સિંહ રાશીઃ  ( સંવત 2075 વાર્ષિક ભવિષ્ય ફળકથન )

નોકરી વ્‍યવસાય અને અન્‍ય ક્ષેત્રે લાભ થશે

સિંહ રાશીઃ  ( સંવત 2075 વાર્ષિક ભવિષ્ય ફળકથન )

अचलकाननयानमनोरथं गृहकलिं च गलोदरपीडनम्
द्विजपतिर्मृगराजगतो नृणां वितनुते तनुतेजषाम

સિંહ રાશિગત ચંદ્રમાં જન્મ હોય તો તે જાતક વન -પહાડમાં વિહાર કરવાવાળો, ઘરમાં કજિયા- કંકાસ કરવાવાળો, કંઠ તેમજ ઉદર (પેટ)ના રોગવાળો અને શરીરના તેજ (કાન્તિ) વગરનો હોય છે. સિંહ જાતકો માટે આ શ્લોક

वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि
બહુ બંધબેસતો છે કે સિંહ જાતકો બહારથી વજ્ર જેવા કઠોર પરંતુ અંદરથી તેમનું હ્રદય ફૂલ જેવું કોમળ હોય છે!!

નોકરી વ્‍યવસાય અને અન્‍ય ક્ષેત્રે લાભ થશે. પ્રેમસંંબંધોમાં તમે ધીમી ગતિએ આગળ વધશો પરંતુ સંબંધોમાં તમને અવારનવાર સ્થિરતાનો અહેસાસ થશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને લગ્‍નનો પ્રશ્ન ઉકલી જવાની શક્યતા છે. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારની દખલગીરી વધે. કેટલાક કાર્યોમાં અપેક્ષિત લાભ નહીં મળે. આપ આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકશો. માર્ચ મહિનાના અંત સુધી શક્ય હોય તો કોઇની સાથે પૈસાનો વહેવાર ન કરવો તેમજ કોઇના જામીન ન થવું. ખર્ચને અંકુશમાં રાખવો પડશે. સ્‍વજનો સાથે મનદુ:ખ થઈ શકે છે. બીમાર જાતકોની તબિયતમાં તબક્કાવાર સુધારો થશે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સામાન્ય સમય રહેશે.આપ ધાર્મિક અને સખાવતી કાર્યોમાં સક્રિય થશો. કુટુંબમાં આનંદમય માહોલ રહેશે. તન-મનની તંદૂરસ્‍તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય છે પરંતુ આપના સ્‍વભાવમાં ક્રોધ વિશેષ રહેશે. તેથી બોલવા-ચાલવામાં ધ્યાન રાખજો. નકારાત્‍મક વિચારોને મનમાંથી હડસેલી દેજો.આપ ચિંતારહિત થઈ હળવાશ અનુભવશો. ઉત્તરાર્ધમાં કૌટુંબિક અને આર્થિક બાબત પર આપ વધારે ધ્‍યાન આપશો. કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરી શકશો અને તેમાં સફળતા સાથે અપેક્ષિત લાભ મેળવી શકશો. પિતૃપક્ષ તરફથી લાભ થાય પરંતુ જમીન મિલકત વિશેના કામકાજમાં સાવધાની રાખી આગળ વધવું. સંતાનો પાછળ ખર્ચ થાય.આપ લાગણીથી ખેંચાવાના બદલે વ્યવહારુ દ્રષ્ટિકોણ અપનાવજો. સ્‍ત્રીવર્ગથી સાવચેત રહેવું પડશે. જમીન- જાયદાદ અંગેની ચર્ચા હાલમાં ટાળજો. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો સમય છે. યાત્રા પ્રવાસ માટે સમય અનુકૂળ નથી.પરિવારના સભ્‍યો સાથે શક્ય હોય એટલા સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરજો. રોજિંદા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. સાથી કાર્યકરોનો સહયોગ ઓછો મળે. દાંપત્યજીવનમાં પતિ- પત્‍ની વચ્‍ચે મનદુ:ખ થઈ શકે છે.

