ઉનાળામાં  ઠંડક આપશે ગુલાબ

ભારતના દેશી ગુલાબથી જ આ બધા ફાયદા થાય છે.

– ભૂમિકા ત્રિવેદી

આમ તો ગુલાબ પ્રેમનું પ્રતીક કહેવાય છે, કેમ કે તે મગજ અને હૃદય બંનેને સ્વસ્થ રાખે છે, પરંતુ આ સિઝનમાં ગુલકંદ, ગુલાબજળ કે રોઝનો અર્ક વાપરવાથી શરીર અને મનને શાંતિ મળે છે અને રોગોથી પણ બચી શકાય છે.

ગરમીની સિઝન એટલે શરબત, ઠંડા પીણાં, આઇસક્રીમ, બરફના ગોળા અને આઇસડિશ ખાવાની સિઝન. ગરમીની સિઝનમાં રોઝ ફ્લેવરના પીણા વધુ શાતા આપે છે. ગુલકંદ નાંખેલું દૂધ કે ગુલાબનું શરબત પીધા પછી ગજબની ઠંડક મળે છે. તરસ છીપાય છે અને શરીરની ગરમી ઓછી થતી હોવાનો અહેસાસ થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ ગુલાબ ઠંડક આપનારું ફૂલ છે. આ ફૂલ માત્ર પ્રેમનું પ્રતીક નથી, હૃદય માટે પણ ગુણકારી છે.

ગુલાબના ગુણ તરફ એક નજર કરીએ તો તે પિત્તને સંતુલિત કરવાનું કામ કરે છે. ઉનાળામાં શરીરનું પિત્ત વધી જતંુ હોય છે. ગરમી અને બફારો વધે ત્યારે શરીરમાં પિત્તદોષ વધે છે. શરીરમાં ગરમી, પાચનક્રિયા અને ચયાપચયની ક્રિયાનું સંચાલન કરવામાં પિત્ત મહત્ત્વનો ભાગ ભજવે છે. ગરમીમાં ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી પાચનાગ્નિ મંદ થતો હોય છે, પરંતુ તેમાં ગુલાબ અપવાદ છે. ગુલાબ ઠંડક આપનારું હોવા છતાં પાચનાગ્નિ પ્રજ્વલિત કરે છે. ગુલાબના લીધે કફ, પિત્ત અને વાત ત્રણેય દોષો સંતુલિત થાય છે.

ગુલાબની સુગંધથી આપણા લાગણીતંત્ર પર પોઝિટિવ અસર થતી હોય છે. જ્યારે નકારાત્મક લાગણીઓનો વેગ વધુ માત્રામાં હોય ત્યારે ગુલાબની સુગંધ હૃદય અને લાગણીઓ બંનેને શાંત કરે છે. ગુલાબ હોર્મોન્સને સંતુલિત કરીને મગજ-શરીર વચ્ચે ક્ષમતા સાધવાનું કામ કરે છે. મોડર્ન મેડિસિને પણ એરોમા થેરેપીમાં ગુલાબની સુગંધને એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ ડિપ્રેસન્ટ, એન્ટિ સેપ્ટિક, બ્લડ પ્યોરિફાઈંગ અને ડાઈજેશન સ્ટિમ્યુલેટિંગ ગણાવી છે.

ગુલાબમાંથી તૈયાર કરેલું પાણી કે તેની પેસ્ટ ત્વચાની ઉપરના લેયરને નેચરલી સાફ કરી પોષણ આપે છે. ગુલાબની પેસ્ટ, ગુલકંદ કે ચૂર્ણ લાંબા સમય સુધી લેવાથી લોહીમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે. ગુલાબનું એસેન્શિયલ ઓઇલ મગજને શાંત કરવાનું કામ કરે છે. જો નેચરલ સ્મેલનો ઉપયોગ કરવામાં આવે તો હળવી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. ગુલાબની પાંદડીઓ લાગણીતંત્રમાં આવતા ચડાવ ઉતારને પણ શાંત કરે છે. રોઝની સુગંધ હકારાત્મક ફિલિંગ્સ પેદા કરે છે. જેના લીધે બ્લડ પ્રેશર અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને ઊગતા જ ડામી શકાય છે.

આટલું ધ્યાન રાખો

*       ભારતના દેશી ગુલાબથી જ આ બધા ફાયદા થાય છે.

*       સ્મેલ સિન્થેટિક નહીં, નેચરલ હોય તે જરૃરી છે. નેચરલ અર્ક વધુ અસરકારક છે.

*       સૂકા ગુલાબનું ચૂર્ણ, પેસ્ટ અને ગુલાબજળ કે અર્ક બને તેટલા ફ્રેશ વાપરવા જોઈએ.

—————–.

ફેમિલી ઝોનભૂમિકા ત્રિહેલ્થ
Comments (0)
Add Comment