પરસ્પરની અપેક્ષાઓના સૂક્ષ્મ તાણાવાણા

દરેક માબાપને તેમનાં સંતાનોની ચિંતા થાય
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

બ્રિટનના સમર્થ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની નવલકથા ‘ડોમ્બી એન્ડ સન’માં એક પિતાના ઘેર પુત્ર જન્મે છે તો તે માને છે કે ભગવાને તેને ‘ડોમ્બી એન્ડ સન’ની કંપની ચલાવવા જ મોકલ્યો છે. આ પિતા માને છે, સૂર્ય ઊગે છે તે ‘ડોમ્બી એન્ડ સન’ની પેઢી માટે અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેનું કારણ પણ એ જ! પિતાએ પુત્ર ઉપર મોટી અને ખોટી કલ્પનાની ઇમારતો ઊભી કરવા માંડી હોય છે, પણ બાળક લાંબું જીવતો નથી! પિતાએ આ અલ્પાયુ પુત્ર પર જ બધો ‘પ્રેમ’ ઢોળ્યા કર્યો હોય છે અને પ્રેમાળ પુત્રીની સતત ઉપેક્ષા કરી હોય છે. નથી એને પુત્રીનો પ્રેમ મળતો, નથી પુત્રનું ‘સુખ’ મળતું.

દરેક માબાપને તેમનાં સંતાનોની ચિંતા થાય, તેમને સુખી જોવા ઇચ્છે એ બધું બરાબર છે, પણ માબાપ તેમના સંતાનને વધુમાં વધુ તો પ્રેમ અને શુભેચ્છાઓનો જ વારસો આપી શકે. પુત્ર કે પુત્રીની ચિંતા કરવાનો હક્ક માબાપને છે. તેમના સ્વતંત્ર જીવનના અધિકારનો પાવર ઓફ એટર્ની લખાવી લેવાનો અધિકાર તેમને નથી. માબાપનું કહ્યું નહીં માનીને કદાચ તેઓ દુઃખી પણ થઈ શકે છે, પણ તેમને પોતાના જ નિર્ણયના કારણે આવી પડેલાં દુઃખ કે પીડા વેઠવાનો અધિકાર વાપરવો છે. તેને તમારું તૈયાર સુખ બક્ષિસરૃપે નથી જોઈતું. તમે જે કિંમત તમારી કલ્પનાના સુખની આંકો છો તે જ કિંમત તે ન પણ આંકતો હોય! તેને પોતાની કલ્પના મુજબનું સુખ જાતે જ કમાવું છે. તમે માનો છો કે તમારો અનુભવ બહુ કીમતી ખજાનો છે, દીકરો માને છે કે એનો પોતાનો બિનઅનુભવ એક અપાર શક્યતાઓનું અસીમ મેદાન છે!

આપણે લોહીની સગાઈને ‘ડિવાઇન રાઇટ ઓફ પેરેન્ટ્સ’ રૃપે જોઈએ છીએ, પણ લોહીની તમામ સગાઈઓને લાગણી વડે ફરી કમાવી પડે છે. કોઈ સંતાનનાં માબાપ હોવું એ એક અકસ્માત છે. તેને પ્રેમ દ્વારા ‘પ્રાપ્ત’ કરીને આપણે માબાપ તરીકેની આપણી લાયકાત સિદ્ધ કરવી પડે છે. ઇંગ્લેન્ડના મહાન વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને સગી મા હતી તે સૌંદર્યવતી હતી, સંસ્કારી હતી, પણ તે ચર્ચિલને પ્રેમ આપી ના શકી. ચર્ચિલના ખંડમાં ટેબલ ઉપર એક આયાની તસવીર જ રહેતી, જેણે ચર્ચિલને પ્રેમ આપ્યો હતો. અબ્રાહમ લિંકનને માતાનો સાચો પ્રેમ પાલક માતા પાસેથી જ મળ્યો હતો. લોહીની સગાઈનું મૂલ્ય જરાય ઓછું નથી, પણ એમાં લોહીના ‘લાલકણ’ જોઈએ ને? એ ‘લાલકણ’ હંમેશાં પ્રેમના હોય છે. તમામ માબાપો કહેશે કે આ કેવી વાત કરો છો? માબાપને પોતાનાં હાડમાંસનાં બનેલાં બાળકો પર પ્રેમ ના હોય? હોય જ. પણ ‘પ્રેમ’ની વાત જ જરા સમજવા જેવી છે.

