તમારા માટે, તમારી સાથે, સતત…

શાંત છોકરી ‘ક્રાંતિકારી’ ભેળી ભળી ગઈ

પ્રીતિએ કોઈ પણ ધિંગાણામાં તે પહેલાં કદી ભાગ લીધો ન હતો

0 270

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

કેટલીય વાર પ્રીતિ મને એના કુટુંબ વિષે કહેતી. એ કુટુંબ સાચેસાચી હિંદી રીત-રસમો પ્રમાણે રહેતું હતું. ઘરમાં બધી ચીજો સ્વદેશી જ વપરાતી. આ સાંભળી મને દિલમાં બહુ ઓછું આવતું હતું, કારણ અમારું કુટુંબ તો તે વખતે વિલાયતી ઢબ પ્રમાણે રહેતું, ‘ને કપડાંથી માંડી બધુંય વિદેશી જ વપરાતું. પણ ભાવિ માટે તે દિવસોમાં અમારા મનમાં કોઈ નક્કર ખ્યાલ નહોતો. કોલ્લક કોલ્લક વાર મહાન વૈજ્ઞાનિકો થવાના અમે વિચારો કરતાં. તો કોલ્લક વાર ઝાંસીની રાણીનો દાખલો જોઈ દેશને ખાતર એવું જીવન જીવી જવાની ભાવના અમને ઉન્મત્ત બનાવી દેતી. અમે તો નીડર ક્રાંતિકારીઓ છીએ, તેવું અમને ઘણી વાર લાગતું. આ બધી ય અચોક્કસ ભાવનાઓ વચ્ચે એક ખ્યાલ ચોક્કસ હતો. અમારે કલકત્તા યુનિવર્સિટીની ‘રામચંદ્ર પ્રેમચંદ શિષ્યવૃત્તિલ્લ જીતવી. કલકત્તા યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ અંગે વિદેશ જવા માટે આ સૌથી મોટી શિષ્યવૃત્તિ હતી.

પ્રીતિ એ પણ કહેતી કે જો મેટ્રિકમાં મને શિષ્યવૃત્તિ નહીં મળે તો મારાથી કલકત્તા ભણવા નહીં અવાય; કલકત્તા યુનિવર્સિટીમાં ભણવા આવતાં ખરચ બહુ વધી જાય. મારું કુટુંબ તો ગરીબ છે. એની આ વાત સાંભળ્યા પછી દરેક વાર શું કરવું તેની અમે ચર્ચા કરવા બેસતાં. કારણ કલકત્તા યુનિવર્સિટી જવાનું પ્રીતિને ખૂબ જ મન હતું. તે વખતે એ યુનિવર્સિટી તો ‘એશિયાનું ગૌરવલ્લ ગણાતી.

આમ તો પ્રીતિ ભણવામાં ખૂબ હોશિયાર હતી, પણ એનું ગણિત કાચું. પરિણામે એણે શિષ્યવૃત્તિ ગુમાવી દીધી ને કલકત્તાને બદલે ઢાકા યુનિવર્સિટીમાં ભણવા જવાની એને ફરજ પડી.

બીજે વરસે હું પણ મેટ્રિક પાસ થઈ અને વધુ અભ્યાસ માટે કલકત્તા આવી. કલકત્તા આવી હું ‘વિદ્યાર્થિની સંઘલ્લમાં જોડાઈ તથા લાઠી અને પટ્ટાબાજીની તાલીમ લેવા માંડી. ઢાકામાં, પ્રીતિ પણ દેશાભિમાની ‘દીપાલી સંઘલ્લમાં જોડાઈ હતી તથા લાઠી અને તલવારબાજીમાં તાલીમ લઈ રહી હતી.

રજાઓ પડી ત્યારે અમે બે તથા બીજી બે છોકરીઓએ ચિતાગોંગના ક્રાંતિકારીઓ સાથે સંપર્ક સાધ્યો. બીજી બે છોકરીઓ પર પ્રીતિને બહુ વિશ્વાસ નહોતો. એ બંને નિશાળમાં પ્રીતિની સાથે હતી. એ કહેતીઃ ‘એ તો પોપચી છે, જરૃર થોડા વખત પછી નાસી જશે.લ્લ જરા જેટલી પણ કાયરતા માટે પ્રીતિના દિલમાં બળબળતો ધિક્કાર જાગી ઊઠતો.

આ અંગે મને એક પ્રસંગ યાદ આવે છે, કેળવણી ખાતાના વડાએ એક તુમાખી પરિપત્ર કાઢેલો. તેનો વિરોધ કરવા ચિતાગોંગની બધી શાળાઓ તથા કૉલેજોના વિદ્યાર્થીઓ હડતાલ પર ઊતરવાના હતા. અમે બંને તે વખતે રજા ગાળવા ચિતાગોંગમાં આવેલાં. ક્રાંતિકારી આંદોલનમાં જોડાયેલ અમે ચારે ય છોકરીઓએ ખસ્તગીર શાળાના દરવાજે પીકેટિંગ કર્યું. શાળાના સત્તાવાળાઓએ અમારા પર મનાઈ ફરમાવી કે અમારે શાળામાં પ્રવેશવું નહીં. પ્રીતિ ને મારા સિવાયની બીજી બે છોકરીઓ આ શાળામાં ભણતી. થોડા વખત પછી પેલી બે છોકરીઓ સામેનો મનાઈ હુકમ દૂર થયો. પ્રીતિ કહેતીઃ ‘એ બંને જણીઓએ માફી માગી લીધી હોવી જોઈએ.’

૧૯૩૨ના મે મહિનામાં પ્રીતિ ધોલઘાટ ગામમાં માસ્ટરદા તથા નિર્મલદાને મળવા ગઈ હતી. સાંજ પડવામાં હતી, સૂરજ ડૂબવામાં હતો. ત્યાં કેપ્ટન કેમરૃનના સિપાહીઓએ ઘરને ઘેરો ઘાલ્યો તથા મશીનગનોથી ગોળીબાર શરૃ કર્યો.

પ્રીતિએ કોઈ પણ ધિંગાણામાં તે પહેલાં કદી ભાગ લીધો ન હતો, પણ બે પાંચ ક્ષણમાં તો મામલો પારખી એણે પણ ગોળીનો જવાબ ગોળીથી જ આપવા માંડ્યો. કેમરૃનને એક ગોળી વાગી ને એ ગોળીએ એના પ્રાણ લીધા. નિર્મલદા ઘાયલ થયા, એ ઘાએ તેમનો પણ પ્રાણ હર્યો. કેમરૃનના સિપાહીઓ પોતાના કેપ્ટનના મોતથી ગોટાળામાં પડ્યા. તરત જ માસ્ટરદાએ હુકમ આપ્યો- ‘નાસો.લ્લ

ગોળીઓની રમઝટ વચ્ચે જરા પણ ડર્યા વિના, જે પ્રીતિ ચાંપ દબાવી રિવોલ્વરના બાર કર્યે જતી હતી, તે જ પ્રીતિનું હૈયું નાસવાનો હુકમ સાંભળતાં નરમ થઈ ગયું. ઘાયલ થયેલા સાથીને છોડી જવા એના પગ ઉપડતા ન હતા.

કેમરૃનને ઠાર કર્યો એ બનાવમાં પોલીસ પ્રીતિને સંડોવી શકી નહીં. નિર્મલદાના ખંડમાંથી એનાં કપડાં મળ્યાં હતાં, પણ પોલીસને એના પર શંકા આવી નહીં. એ પાછી ઘેર આવી ગઈ હતી. એના જેવી શાંત નાનકડી છોકરી આવા ‘ભયંકરલ્લ ક્રાંતિકારીઓ ભેળી સંડોવાઈ હોય, તેવી કલ્પના પોલીસને સ્વપ્ને પણ આવે તેમ નહોતી.

