ઘૂંટણના સાંધાનો દુઃખાવો કૌષ્ટુક શીર્ષ (SINOVITE)

ઘૂંટણના સાંધાના સોજાને મેદસ્વી વ્યક્તિઓ સાથે સીધો સંબંધ છે.

હેલ્થ સ્પેશિયલ – વૈદ્ય સુશ્રુત

માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેના થાણા જમાવે છે. થાણા એટલા માટે કહું છું કે ભારે પ્રયત્નો પછી, ભારે સામના પછી જ આ રોગ પીછેહઠ કરે છે.

મુખ્યત્વે વાત અને રક્તની વિકૃતિથી આ રોગનો ઉદ્ભવ થાય છે. તેમાં તીવ્ર પીડા અને ઘૂંટણનો સોજો મુખ્યત્વે જોેવા મળે છે. આ રોગ ક્યારેક બંને પગે અથવા તો ધીમે-ધીમે બંને પગે ફેલાતો જાય છે. આ સૂજેલા ઘૂંટણવાળા ભાગ તપાસતા અંદરના ભાગમાં કોઈ જાડું પ્રવાહીભર્યું હોય તેમ દબાવતાં ખ્યાલ આવે છે. આયુર્વેદે આમ શબ્દ વાપર્યો છે તે સાંધાઓ ઉપર છવાયેલો આમનો ખૂબ જ ભારે જથ્થો સૂચવે છે.

આ રોગમાં પગ લાંબો કે ટૂંકો કરવો હોય તો રોગીને ખૂબ જ વસમું લાગે છે. થોડાં ડગલાં ચાલતાં જ ભારે પીડા થવા માંડે છે અને ચાલવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ આ રોગમાં સર્જાય છે. તેમાં મુખ્યત્વે વેદના, સંધિઓમાં કંપન (JOINT STIFFNESS) અને અંગ વિકૃતિ (Defromity) જોવા મળે છે.

કારણો:
ચિકિત્સાક્ષેત્રના અનુભવ ઉપરથી એમ તારણ કાઢવામાં આવ્યું છે કે, ઘૂંટણના સાંધાના સોજાને મેદસ્વી વ્યક્તિઓ સાથે સીધો સંબંધ છે. જેમ શરીરનો મેદ-ચરબી વધારે અને જેમ જેમ ઉપર વજન વધુ પડે તેમ તેમ આ સાંધા ઉપર ભારણ વધુ પડે. કેટલાંક કુટુંબમાં આ રોગ વારસાગત ઊતરે છે તેનું મૂળભૂત કારણ દોષ-દૃષ્ટિ છે. જેથી આ રોગને વારસાગત માનવો ભૂલ ભરેલું છે. સાંધાના રોગો, માર વાગવો, સાંધાની લીસ્સી સપાટી ખરબચડી બની જાય છે, જેના કારણે ઘૂંટણના સાંધા વધુ પ્રમાણમાં ઘસાય છે.

વિરુદ્ધ આહાર-વિહારથી લોહીમાં એક પ્રકારની ખટાશ વધે છે તથા ક્ષારનો ભાગ ઘટે છે. અપક્વ અન્ન અને અજીર્ણ એનું કારણ છે. ઠંડી અને શરદીમાં વધુ પડતી ખટાશ ખાનારને, વધુ શીતળ હવામાન તથા શીતળ આહાર-વિહારના સેવનથી લોહીમાં વિકાર થાય છે અને લોહીમાં ખટાશ વધવાથી ઘૂંટણના સાંધા પકડાય છે. આ સાંધાઓમાં સોજો આવે છે, ભારે પીડા થાય છે અને જેને શૂળ જેવી વેદના કહીએ તેવી વેદના સાથે તોદ્રવત્ એટલે કે એ ભાગ તૂટી પડતો હોય એટલી ભારે પીડા થાય છે, જેથી ઘૂંટણ વાળવામાં પીડા થતી જોવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જોવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જેવા રોગોમાં, સુવાવડ કે કસુવાવડ પછી મધુ-મેહની જીર્ણ અવસ્થામાં અને ચરબીથી લદાયેલા માનવીઓને આ રોગ વિશેષ પ્રમાણમાં થાય છે.

લક્ષણો:
એક યા બંને પગના ઘૂંટણનો દુઃખાવો એ મુખ્ય ફરિયાદ હોય છે. રોગની શરૃઆતમાં સવારે ઊઠ્યા પછી થોડીવાર ઘૂંટણ દુઃખે છે અને થોડી હરફર થયા પછી દુઃખાવો ઓછો થઈ જાય છે. ચાલવાથી ધીમે-ધીમે દુઃખાવો વધે છે, એકસાથે વધુ ચાલવામાં આવે તો સોજો અને કળતર વધી જાય છે. સમય જતાં આ દુઃખાવો કાયમનો બની રહે છે. દુઃખાવાના કારણે ઢીંચણથી પગ સીધો કરી શકાતો નથી, ક્યારેક પગ લંગડાય છે, ક્યારેક પગ ખોટો પડી જતો હોય તેમ લાગે છે અને તેના હલનચલનમાં કટ્ કટ્ અવાજ પણ આવે છે. પલાંઠી વાળીને કે ઉભડક બેસવામાં તેમ જ દાદર ચઢવા-ઊતરવામાં ખૂબ દુઃખાવો થાય છે. ઘૂંટણના પાછળના ભાગની નસો ખેંચાય છે તેવી રોગી ફરિયાદ કરે છે. આજકાલ પગના ઘૂંટણ ઝલાઈ ગયાની ફરિયાદ વધુ જોવામાં આવે છે, કારણ કે આપણી વધતી જતી એશ-આરામી રહેણી-કરણી, અતિ ભારે ખોરાક અને પુષ્કળ આરામના કારણે શરીરમાં પરિગ્રહ વધે છે. તેથી વગરશ્રમે થાક લાગે છે. પેશાબની હાજત વધે છે તેમ જ વાયુના ઉપદ્રવો અને બેચેનીની અસર જણાય છે. આમનો સંચય જેમ-જેમ વધતો જાય છે, તેમ-તેમ તે ઘૂંટણના સ્ત્રોતોમાં એકઠો થતો જાય છે. અસહ્ય વેદનાને લીધે કોઈ કાર્ય કરી શકાતું નથી. પરિણામે ખૂબ જ લાંબા સમય સુધી હેરાનગતિ ચાલુ રહે છે. આ વ્યાધિ મોટા ભાગે મોટી ઉંમરમાં જોવામાં આવે છે, પણ ઠીક ઠીક પ્રમાણમાં થતી જોવામાં આવે છે.

