નિર્ભ્રાન્તિની આખરી ક્ષણ

સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા.
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિર્ભ્રાન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે; એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.

જૈન સદ્ગૃહસ્થને જીવનમાં સુખ જ હતું. પૈસાટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉં દીકરા કમાતા-ધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી, પણ પત્ની ગુજરી ગઈ અને બંને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઈ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણુ ભાવતું નથી. એક મિત્રની સાથે સમેતશિખરની જાત્રાએ જઈ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લી વાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્વર પાસે માગું છું. જિંદગી ખૂબ જોઈ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા, કોઈને ચાહ્યા, કોઈની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’

એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઈને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે-એક મહિના વિત્યા હશે અને એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછ્યું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઈએ નવાઈથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને નવાં કપડાં પહેર્યાં. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો એટલે મેં કહ્યું, તમે સૂઈ રહો, હું દાક્તરને બોલાવી લાવું. એમણે કહ્યું કે દાક્તરનું કોઈ જ કામ નથી. મેં કહ્યું કે તમારા બેઉં દીકરાને બોલાવું? એમણે કહ્યું કે, “એમનું પણ કામ નથી. ઈશ્વર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!” મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઈ. હું કોઈ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એવું જ મને લાગ્યું.’

શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્તની સ્વામી પ્રભુપાદની કીર્તિ ઈ.સ. ૧૯૬૫ પછી વિશ્વવ્યાપી બની. ‘ઇસ્કોન’ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઈએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્વવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે. સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપારધંધો કરતા હતા અને ૬૦ વર્ષની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપારધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા એ માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૃપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હૃદયનું, નિર્ભ્રાન્તિની આખરી ક્ષણનું પ્રતિબિમ્બ છે; તે જુઓ.

‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીપૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૃપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરિષ્યે તદ્-ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે-ધીમે હરી લઉં છું.) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો?

‘પત્ની, સગાં, મિત્રો ભાઈઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયા-સંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારા વત્સલ માતા-પિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?

‘એ કૌટુમ્બિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’

બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્વવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ના મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે, પણ જીવન સરળ અને શાંત લાગે.
————————————.

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment