તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રવાસન ક્ષેત્રે ગુજરાત પાછળ કેમ છે?

ટોપ ટેન સ્ટેટમાં ગુજરાત નથી

0 463

ટૂરિઝમ – દેવેન્દ્ર જાની

ખૂશ્બુ ગુજરાત કી..ગુજરાતને દુનિયાના પ્રવાસન મેપ પર મૂકવા માટે વર્ષ ર૦૧૦માં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે એગ્રેસિવ ઍડ કેમ્પેઇન શરૃ કરી હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતના ટૂરિઝમ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને આ ખાસ ઍડ કેમ્પેઇન માટેે ગુજરાતનાં અનેક સ્થળો પર શૂટિંગ કર્યું હતું. બેશક નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચને ગુજરાતના પ્રવાસનને વેગ આપવા ખાસ રસ લીધો. તેના કારણે કચ્છ, સાસણ જેવાં સ્થળોને એક નવી ઓળખ મળી છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ખુશ્બૂ ગુજરાત કી..આવા આઇકોનિક શબ્દોએ લોકો પર પ્રભાવ પાડ્યો હતો. દેશ-વિદેશમાં ગુજરાતના પ્રવાસનને પ્રમોટ કરવા માટેનો આ પ્રયાસ સરાહનીય હતો તેમાં બેમત ન હોઈ શકે. અમિતાભની આ ઝુંબેશ વખતે એવું લાગતંુ હતું કે ગુજરાત હવે દેશના પ્રવાસન ઉદ્યોગમાં એક મોખરાનું સ્થાન મેળવી શકશે, પણ પાંચ –  સાત વર્ષનો સમય પસાર થઈ ગયા પછી ગુજરાતના પ્રવાસન પર નજર કરવામાં આવે તો એવું લાગે છે કે હજુ ઘણુ બધું ખૂટે છે. તામિલનાડુ, કેરળ, હિમાચલ, યુપી, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોએ પ્રવાસનને વેગ આપવા જે પ્રયાસો કર્યા છે તેની સરખામણીમાં ગુજરાત હજુ ઘણુ પાછળ છેે. દુનિયાનું કોઈ પ્રવાસન સ્થળ એવું નહીં હોય કે જ્યાં ગુજરાતીઓનો ભેટો ન થાય, પણ ગુજરાત બહારના પ્રવાસીઓનેે ખેંચવામાં ઊણુ ઊતર્યું છે તેનો સ્વીકાર કરવો પડેે તેમ છે.

ટોપ ટેન સ્ટેટમાં ગુજરાત નથી
ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના માર્કેટ રિસર્ચ ડિવિઝનના તાજા અહેવાલ પર નજર કરવામાં આવે તો વિદેશી પ્રવાસીઓએે ભારતનાં જે રાજ્યોની મુલાકાત લીધી તેવા ટોપ ટેન રાજ્યોમાં ગુજરાતનો ક્યાંય સમાવેશ થતો નથી. વિદેશી પ્રવાસીઓના પસંદગીનાં રાજ્યોમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ટોપ થ્રીમાં સ્થાન પામે છે. પ્રવાસન મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ વર્ષ ર૦૧૬માં ભારતમાં ર૪.૭૧ મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા. તે અગાઉના વર્ષની સરખામણીમાં પ.૯ર ટકા વધારે છે. મતલબ કે ભારતમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. વિદેશી પ્રવાસીઓએ જે રાજ્યોની મુલાકાત લીધી તેવા ટોપ ટેન ફેવરિટ રાજ્યો જોઈએ તો તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બંગાળ, રાજસ્થાન, કેરળ, બિહાર, ગોવા અને પંજાબનો સમાવેશ થાય છે. ભારતમાં આ વર્ષ દરમિયાન જે વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી તેમાં આ ટોપ ટેન સ્ટેટનો હિસ્સો ૮૭ ટકા જેટલો છે.

Related Posts
1 of 319

સ્થાનિક પ્રવાસીઓમાં નવમા નંબરે
ડોમેસ્ટિક ટૂરિસ્ટ્સની વાત કરીએ તો વર્ષ ર૦૧૬માં  જુદાં-જુદાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મળી ૧૬૧૩ મિલિયન પ્રવાસીઓ નોંધાયા હતા. જે અગાઉના વર્ષમાં ૧૪૩૧ મિલિયન હતા. આમ દેશના સ્થાનિક પ્રવાસન ઉદ્યોગમાં ૧ર.૬૮ ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. સ્થાનિક ભારતીય પ્રવાસીઓના પસંદગીના ટોપ ટેન રાજ્યો જોઈએ તો તામિલનાડુ (૩૪૩.૮૧ મિલિયન ) ટોપ પર છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ (ર૧૧.૭૧ મિલિયન), આંધ્રપ્રદેશ (૧પ૩.૧૬ મિલિયન), મધ્યપ્રદેશ (૧પ૦.૪૯ મિલિયન), કર્ણાટક(૧ર૯.૭૬ મિલિયન), મહારાષ્ટ્ર (૧૧૬.પર મિલિયન), તેલંગાણા (૯પ.૧૬ મિલિયન), પશ્ચિમ બંગાળ (૭૪.૪૬ મિલિયન), ગુજરાત (૪ર.રપ મિલિયન) અને રાજસ્થાન (૪૧.પ મિલિયન)નો સમાવેશ થાય છે. ગુજરાત માટે રાહત લઈ શકાય તેવી બાબત એ છે કે રાજસ્થાન કરતા આગળના ક્રમાંકે ગુજરાત આવ્યું છે. તામિલનાડુ, યુપી અને આંધ્રએ તેના ક્રમ જાળવી રાખ્યા છે, પણ મધ્યપ્રદેશ પહેલીવાર ચોથા સ્થાને આવ્યું છે.

વાત કરીએ ગુજરાતની તો ખુશ્બૂ ગુજરાતની કેમ્પેઇનનાં સાતેક વર્ષ બાદ આકલન કરવામાં આવ્યું તો ૧૭ ટકા જેટલો ગ્રોથ જોવા મળ્યો તે સારી બાબત છે. વર્ષ ર૦૧૭માં ગુજરાતમાં તમામ કેટેગરીના મળીને ૪૪ મિલિયન પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જોકે ગુજરાત બિઝનેસ હબ હોવાથી જે ટૂરિસ્ટ આવે છે તેમાંથી પપ ટકા બિઝનેસના હેતુ માટે આવી રહ્યા છે, જ્યારે ધાર્મિક પ્રવાસ માટે ૩૬ ટકાનો રેશિયો છે. ગુજરાતમાં ગયા વર્ષે આશરે ૩ર મિલિયન સ્થાનિક અને અન્ય રાજ્યોમાંથી ૧૧ મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા. એનઆરઆઈ માત્ર ૦.પર મિલિયન અને વિદેશી ૦.૪૧ મિલિયન આવ્યા હતા. ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે હાલ વૅકેશનનો સમય ચાલી રહ્યો છે. પ્રવાસન વિભાગની હોમ સ્ટે યોજનાને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. ગીર – સોમનાથ, દ્વારકા સહિતનાં સ્થળો માટે સ્પેશિયલ ટૂરને પણ સારો આવકાર મળી રહ્યો છે. ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે.

પ્રવાસીઓ અને ટ્રાવેલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોનું સામાન્ય તારણ એવું છે કે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપી શકાય તેવું બધું જ છે. ગુજરાતને સૌથી વધુ ૧૬૬૬ કિ.મી.નો લાંબો દરિયા કિનારો મળ્યો છે. કચ્છમાં અફાટ રણ છે. એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહોનું અભયારણ્ય છે. સોમનાથ, દ્વારકા જેવા મોટા તીર્થ સ્થાનો છે. અંબાજી, પાવાગઢ જેવી બે મોટી શક્તિપીઠ  છે. ચાંપાનેર, ધોળાવીરા જેવી પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતી સાઇટ છે. સાપુતારા જેવું હિલ સ્ટેશન છે. આમ ગુજરાત પાસે વાઇલ્ડ લાઈફ, હેરિટેજ, દરિયાઈ વિસ્તાર, રણ, ધાર્મિક સ્થળો, પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં સ્થળો, પર્વતો બધું જ છે. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પ્રવાસન ઉદ્યોગમાં પાછંુ પડી રહ્યું છે. ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષી શકાય તેવી તમામ શક્યતા હોવા છતાં શું ખૂટે છે? આવો સવાલ જ્યારે કરવામાં આવે ત્યારે બે મોટાં કારણો આપવામાં આવે છે. એક છે પ્રવાસન સ્થળો પર સુવિધાઓનો અભાવ અને બીજું સરકારી સ્તર પર પ્રોફેશનલ એપ્રોચ જોવા મળતો નથી. આયોજનો મોટાં-મોટાં થાય છે, પણ અમલવારી થતી નથી. પ્રવાસન માટે મોટંુ બજેટ ફાળવવામાં આવે છે. નિગમ કાર્યરત છે, પણ અમલદારશાહીને કારણે પ્રવાસીઓને સીધો ફાયદો થાય તેવા પ્રયાસોનો અભાવ જોવા મળે છે. ………
—–.

ગુજરાત પ્રવાસનની વિશેષ માહિતી અને ગુજરાત ટુરિસ્ટ ફિલ્ડમાં પાછળ કેમ રહે છે તેની વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો…

Leave A Reply

Your email address will not be published.

Translate »