલ તીડ રાજસ્થાન તરફ જતાં રહ્યાં છે, તેમ છતાં જો પવનની દિશા બદલાય અને તે ફરી આ તરફ આવી ચડે તો પણ તેને નાથવા જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે. હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે અહીંના ૧૩ તાલુકાઓના ૯૫ જેટલાં ગામોની ૬ હજાર હૅક્ટર જમીન પર પાકોને નુકસાન થયું છે. હાલ નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે અને સરકારનાં ધારાધોરણો મુજબ ખેડૂતને વળતર ચૂકવવામાં આવશે. અન્ય આપત્તિઓની જેમ તીડના આક્રમણ અંગે આગોતરું આયોજન શક્ય નથી. કેમ કે તે પવનની દિશા, સૂર્યપ્રકાશની તીવ્રતા અને ખોરાકના પુરવઠા જેવી બાબતો પર નિર્ભર કરે છે. બનાસકાંઠામાં ત્રાટકેલું તીડોનું ટોળું બલુચિસ્તાન તરફ જવાનું હતું, પણ પવનની દિશા બદલાતાં અહીં આવી ચડ્યું હતું. તેની આવી અણધારી પ્રકૃત્તિને કારણે જ કેન્દ્ર સરકારે તેને કુદરતી આપત્તિની કક્ષામાં મૂક્યું છે. આગામી દિવસોમાં અસરગ્રસ્ત દેશો મળીને તીડ નિયંત્રણ મામલે એક કૉમન પૉલિસી નક્કી કરે તે દિશામાં પણ સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.’

મીંયાલમાં સરકારની ઢીલી કામગીરી સામે સ્થાનિકો રોષે ભરાયા હતા. કેટલાકનો કહેવું હતું કે સરકાર કરતાં તેમના વધારે ટ્રેક્ટરો દવા છાંટવા ફરે છે. તંત્ર દ્વારા ડ્રોન અથવા હેલિકૉપ્ટરનો ઉપયોગ ન કરાયો તેના કારણે તીડનો ઉપદ્રવ વધ્યો હતો. જોકે અહીં જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેનો તર્ક વધારે ગળે ઊતરે તેવો છે. તેમના મતે, ત્યાં હેલિકૉપ્ટરથી દવાનો છંટકાવ કરવો યોગ્ય નહોતો. કેમ કે તીડ નિયંત્રણ માટે જે દવાનો છંટકાવ થાય છે તેનાથી માણસ અને પશુઓના આરોગ્યને ગંભીર નુકસાનનો ખતરો હતો. આ દવા માણસના સંસર્ગમાં આવે તો કૅન્સર જેવી બીમારીની સંભાવના રહે છે. હવાની દિશા જે તરફની હોય તે દિશામાં ડ્રોન કે હેલિકૉપ્ટર દ્વારા દવા છાંટવામાં આવે તો તે પવન સાથે રહેણાક વિસ્તારમાં પ્રસરી જવાનો ભય પણ રહેતો હતો. જો દવા પશુઓના ચારા પર પડે તો તેનાથી તેને પણ અસર થાય તેમ હતી. છતાં પ્રાયોગિક ધોરણે અમુક જગ્યાએ ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવા પ્રયત્નો કરાયા હતા, પણ આ કારણોસર તે મોકૂફ રખાયું હતું.

તીડના આક્રમણમાં અનેક સપનાં રોળાયાં
તીડના આક્રમણથી માત્ર ખેતીને જ નહીં, અનેક પરિવારોની જિંદગીને પણ માઠી અસર પહોંચી છે. ઘણાના મોંએ આવેલો કોળિયો ઝૂંટવાઈ જતાં રોવા સિવાય કોઈ વિકલ્પ નથી. ‘અભિયાન’ની ટીમ અહીંનાં ખેતરોમાં ફરી રહી હતી ત્યાં કેટલાંક છોકરાંઓ ખેતરોમાં ઢોલ અને થાળી વગાડી તીડ ભગાડતાં નજરે ચડ્યાં. પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે તેમના ખેતરમાં તીડ આવી ચડ્યાં હોઈ શાળામાં રજા રાખીને પિતાએ તેમને એ કામ સોંપ્યું હતું. નવમા ધોરણમાં ભણતો દશરથ શાળાએ જવાને બદલે તેના તેર વર્ષના ભાઈ મેહુલ અને કાકાના દીકરા મુકેશ સાથે વહેલી સવારથી પોતાના અઢી એકરના એરંડાના ખેતરને તીડથી બચાવવા ઢોલ વગાડતો હતો. છ મહિના પહેલાં તેના પિતાએ દેવું કરીને લાવેલી બે ભેંસો કોઈ ચોરી ગયું હતું. જેની આજદિન સુધી કોઈ ભાળ મળી નહોતી. તેના પિતા વેરશીભાઈ પારંગીએ પોલીસ ફરિયાદ કરી છે, પણ હજુ સુધી ભેંસોના કે ચોરના કોઈ સમાચાર નથી. દૂધની આવક બંધ થઈ જતાં દશરથ અને મેહુલને ભણાવવું તેમના માટે કપરું થઈ પડ્યું છે. એટલે ખેતરોમાં તીડને એરંડા ખાતાં જોઈને અમારી હાજરી છતાં વેરશીભાઈ અને તેમનાં પત્ની આંસુ રોકી શક્યાં નહોતાં.