માસ્ટરદાની સૂચના આવીઃ ‘પ્રીતિને શહેરમાં જ કોઈ સલામત સ્થળે રાખો.લ્લ ત્યાર પછી પ્રીતિએ ઘર છોડી દીધું ને તે મારે ત્યાં આવી. પોલીસે એના ઘર પર કડક જાપ્તો રાખવા માંડ્યો. મારા ઘરમાં પણ કડકાઈ વધી ગઈ. એટલે પ્રીતિને પાછું પોતાને ઘેર જ જવું પડ્યું. એણે કહ્યુંઃ ‘કલ્પના, મારી ખાતર તારે પકડાવું પડે તેવું હું ચાહતી નથી. હું ઘેર પાછી જઈશ ને મારી સલામતી માટે બીજો કોઈ બંદોબસ્ત કરીશ.લ્લ

Related Posts
1 of 142

અલબત્ત, એ દરમિયાનમાં માસ્ટરદાએ તો એની સલામતી માટે બંદોબસ્ત કરી પણ રાખ્યો હતો. ને પમી જુલાઈએ ડી.આઈ.બી. ઇન્સ્પેક્ટર વૉરંટ લઈ પ્રીતિને પકડવા એને ઘેર પહોંચ્યો ત્યારે પ્રીતિ ત્યાં નહોતી. ત્યાંથી એ અમારે ઘેર આવ્યો. આવીને એ કહેઃ ‘એ છોકરી એટલી શાંત હતી, ને એવું મીઠું બોલતી કે, એનામાં આટલું પાણી હશે એની મને ખબર જ પડી નહીં. ખરેખર એ છોકરી અમને બનાવી ગઈ.લ્લ

પણ પોલીસને પ્રીતિ કાંઈ જ એક જ વાર બનાવી ગઈ નહોતી. પ્રીતિ કલકત્તામાં હતી ત્યારે રામકૃષ્ણ વિશ્વાસ નામના ક્રાંતિકારી કલકત્તા જેલમાં હતા. રામકૃષ્ણને પાછળથી ફાંસી દેવામાં આવી. આ રામકૃષ્ણની ખોટા નામ ધારણ કરીને પ્રીતિએ થોકબંધ મુલાકાતો લીધેલી. કોઈ એને ઓળખી શક્યું નહીં, કોઈને કલ્પના પણ નહીં આવેલી કે એ કોણ હશે!

રામકૃષ્ણ શસ્ત્રાગાર ધાડ કેસ પછી છૂપાતા ફરતા હતા. ત્યાર પછી ચાંદપુર ખૂન કેસ અંગે તેમને ફાંસીની સજા થઈ હતી. એ વખતે એ કલકત્તા સેન્ટ્રલ જેલમાં હતા. પ્રીતિએ એમની ૪૦ વાર મુલાકાત લીધી હતી!

પ્રીતિ જે હોસ્ટેલમાં રહેતી ત્યાંની સુપરિન્ટેન્ડેન્ટને પણ પ્રીતિની પ્રવૃત્તિ વિશે કશી ખબર નહોતી. આ વાતની ખબર તો રામકૃષ્ણ વિશ્વાસ અંગે પ્રીતિએ ધોલઘાટમાં લખેલ એક લેખ પોલીસના હાથમાં આવ્યો ત્યારે ખબર પડી.

રામકૃષ્ણને ફાંસી થઈ. એ પછી મેદાનમાં ઉતરી ધિંગાણામાં ભાગ લેવા પ્રીતિ તદ્દન અધીરી બની ગઈ હતી. ત્યાર પછી એ માસ્ટરદાના પરિચયમાં આવી. ધોલઘાટમાં એની આંખો સમક્ષ નિર્મલદાના લોહી ઝરતાં શરીરમાંથી પ્રાણ ઊડી ગયો હતો.