સમૃદ્ધિ અને સંપત્તિ
આ વર્ષે પ્રારંભિક ત્રિમાસિકગાળામાં આપના દ્વારા કોઇ પરોપકારનું કામ થશે અને તેના માટે તમે ખર્ચ કરશો. જરૂરિયાતમંદને મદદ કરવા આપ નાણાં ખર્ચવામાં પણ અચકાશો નહીં. માર્ચ મહિનામાં સુધીમાં તમને કોઈપણ કારણથી દેવું કરવાની અથવા કોઈની પાસેથી ઉધારી કરવાની જરૂર પડશે અથવા આવી ઈચ્છા થશે. શક્ય હોય ત્યાં સુધી દેવું કરવાથી દૂર રહેવું. આપને શેરસટ્ટાની પ્રવૃત્તિમાં આર્થિક લાભ થશે પરંતુ કોઈપણ સોદામાં વધુ પડતી લાલચ ના રાખતા. ધાર્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. નાણાંની લેવડદેવડ અને મૂડીરોકાણમાં ખાસ સાવચેત રહેજો નહીંતર આપના નાણાં ફસાઈ શકે છે અથવા તેનો દુરુપયોગ થઈ શકે છે. અણધાર્યા ખર્ચની શક્યતા પણ જણાય છે. મકાન, વાહન કે અન્ય કોઈપણ સંપત્તિ સંબંધિત દસ્‍તાવેજો અત્‍યંત સંભાળીને કરવા અન્યથા વિશ્વાસઘાતનો ભોગ બનશો. તેના કારણે નાણાં અને પ્રતિષ્‍ઠાની હાનિ થઈ શકે છે. નજીકનો લાભ લેવા જતાં નુકશાન ન થાય તેનું ધ્‍યાન રાખજો. શક્ય હોય તો કોઇની સાથે પૈસાની લેવડદેવડ ન કરવી. મકાન, વાહન સહિત સંપત્તિ સંબંધિત નજીવા પ્રશ્નો પરિવારમાં ઉભા થઈ શકે છે જે આપને ચેન નહીં લેવા દે.

અંગત અને જાહેર સંબંધો
મહિલાઓ સાથેના વ્‍યવહારમાં ખાસ સાવધાની રાખવી. આપની કલ્‍પનાઓને કાગળ પર ઉતારશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્‍ય માણી શકશે. વિજાતીય આકર્ષણ વધશે. આપના સ્‍વભાવમાં વધારે પડતી લાગણીશીલતા રહે. સ્‍ત્રીઓ પાછળ ખર્ચ વધશે.આપ દરેક કાર્ય સંપૂર્ણ આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે કરશો. ઘર- કુટુંબમાં સુખશાંતિ રહેશે. પ્રતિસ્પર્ધીઓને આપ સરળતાથી પછડાટ આપી શકશો. સંતાનોની સમસ્‍યા આપને ચિંતિત કરશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદ થતાં તેમની નારાજગી વહોરવી પડે. આપની પીઠ પાછળ કોઈ ષડયંત્રો ઘડવાના પણ પ્રયાસો કરશે. વ્યાપારમાં હરીફો માથું ઊંચકે. સરકાર તરફથી કોઇ પરેશાની ઊભી થાય. પુત્રો સાથે મતભેદ વધી શકે છે.વૈભવી જીવનશૈલીની ચીજવસ્‍તુઓ કે ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ખરીદવા માટે અનુકૂળ સમય છે. સ્‍વજનોથી દૂર જવાના કોઈ પ્રસંગ બની શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ કરશો તેમ જ યોગ, મેડિટેશન, સત્સંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશો.નવા કામની શરૂઆત આપને લાભદાયી નીવડશે. આપના પર લક્ષ્‍મીદેવીના ચાર હાથ રહેશે. આર્થિક અને વ્યવસાયિક સિદ્ધિની ઉજવણી માટે આપ મિત્રો કે પરિવાર સાથે બહાર જમવા જાવ તેવી પણ શક્યતા છે.

પ્રણય અને દાંપત્ય જીવન
દાંપત્‍યજીવનમાં ઉત્તમ સુખ અનુભવાય. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિથી ધન્‍યતા અનુભવશો. આપના વાણી અને વર્તન અપ્રિય ન બને તે જોજો અન્યથા કોઈની સાથે વિવાદ કે મનદુઃખના પ્રસંગ બની શકે છે.પરિવારના સભ્‍યો અને સ્‍નેહીજનો દ્વારા ઘરમાં વિરોધનું વાતાવરણ સર્જાય. નકારાત્‍મક વિચારો આપના મન પર હાવિ ન થાય તેનું ધ્‍યાન રાખવું. વર્ષના મધ્યમાં આપના સ્‍વભાવમાં ભાવુક્તા વધારે રહે.  પ્રેમીઓને પ્રણય માટે સાનુકૂળ તબક્કો છે. દાંપત્‍યજીવનમાં વધારે નિકટતા રહેશે. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં અવારનવાર જવાનું થાય અને પત્‍ની તરફથી શુભ સમાચાર મળે. લગ્નજીવનમાં વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઇ શકશો અને તેમાં સફળતા મળશે. સંબંધોમાં લાગણીનું પ્રમાણ વધશે. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવો. વર્ષના છેલ્લા ચરણમાં પ્રણયમાં અણગમતી ઘટનાઓથી આપનું મન ખિન્ન બનશે. જોકે, અંતિમ મહિનામાં હૃદયની ઋજુતા ‍પ્રિયજનોને નિકટ લાવશે. પતિ- પત્‍ની વચ્‍ચે દાંપત્‍યજીવનમાં નિકટતાનો અનુભવ થાય.