પોતાની આપવીતી જણાવતાં વેરશીભાઈ કહે છે કે, ‘છ મહિના અગાઉ દેવું કરીને ભેંસો ખરીદી હતી. વિચારતો હતો કે તેના દૂધમાંથી બે રૃપિયા કમાણી થશે અને બેય દીકરા સારી રીતે ભણી શકશે, પણ ભેંસો કોઈ ચોરી ગયું. પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ આજ દિન સુધી કોઈ સમાચાર આવ્યા નથી. હાલ તો ભેંસોના દૂધની કમાણીને બદલે ભેંસોનું વ્યાજ ભરી રહ્યો છું. આ વર્ષે વરસાદ સારો થયો હતો એટલે લાગતું હતું કે એરંડાની કમાણીમાંથી દેવું ભરાઈ જશે, પણ ત્યાં આ તીડ ત્રાટક્યાં અને મારા મોંએ આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. સરકાર સહાય આપવાની વાત કરે છે, પણ તેટલા રૃપિયા તો અમારે દવાનો ખર્ચ થઈ જાય છે. એટલે હવે તો છોકરાને ખવડાવવું કે ભણાવવો તે પ્રશ્ન ઊભો થયો છે.’

મીંયાલના ઉપસરપંચ વરધાભાઈ પટેલ પોતાના ગામમાં તીડનો હુમલો થયાનું જાણીને સાસરિયાની મોંઘેરી મહેમાનગતિ છોડીને તાબડતોડ ૧૦ જેટલાં ટ્રેક્ટર તૈયાર કરાવીને દવા છાંટી રહ્યા હતા. જોકે સરકારી દવાની અસર વિશે તેઓ સંતુષ્ટ નહોતા. વરધાભાઈનું કહેવું હતું કે, ‘રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી તીડ મારવાની દવા ધારી અસર કરતી નથી. અધિકારીઓ ભલે દાવાઓ કરતા હોય, પણ એ દવાથી માંડ બે-પાંચ ટકા તીડ મરે છે. કેન્દ્ર સરકારની ટીમ જે કામગીરી કરે છે તેનું પરિણામ સારું લાગ્યું. કેમ કે તેઓ ૫૦૦ લિટર પાણીમાં બે લિટર દવા ઉમેરતા હતા. અહીં જીરું અને એરંડામાં તીડે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. હાલ તો કલેક્ટર સાહેબે યોગ્ય વળતરનું આશ્વાસન આપ્યું છે, ત્યારે જોઈએ શું થાય છે.’

૭૦ વર્ષનાં લેરીબહેન દેસાઈએ આખી જિંદગી ખેતમજૂરી કરીને બંને દીકરાઓને ઉછેર્યાં છે. આ વખતે પહેલીવાર તેમણે પોતાની ૮ એકર જમીન પર પિયત કરીને જીરું વાવ્યું હતું. આશા એવી હતી કે તેમાંથી કમાણી થશે અને પછી મજૂરી માટે બહાર ભટકવું નહીં પડે. આ આશામાં જ તેમણે રૃ. બે લાખનું દેણુ કરીને ખેતરમાં સિંચાઈની વ્યવસ્થા કરાવી હતી, પણ તેમની એ આશા ઠગારી નીવડી. કેમ કે જીરુંના તેમના ખેતર પર આગલી રાત્રે જ તીડનાં ટોળેટોળાં ઊતરી આવ્યાં હતાં. જેણે બપોર સુધીમાં આખું ખેતર સાફ કરી નાખ્યું હતું. નજર સામે તીડને જીરું ખાતાં જોઈને લેરીબહેનની આંખોમાંથી આંસુ સુકાતાં નહોતાં. અમે પહોંચ્યાં ત્યારે પણ તેઓ રડતાં જ હતાં. દુઃખી હૃદયે તેમણે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું, ‘ઘડપણની લાકડી જેવા મારા બેય દીકરા દૂર રહે છે. મોટો ગાંધીનગર પાસે એક તબેલામાં ભેંસો દોહે છે, બીજો મોરબીમાં કારખાને જાય છે. મને ટેકો રહે તે માટે મોટાની વચેટ છોડી મારી સાથે છે. જિંદગીમાં હવે વધારે દિવસો બચ્યા નથી ત્યારે વિચારતી હતી કે બેય દીકરા મારી પાસે રહે તો સારું. એ માટે ખેતરમાં પિયત કરાવ્યું હતું અને ભાગિયો શોધીને ખેડવા આપેલું. અત્યાર સુધી બધું મારા ધાર્યા પ્રમાણે જ થતું હતું, પણ ત્યાં તૈયાર ભાણે આ તીડ આવ્યાં અને એક જ રાતમાં મારાં સપનાં પર પાણી ફરી વળ્યું. હવે હું રોવા સિવાય કશું કરી શકતી નથી. ખેતરનો ભાગિયો પણ બિચારો ગઈકાલનો રોવે છે. ત્યારે હવે તો સરકાર શું સહાય કરે છે તેના પર જ બધો આધાર છે.’

અહીં રિપોર્ટિંગમાં અમે નોંધ્યું કે આસપાસનાં અનેક ગામોના ખેડૂતો પોતપોતાનાં સગાંઓનાં ટ્રેક્ટરો લઈને તીડ નિયંત્રણની દવા છાંટવા માટે આવી પહોંચ્યા હતા. પરિણામે સ્થિતિ એ ઊભી થઈ હતી કે સરકારનું માત્ર એક ટ્રેક્ટર દવા છાંટતું હતું, સામે ખેડૂતોનાં વીસ ટ્રેક્ટર હતાં. જેથી સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા હતા. એ બધાના આગેવાન હતા જાડરા ગામના સરપંચ શંકરભાઈ પટેલ, કે જેઓ મીંયાલના ખેડૂતોનો પાક બચી જાય તે માટે પોતાના ગામમાંથી ૧૦ ટ્રેક્ટરો લઈને આવી પહોંચ્યા હતા, પણ અહીં સરકારનું માત્ર એક જ ટ્રેક્ટર દવા છાંટતું દેખાતાં તેઓ રોષે ભરાયા હતા. ‘અભિયાન’ સમક્ષ તંત્ર સામેનો ગુસ્સો વ્યક્ત કરતા તેમણે કહ્યું, ‘અહીં ખેડૂતોનાં ૮૦ ટ્રેક્ટરો મદદ માટે દોડી આવ્યાં છે, જ્યારે સરકારનાં માત્ર બે ટ્રેક્ટર દવા છાંટી રહ્યાં છે. સરકાર પાસે તમામ સગવડો હોવા છતાં પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. કોઈ બિલ્ડરનું કામ હોય ત્યારે તંત્ર રાતોરાત બધી મંજૂરી આપી દે છે. જ્યારે અહીં ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું છે છતાં સરકાર ઢીલી નીતિ દાખવી રહી છે. નેતાઓએ ખાલી ખેતરોમાં તગારાં કૂૂટ્યાં. એસી ગાડીઓમાં બેસીને બધા આવ્યા, ફોટા પડાવ્યા અને જતા રહ્યા. જ્યારે ખેડૂત બિચારો ત્યાંનો ત્યાં જ રહ્યો. સરકાર વળતર આપવાની વાત કરે છે પણ તેઓ કેટલુંક આપશે? ખેડૂતો ત્રણ લાખ  પાણીની લાઇનમાં ખર્ચે છે, બે લાખ મશીન પાછળ ખર્ચે છે. એક મણ બિયારણ તેને ૭ હજારમાં પડે છે, ત્યારે સરકારી સહાય તેના માટે પાશેરામાં પૂણી જેવી સાબિત થવાની. જો સરકાર ખરેખર ખેડૂત માટે કશુંક કરવા ઇચ્છતી હોય તો અમે જે પાકવીમો લઈએ છીએ તેનું યોગ્ય વળતર અપાવે. બાકી ફોટા પડાવી, ખોટા આંકડાઓ જાહેર કરી ખેડૂતોને છેતરવાનું બંધ કરે.’

છેલ્લે સૌથી અગત્યની વાત. તીડના ઉપદ્રવનો આપણે ત્યાં નેશનલ ડિઝાસ્ટર અર્થાત રાષ્ટ્રીય આપત્તિમાં સમાવેશ થયેલો છે. એટલે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ અંતર્ગત અન્ય આપત્તિઓમાં જે સહાયની જોગવાઈ છે તે આમાં પણ લાગુ પડશે. એના માટે ગુજરાતમાં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ છે. અગાઉ અતિવૃષ્ટિ વખતે તેમાંથી અસરગ્રસ્તો માટે સહાયની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તે તીડની નુકસાનીમાં પણ લાગુ પડશે. સરકારી નિયમ તો એવો છે કે ૩૩ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા સંજોગોમાં હૅક્ટરે રૃ. ૬૮૦૦ સુધીનું વળતર ખેડૂતને મળે. એવામાં હકીકત અમે તમારી સામે મૂકવા પ્રયત્ન કર્યો છે. અહીં જે વર્ણવ્યાં તે માત્ર એકલદોકલ ઉદાહરણો થયાં. બાકી ગામેગામ આવા અનેક ખેડૂતો છે, જેમણે તીડના આક્રમણને કારણે પોતાની વરસ આખાની કમાણી ગુમાવી દીધી છે. સવાલ એ થાય કે ક્યાં સુધી સરકારી તંત્ર માત્ર જડ નિયમોને વળગીને નિર્ણય લેતું રહેશે? શું ધરાતલની વાસ્તવિકતા તેમને દેખાતી નહીં હોય? કે પછી, બધું નજર સામે હોવા છતાં જાણીજોઈને અવગણવામાં આવે છે?

————————————

કવર સ્ટોરીતીડનું તાંડવનરેશ મકવાણા
Comments (0)
Add Comment