સંતાનોને મિલકત ગણીને તેને ચાહતાં હશો તો એ પ્રેમ સાચા લોહીની સગાઈનો ચમત્કાર નહીં સર્જી શકે. તમે જ્યારે સંતાનને એક સ્વતંત્ર સ્વમાની વ્યક્તિનો દરજ્જો આપીને ચાહો ત્યારે એ પ્રેમમાં તમને સાચા લોહીનો ધબકાર દેખાશે. લોહીના કુદરતી ખેંચાણને તમારે એકમેકની સાચી સમજણ અને સહાનુભૂતિના આકર્ષણમાં ફેરવવું પડે છે. જ્યારે આવું થાય છે ત્યારે પિતા અને પુત્રનાં અલગ-અલગ સદ્ભાગ્ય અને દુર્ભાગ્યની અનેક ઊથલપાથલો વચ્ચે પણ પેલો પ્રેમ અકબંધ રહે છે.

માનવજીવનનું એવું છે કે નિઃસ્વાર્થમાં નિઃસ્વાર્થ પ્રેમમાં પણ પરસ્પરની અપેક્ષાઓના સૂક્ષ્મ તાણાવાણા મોજૂદ હોય જ છે. તેમાં કશું ખોટું પણ નથી અને શરમાવા જેવું પણ નથી. યાદ રાખવા જેવું એટલું જ છે કે પિતાની ‘યોગ્યતા’ માપવા પુત્ર પ્રેમનો માપદંડ જ વાપરે એવી અપેક્ષા જેમ પિતાની હોય છે, તેમ પુત્રની અપેક્ષા પણ એ જ રહેવાની કે પિતા પુત્રની ‘યોગ્યતા’ માટે પણ પ્રેમનો માપદંડ જ વાપરે.

વિખ્યાત અમેરિકન પત્રકારલેખક નોર્મન કઝિન્સ જ્યારે હૃદયરોગના પ્રચંડ હુમલા પછી ઇસ્પિતાલમાં પોતાની એ રાતને જિંદગીની છેલ્લી રાત ગણી રહ્યા હતા ત્યારે તેમને તેમના પિતાની મૃત્યુપથારી વેળાની છેલ્લી મુલાકાત યાદ આવી. પિતાએ ઉચ્ચારેલા શબ્દો નોર્મન કઝિન્સના કાળજે કોતરાઈ ગયા હતા ઃ ‘બેટા, બીજું બધું તો ઠીક, પણ આ છેલ્લી ક્ષણ આવી પહોંચી છે ત્યારે મને થાય છે કે મેં તમને બધાંને પૂરતાં ચાહ્યાં તો છે ને? હું તમને પૂરતો પ્રેમ આપી શક્યો છું કે નહીં? એવો પ્રશ્ન મને થયા કરે છે.’

સંતાનો અંગે જ નહીં, મિત્રો, સ્નેહીઓ બધાંના સંબંધોમાં આપણને અંતકાળે જ આવો પ્રશ્ન થાય તેવું બને. એવું પણ બને કે કોઈ મિત્ર કે કોઈ સ્નેહી ઓચિંતી વિદાય લે ત્યારે આવો પ્રશ્ન હૃદયમાં શૂળની જેમ ભોંકાય છે. માણસનું સદ્ભાગ્ય એમાં છે કે પોતાના સ્વજનની ઓચિંતી વિદાયની ક્ષણે કે ખુદ પોતાની વિદાયની ક્ષણે આત્મવિશ્વાસપૂર્વક એવું કહી શકે કે મેં મારા સ્વજનોને બરાબર ચાહ્યા છે. બીજી ઘણી કમી રહી હશે, લાગણીની કમી મેં રહેવા દીધી નથી. માણસે આટલું કર્યું હોય તો મોતની ગમે તેવી વીજળી પડે ત્યારે તે છેક આશ્વાસનરહિત બની જતો નથી.

————————————

પંચામૃતભૂપત વડોદરીયા
Comments (0)
Add Comment