નોકરી અને વ્યવસાય
આ વર્ષમાં પ્રથમ ત્રિમાસિકગાળામાં તમારે નોકરીમાં થોડુ સાચવવું પડશે કારણ કે કાવાદાવાનો ભોગ બની શકો છો. નોકરી-વ્યવસાયમાં આપનું વર્ચસ્‍વ રહે તેમજ પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે પરંતુ એલર્ટ રહેવું પડશે. વેપારીઓ માટે ખૂબ ઉજળી તકો રહેશે. વ્‍યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. વ્યવસાયિક ક્ષેત્રે કાર્ય સફળતા મળતા યશકીર્તિમાં વધારો થશે. વર્ષના મધ્યમાં નોકરિયાત વર્ગને લાભ થશે અને કામમાં સૌનો સાથ-સહકાર મળશે. ત્રીજા ત્રિમાસિકગાળામાં ધંધામાં ભાગીદારોથી સંભાળીને રહેવું. વ્યવસાયિક ક્ષેત્રે પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. છેલ્લા ચરણમાં નોકરિયાતોને બઢતી કે અન્ય પ્રકારે લાભના સંકેત છે. બિઝનેસમાં વિસ્તરણ વિશે વિચારશો. જોકે, આર્થિક વહેવારોમાં સો ટકા સતર્કતા રાખવાની સલાહ છે. વ્યવસાયની બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કરી લેવો. છેલ્લા મહિનામાં નોકરિયાતોને ઓફિસમાં સહકર્મીઓ તેમ જ ઉપરીઓ તરફથી સહકાર મળવા લાગશે.

મુસાફરી અને આરોગ્ય
વર્ષના પ્રારંભિક તબક્કામમાં વિદેશથી સગાં- સ્‍નેહીના સમાચાર મળે અને તેના કારણે તમારા મનમાં તેમના વિશે રહેલી ચિંતાઓ દૂર થતા તમે હાશકારો અનુભવો અને છેવટે તમારો ચિંતારોગ દૂર થતા ઘણી સ્વસ્થતા અનુભવો. જોકે, આ સિવાયની બાબતોનો વિચાર કરીએ તો એકંદરે શારીરિક સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય ચિંતા જન્‍માવે. ધાર્મિક કાર્યો માટે પ્રવાસ થાય. બીજા ત્રિમાસિકગાળામાં આપનું શરીર અને મન સ્‍વસ્‍થ તાજગીપૂર્ણ રહેશે. પરંતુ, ઘરમાં માતા કે વડીલની તબિયત કથળવાની શક્યતા હોવાથી આપને ટેન્શન અને ખર્ચ બંનેનો સામનો કરવો પડશે. વર્ષના મધ્યમાં તમારે ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે પેટના દર્દો, પાણીજન્ય અથવા ગરમીજન્ય રોગો થવાની પૂરી શક્યતા છે. માનસિક- શારીરિક પરિશ્રમના કારણે આરોગ્‍ય બગડી શકે છે માટે કામ સાથે આરામને પણ મહત્વ આપજો. વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર પકડે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. ક્રોધના કારણે કોઇ સાથે તકરાર થાય અને તમે વ્યાકુળ રહો તેવી શક્યતા છે. છેલ્લા ચરણમાં ખાસ કરીને આંખની કાળજી રાખવી.

શિક્ષણ અને જ્ઞાન
આપનામાં છુપાયેલી સર્જનાત્‍મકતાને વેગ મળતાં સાહિત્‍યક્ષેત્ર તેમજ લેખન વાંચનમાં ઊંડો રસ ધરાવશો. વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે પરંતુ તમારે હાલમાં વધુ મહેનત કરવી પડશે કારણ કે ઉજ્જવળ કારકિર્દી કોઈ ચમત્કારથી નથી મળતી. ખૂબ જ સારી શૈક્ષણિક સફળતા મેળવવા માટે દરરોજ સવારે સ્ફટિકની માળાતી “ૐ ઐં સ્મૃત્યૈ નમઃ” મંત્રનો જાપ કરશો તો ફાયદો થશે. વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઇ શકશો. કોઈની ભ્રામક વાતોમાં આવીને અવળા માર્ગે ન ચડી જાવ તેની કાળજી રાખજો. સાહિત્‍ય લેખનમાં આપની સર્જનાત્‍મકતા પ્રગટ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.દરેક કાર્યમાં આપના પ્રયાસો ફળશે. આપનો દરેક કાર્ય પુર્વાયોજન પ્રમાણે પાર પડશે. વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા જાતકો પહેલા ત્રિમાસિકગાળામાં આ બાબતે પ્રયાસો શરૂ કરશે તો સફળતાની શક્યતા વધુ રહેશે. જોકે શરૂઆતનું ચરણ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે આશાસ્પદ જણાતું નથી. તમારે આ બાબતે બીજાની સલાહ લેવી પડશે.
————————.

વાર્ષિક ફળ કથનસિંહ રાશી
Comments (0)
Add Comment