આ રોગો મોટા ભાગે કષ્ટસાધ્ય અને અસાધ્યની કક્ષાની ગણતરીના છે. કૌષ્ટુક શીર્ષને પાશ્ચાત્ય વૈંદકમાં SINOVITE કહે છે. ઘૂંટણના ભાગમાં ભરાયેલા આ દોષને-આમને, સિરિન્જ (પિચકારી)થી બહાર ખેંચી લઈ પીડા ઓછી થાય તે માટે ઝૂલેકેઇન કોર્ટીઝોનનું મિશ્રણ આ સંધિમાં આપવામાં આવે છે. પરિણામે કેટલાક દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે, પણ સમય જતાં ફરીથી આ રોગનો હુમલો થઈ આવે છે ત્યારે ફરીથી આ ઔષધોનાં ધારવા જેટલાં પરિણામ આવતાં નથી. એ હકીકત પરત્વે પણ ઠીક-ઠીક વિચારણા આ ઔષધો વાપરવા પરત્વે માગી લે છે. આયુર્વેદ તો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય, આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે. આ રોગમાં પણ મહારાસ્નાદિ ક્વાથ સાથે એરંડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્ત્વ આપે છે.

મારી ચિકિત્સા માટે આવતા આ રોગના રોગીઓમાં મારો અનુભવ એમ કહે છે કે, એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું, એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા સાથે જુદાં જુદાં ઔષધોની યોજના યોજું છું. સામાન્ય રીતે વાતવિધ્વંસ રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદૂર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિહંનાદ ગૂગળ તથા મહારાસ્નાદિ ક્વાથ સાથે તૈયાર કરેલ એરંડતેલ તેનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું અને ઉપરનાં ઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું.

આ રોગની કોઈ પણ અવસ્થામાં રેતીનો શેક, વાતહર વનસ્પતિઓનું સ્વેદન, વાતહરલેપો તથા સૂર્યનાં કિરણો સતત લાભકારી મને જણાયા છે. આ રોગના રોગીને જો મધુમેહનો ઉપદ્રવ હોય તો મધુપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી, લોહીના ઊંચા દબાણમાં પણ ઉપરનાં સૂચવેલાં ઔષધો ખૂબ જ સમજપૂર્વક વાપરવા જોઈએ. આ રોગના રોગી મેદસ્વી હોય તો ક્રમશઃ વજન ઘટાડવું ખૂબ જ મહત્ત્વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાં સુધી આ રોગને કાયમનો મટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે-સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

ઉપચારો:

*           મેથી ભૂકો કરી ૧ ચમચી, ૧ કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર-સાંજ પીવું. આ રીતે ન પી શકાય તો મેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને ૧ ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી.

*           મહારાસ્નાદિક્વાથ ઃ ૨૦ ગ્રામ અને પુનર્નવાષ્ટક ક્વાથ ૨૦ ગ્રામ. આ બંને ક્વાથો શાસ્ત્રોક્ત છે. જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઈ ૨૦-૨૦ ગ્રામ ભૂકો બંનેમાંથી લઈ, ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણા કોઠે પીવું.

*           આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી

ટીકડીના ઘટકો ઃ શુદ્ધ ગૂગળ ૧૨૦ મિલી ગ્રામ, સુવર્ણ ભસ્મ ૧.૨ મિલી ગ્રામ, ત્રિભંડી ૩૦ મિલી ગ્રામ, સુરંજાનશીરી ૧૫ મિલી ગ્રામ, હીરાબોળ ૧૫ મિલી ગ્રામ, શુદ્ધ કારસ્કર ૩૦ મિલી ગ્રામ, લસણ ૩૦ મિલી ગ્રામ, ચંદ્રોદય ૩૦ મિલી ગ્રામ. આયુર્વેદનું કહેવું છે કે, વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી. વિકૃત બનેલો વાયુ વૃદ્ધિ પામી આમ રક્ત સાથે મળી શરીરના જે-જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે. આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને તે માટે ચંદ્રોદય અને સુવર્ણ ભસ્મનું સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યું છે. જેથી તેની અસર ખૂબ જ ઝડપી બને છે.

ગૂગળ વાત રોગનું પ્રમાણિત ઔષધ છે. એટલું જ નહીં, પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર, શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુની વિકૃતિઓને મટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે.

ગૂગળ સાથેનાં અન્ય દ્રવ્યો જેવા કે લસણનો વાતહરગુણ, સુરજાનનો સંધિવાતહર ગુણ, હીરાબોળનો પીડાશામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિભંડીનો આમદોષનિઃસારણ ગુણનો સુમેળ આ ટીકડીમાં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે.
——————

હેલ્થ સ્પેશિયલ - વૈદ્ય સુશ્રુત
Comments (0)
Add Comment