કેટલાક જખમ આપણને લડવાની તાકાત આપે છેઃ અનુપમ ખેર

લોકો એ વ્યક્તિને મળીને પોતાના પાત્રને પૂરતો ન્યાય આપી શકશે,
  • મૂવીટીવીહેતલ રાવ

આમ તો હીરો અને એક્ટર બંનેનો અર્થ બોલિવૂડની ભાષામાં સરખો જ કરવામાં આવે છે, અભિનેતા. પણ હકીકતે બંને અલગ છે. દરેક એક્ટર હીરો ચોક્કસ હોય છે, પણ દરેક હીરો સારા એક્ટર નથી હોતા. જોકે, અનુપમ ખેરની ગણના એક્ટર અને હીરો એમ બંને રીતે કરવી રહી. તેઓ માત્ર અભિનેતા નહીં બની રહેતા સાચા અર્થમાં હીરોની ભૂમિકા નિભાવી રહ્યા છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અનુપમ ખેરનું નામ વૈવિધ્યસભર ભૂમિકાઓ નિભાવવા માટે જાણીતું છે અને હવે ફરી એક વાર તેઓ પોતાની એક્ટિંગ સ્કિલનો પરિચય કરાવી રહ્યા છે ફિલ્મ હોટેલ મુંબઈમાં.

હોટેલ મુંબઈ ૨૬-૧૧ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે. મુંબઈની ખ્યાતનામ તાજ હોટેલ પર થયેલા એ હુમલામાં હોટેલના કર્મચારીઓ અને સામાન્ય લોકોએ પોતાની જાનની ચિંતા કર્યા વગર હોટેલમાં રહેલાં લોકોને સહી-સલામત બહાર નીકળવામાં મદદ કરી હતી. આ ઘટનાનું ચિત્રણ હોટેલ મુંબઈમાં કરવામાં આવ્યું છે.

ફિલ્મના સંદર્ભમાં અનુપમ ખેરનું કહેવું છે કે, આ ફિલ્મમાં સામાન્ય લોકોએ પોતાની જિંદગીને દાવ પર લગાવીને હોટેલમાં રોકાયેલા અતિથિઓને આતંકવાદીઓથી કેવી રીતે બચાવ્યા હતા તેની વાત છે. આ ફિલ્મમાં રીલ નહીં, પણ રિયલ હીરોની વાત છે. લોકોને આ રિયલ હીરો વિશે ખબર પડવી જોઈએ. જે લોકોએ આ હુમલામાં પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમને આ ફિલ્મ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સાથે જ હુમલાનો સામનો કરનારા લોકોના સાહસને બિરદાવવાનો પ્રયાસ છે.

હોટેલ મુંબઈમાં અનુપમ ખેર શેફ હેમંત ઑબેરોયનું કિરદાર નિભાવી રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મોમાં અભિનેતા-અભિનેત્રીઓ વાસ્તવિક વ્યક્તિને મળીને પોતાના પાત્રને ન્યાય આપવાનું પસંદ કરતા હોય છેે. જોકે, અનુપમ ખેર આ બાબતમાં જરા હટકે વિચારસરણી ધરાવે છે. તેઓ માને છે કે લોકો એ વ્યક્તિને મળીને પોતાના પાત્રને પૂરતો ન્યાય આપી શકશે, પણ ઘણીવાર પડદા પર તેઓ એ વ્યક્તિની નકલ કરવા લાગે છે. ફિલ્મના ડિરેક્ટર હેમંતના પાત્ર સાથે આવું કંઈ થાય એમ નહોતા ઇચ્છતા તેથી તેમણે અનુપમ ખેરની મુલાકાત હેમંત ઑબેરોય સાથે નહોતી કરાવી. આ સંદર્ભે અનુપમનું કહેવું છે કે, ફિલ્મના પ્રિમિયર દરમિયાન અમારી મુલાકાત થઈ અને એ સમયે તેમણે મારી પાસે આવીને એક જ શબ્દ કહ્યો – થેન્ક્યુ.  મારા માટે તેમનો આ શબ્દ કોઈ પુરસ્કારથી ઓછો નહોતો.

ફિલ્મમાં આતંકવાદ, સામાન્ય લોકોની મદદની ભાવના, દેશપ્રેમ, ફરજનિષ્ઠા વગેરે ઘણા મુદ્દાઓની વાત કરે છે, પણ આ બધાંની વચ્ચે એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પરનો વિશ્વાસ ને માનવતાની ભાવના પણ કેન્દ્રવર્તી સ્થાને છે. આ સંદર્ભમાં અનુપમનું કહેવું છે, આ ફિલ્મે મને મારા જીવનનો સૌથી મોટો બોધપાઠ ભણાવ્યો છે. આ ફિલ્મે મને શીખવાડ્યું છે કે માનવતાથી મોટું બીજું કશું જ નથી. હોટેલમાં કામ કરનારા વેઇટર, શેફ જેવા નિમ્ન વર્ગના લોકોએ પોતાની જિંદગી દાવ પર લગાવીને હોટેલમાં રોકાયેલાં લોકોનો જીવ બચાવ્યો હતો. કેટલાક કર્મચારીઓ તો એવા હતા જેમના ફરજના કલાકો પૂરા થઈ ગયા હતા ને તેઓ ઘરે જવા નીકળી ગયા હતા. તેમછતાં તેઓ હોટેલમાં પાછા આવ્યા અને સામાન્ય લોકોને હોટેલમાંથી બહાર નીકળવામાં મદદ કરી. તેમણે સાચા અર્થમાં ગેસ્ટ ઇઝ ગોડ કહેવતને ચરિતાર્થ કરી બતાવી. તેઓ ઇચ્છતા તો તેઓ પોતાની જાન બચાવી શકતા. તેમને પાછા ફરવાની જરૃર નહોતી, પણ તેમણે અહીં પોતાનો માનવધર્મ નિભાવ્યો. હોટેલના કર્મચારીઓ અને સામાન્ય લોકોએ આ હુમલામાં પોતાની જાન ગુમાવી, પણ તેઓએ માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફિલ્મે ઘણી પ્રશંસા મેળવી છે ત્યારે અનુપમ માને છે કે આ ફિલ્મ લોકોનો દ્રષ્ટિકોણ બદલી દેશે. કેટલાક જખમ એવા હોય છે કે તે ભુલાવા ન જોઈએ કારણ કે આવા જખમ આપણને લડવાની તાકાત આપે છે. 

—————————————-

અનુપમ ખેરમૂવીટીવીહેતલ રાવ.
Comments (0)
Add Comment