પ્રીતિના આપઘાત વિશે માસ્ટરદા કો’ક વાર કહેતાઃ ‘આ બે સાથીઓ પ્રીતિને ખૂબ પ્રિય હતા અને એ બેનાં મોતને કારણે એને આપઘાત કરવાનું દિલ થયું હોય, તે પણ સંભવિત છે.લ્લ અને પછી ઉમેરતાઃ ‘હું આપઘાત કરવાની વિરુદ્ધમાં છું, પણ મને છેલ્લી વાર મળવા આવી ત્યારે એ મારી પાસેથી પોટેશિયમ સાઈનાઈડ કઢાવી ગઈ. પોતે ફસાઈ જાય તો પોટેશિયમ સાઈનાઈડની કેટલી જરૃર છે, એ વિશે એણે એટલી સિફતથી દલીલ કરી. પોટેશિયમ સાઈનાઈડ મેળવવા એ ખૂબ આતુર હતી. મારાથી ના ન પડાઈ ને મેં એને સાઈનાઈડ આપ્યું.લ્લ

પ્રીતિ માત્ર ભણવામાં જ હોશિયાર નહોતી. એ લખતી પણ સરસ. અમે ભોમભીતર હતાં ત્યારે એણે લખેલાં લખાણોમાંથી અવતરણ લઈ લોકો વાપરતાં.

એના પિતા ગરીબ હતા. દીકરીને ભણાવવી પોસાય તેમ નહોતું. છતાં પ્રીતિની તીવ્ર બુદ્ધિને કારણે એમણે પ્રીતિને ભણાવી. એના બાપા પ્રીતિને કહેતાઃ ‘મારી તો બધી આશા તારા પર છે દીકરી.લ્લ પ્રીતિને પણ એના પિતા માટે ખૂબ જ પ્રેમ હતો. જ્યારે એ એના પિતા વિશે વાત કરતી ત્યારે એના મુખ પર તેજ છવાઈ જતું.

પ્રીતિ બી.એ.ની પરીક્ષા આપવાની તૈયારી કરતી હતી ત્યાં એના પિતાની નોકરી ગઈ. ઘરનો ભાર ઉપાડવાનું કામ હવે પ્રીતિ પર આવી પડ્યું. પ્રીતિએ એક હાઈસ્કૂલમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી તથા અમુક છોકરીઓને ખાનગી રીતે ભણાવવા માંડી. આમ એણે માબાપ તથા ચાર નાના ભાંડુઓનું ગુજરાન ચલાવ્યું. જ્યારે એ પોટેશિયમ સાઈનાઈડ પ્રીતિએ ગટગટાવ્યું હશે ત્યારે એને જરૃર ખબર હશે કે, એનું મોત કેટકેટલા લોકોને કારી આઘાતસમું થઈ પડશે! પણ પ્રીતિ તો આપણા દેશના પુત્રી વિહોણાં હજારો અને લાખો મા-બાપની ખોટ પૂરી કરવા મેદાનમાં ઊતરી હતી. પોતાનો જાન દઈ એણે બધાને સદા માટે એક બેટી આપી. એ દેશની દીકરી બની ગઈ.

પ્રીતિનાં મૃત્યુ પછી એના પિતા મગજનું સમતોલપણું લગભગ ગુમાવી બેઠા, પણ એનાં બા અભિમાનથી કહેતાંઃ ‘મારી દીકરીએ દેશને માટે પોતાનો જાન ચડાવ્યો છે.લ્લ પ્રીતિનાં મૃત્યુ પછી ગરીબીએ એના કુટુંબને થોડા વખત માટે ખૂબ પીસ્યું, પણ પછી એનાં બા દાઈનું કામ કરવાનું શીખ્યાં અને માંડ-માંડ ગુજરાન પૂરતો બંદોબસ્ત થયો.

(ક્રમશઃ)

‘ક્રાંતિપથ પર પ્રણયના ફૂલ’ – લે.  વિષ્ણુ પંડ્યા દ્વારા આલેખાયેલ લેખશ્રેણી ‘અભિયાન’માં નિયમિત પ્રકાશિત થાય છે. ભારતની આઝાદીના કાલખંડમાં દેશદાઝની સાથે લડવૈયાઓના પ્રેમકથાઓ પણ રસપ્રદ બની રહી છે. આ કથાઓ નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

———————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »