લુપ્ત થતી ગીધની જાતિને ખેડૂતો પાકનું નુકસાન વેઠી ગીધને બચાવે છે

આપણી નજર સામે જ ગીધ નામશેષ થઈ રહ્યાં છે

સંવર્ધન – દેવેન્દ્ર જાની

ગુજરાતમાં લુપ્ત થતી ગીધની જાતિ – ખેડૂતો પાકનું નુકસાન વેઠી ગીધને બચાવે છે

કુદરતના સફાઈ કામદાર તરીકે જાણીતા એવા પક્ષીરાજ ગીધની વસતી ગુજરાતમાં ચિંતાજનક રીતે ઘટી રહી છે. રાજ્યના અડધાથી વધુ જિલ્લા એવા છે કે તેમાં ક્યાંય પણ ગીધ જોવા મળતું નથી. એક દસકા પહેલાં જ ર૬૦૦ જેટલાં ગીધ હતાં તે ઘટીને હવે ત્રણ આંકડામાં થઈ ગયા છે. ગીધને બચાવવા સરકારી પ્રયાસો ટૂંકા પડે છે. રાજુલા પંથકમાં ખેડૂતો પાકમાં નુકસાન સહન કરીને પણ ગીધને બચાવી રહ્યાં છે.

ગીધની વાત નીકળે એટલે રામાયણકાળ યાદ આવી જાય છે. સીતાજીને બચાવવા રાવણ સામે યુદ્ધ ખેલનાર જટાયુનો ઇતિહાસ જાણીતો છે. જટાયુ પક્ષીરાજ ગીધની એક જાતિના હતા, આમ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સાથે ગીધનો ઇતિહાસ જોડાયેલો છે. સમાજ જીવન સાથે ગીધના સંબંધોની વાત કરીએ તો પારસી સમાજમાં સામાન્ય રીતે એવો રિવાજ છે કે પારસી સમાજમાં કોઈ મૃત્યુ પામે તો તેના મૃતદેહને ગીધના હવાલે કરી દેવામાં આવે છે. આમ ગીધ એે માત્ર વાઈલ્ડ લાઈફ માટે જ મહત્ત્વ ધરાવતું પક્ષી નથી, પણ સમાજ જીવન અને સંસ્કૃતિ સાથે તેનો નાતો જોડાયેલો છે. આવા દુર્લભ પ્રજાતિના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે.

ગુજરાતમાં એશિયાટિક લાયનને બચાવવા માટે કરોડોની યોજનાઓ બને છે, પણ પક્ષી રાજ તરીકે ઓળખાતા ગીધને બચાવવામાં રસ લેવામાં આવતો નથી. મૃત પશુઓ જેમનો ખોરાક છે આ ખોરાક થકી ગંદકી દૂર કરી કુદરતી રીતે સ્વચ્છતામાં સાથ આપનાર ગીધ લુપ્ત થઈ રહ્યાં છે. શહેરોમાં વધતાં જતાં કોંક્રીટનાં જંગલોથી ગીધ અદ્રશ્ય થઈ ગયા છે, પણ ગામડાંઓમાં વેરાન જગ્યા પર એક સમયે ગીધ જોવા મળતાં હતાં, પણ હવે તો ગામડાંઓમાં પણ ગીધ જોવા મળતાં નથી. ગીધની વસતી લગાતાર ઘટી રહી છે. સરકારી પક્ષે ગીધનાં સંવર્ધન માટે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. સિંહ જેવા પ્રાણીઓને બચાવવામાં એનજીઓ અને કાર્યકરોની સંખ્યા મોટી છે, પણ ગીધને બચાવવાના કામમાં રસ લેનારા પણ ભાગ્યે જ જોવા મળે છે.

ગુજરાતમાં ગીધની વસતી ત્રણ આંકડાની અંદર પહોંચી ગઈ
ગુજરાત વન વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે ગીધની વસતીની ગણતરી કરવામાં આવે છે. સ્ટેટ વાઈલ્ડ બોર્ડના મેમ્બર અને રાજ્યમાં ગીધની ઘટતી જતી વસતી અંગેનો એક અહેવાલ રાજ્ય સરકારને આપનાર ભૂષણભાઈ પંડ્યા કહે છે, ‘ચિંતા એ છે કે આપણી નજર સામે જ ગીધ નામશેષ થઈ રહ્યાં છે. વર્ષ ર૦૦પમાં જ્યારે રાજ્યમાં ગણતરી કરવામાં આવી ત્યારે ર,૬૪૭ની સંખ્યા હતી અને છેલ્લે ર૦૧૬માં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે માંડ ૯૯૯ની સંખ્યા હતી. આમ ત્રણ આંકડાની અંદર ગીધની સંખ્યા પહોંચી ગઈ છે.’

‘ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં રાજુલા, જાફરાબાદ, મહુવા, વિરમગામ, સુરેન્દ્રનગર અને સુરતના હજીરા વિસ્તારમાં ગીધની વસતી જોવા મળે છે. ગુજરાતમાં દુર્લભ એવા ગીધને બચાવવા માટેનો મુદ્દો થોડા સમય પહેલાં સ્ટેટ વાઈલ્ડ બોર્ડની બેઠકમાં એજન્ડામાં ન હોવા છતાં મેં ઉઠાવ્યો હતો અને બાદમાં આ અંગેનો એક અહેવાલ રાજ્ય સરકારને આપ્યો છે. તેમાં વર્તમાન સ્થિતિ અને ગીધને બચાવવા શું થઈ શકે તે અંગેનાં સૂચનો કર્યાં છે.’

ગીધની ઘટતી જતી સંખ્યા પાછળ અનેક કારણો જવાબદાર છે. પશુઓના મૃતદેહો એ ગીધનો મુખ્ય ખોરાક છે. પશુઓને પેઇનકિલર ડાયક્લોફેનાક નામની દવા આપવામાં આવે છે. આ પશુઓનું માંસ ખાવાથી ગીધનાં મોત થાય છે. આ દવા પર હાલ પ્રતિબંધ હોવા છતાં ચોરીછૂપીથી તેનો ઉપયોગ કરાતો હોય છે, તે બંધ થવો જોઈએ. આ ઉપરાંત શહેરો ક્રોંકીટનાં જંગલો બની રહ્યાં છે. ગામડાંઓ પણ હવે આધુનિક બની રહ્યાં છે. વેરાન વિસ્તારો રહ્યા નથી. ગીધ ઊંચી જગ્યાઓ પર વસવાટ કરે છે. જંગલો અને પહાડી એરિયામાં ગીધ જોવા મળે છે. કચ્છમાં સૌથી વધુ ગીધની વસતી છે. આ ઉપરાંત જૂનાગઢ – ગિરનાર ગીધની એક અલગ જાતિ જોવા મળે છે. ગીર બચાવવાના કાર્યમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ગીધની મુખ્ય ચાર જાતિ જોવા મળે છે, તેમાં ૧. સફેદ પીઠ ધરાવતું ગીધ,  ર. ગિરનારી ગીધ, ૩. રાજ ગીધ (રેડ હેડેડ) અને ૪. ઇજિપ્શિયન ગીધ જોવા મળે છે.

નુકસાન વેઠીને ગીધને બચાવાય છે
ગીધની વસતીને બચાવવા માટે રાજુલા પંથકમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. રાજુલા – નાગેશ્રી અને ડુંગરમાં હજુ ગીધની વસાહતો બચી છે. ગીધ એ રપથી ૩૦ ફૂટ ઊંચે રહેતંુ હોય છે. નાગેશ્રી વિસ્તારમાં નાળિયેરના ઝાડ પર ગીધના માળા જોવા મળે છે. અમરેલી જિલ્લાના વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રાજુલા રહેતા વિપુલભાઈ લહેરી કહે છે, ‘નાગેશ્રી અને આસપાસના એરિયામાં નાળિયેરીના બગીચાઓમાં ગીધનો વસવાટ છે. જે ખેડૂતોના નાળિયેરીના બગીચાઓ છે તેઓ નાળિયેરીના પાક પણ ગીધના કારણે લેતા નથી. આર્થિક નુકસાન સહન કરીને નાળિયેર ન ઉતારીને ગીધને બચાવવાનું કામ કરે છે. ખેડૂતોના આ પ્રયાસોને સરકાર અને સંસ્થાઓ મારફત પ્રોત્સાહન મળે તે જરૃરી છે.

‘રાજુલા વિસ્તારમાં ગીધની વસતી જળવાઈ રહી છે તે માટે લોકજાગૃતિ ઉપરાંત આ વિસ્તારમાં સિંહો છે તે પણ એક કારણ છે. સિંહો મારણ કરતા હોય છે એ મારણ પૂરું ખાતા નથી. અધૂરું છોડીને જતા રહે છે પછી એ મારણ પર ગીધ જાય છે અને મારણ સાફ કરી નાખે છે. ગીધને આ વિસ્તારમાં આસાનીથી ખોરાક મળી રહે છે એટલે બચ્યા છે. સફેદ પીઠ ધરાવતાં ગીધ આ પંથકમાં વધુ જોવા મળે છે.’

સ્થાનિક લોકોના કહેવા મુજબ રાજુલાના જાપોદર ગામ નજીક દુર્લભ ગીધની મોટી વસાહત હતી, પણ ધારતવાડી – ર ડેમ અહીં બનતા જાપોદર ગામનો કેટલોક ભાગ ડૂબમાં જતાં ગીધની વસાહતનો નાશ થયો હતો. ગીધનાં ઝુંડ સ્થળાંતરિત થઈને નાગેશ્રી – ડુંગર તરફ જતાં રહ્યાં હતાં. આ વિસ્તારમાં ગીધ સુરક્ષિત છે. સ્થાનિક લોકો ગીધને બચાવવામાં રસ લઈ રહ્યા છે તેને કારણે આ જાતિનું અસ્તિત્વ અહીં ટકી રહ્યું છે.

ગીધદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment