તમારા માટે, તમારી સાથે, સતત…

ગ્લેમર જગતમાંથી  ‘કોમ્પ્રો’નો ડાઘ દૂર થશે?

હોલિવૂડમાંથી બોલિવૂડમાં પ્રવેશેલી મી ટુ ચળવળે સમગ્ર ગ્લેમર જગતને ખળભળાવી મૂક્યું

0 208

નરેશ મકવાણા – ગરિમા રાવ

‘મી ટુ’ અભિયાનને કારણે બોલિવૂડનાં તમામ સંગઠનો જાતીય સતામણી વિરુદ્ધ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યાં છે. કલાકારોનાં સંગઠન સિન્ટાએ બે અલગ-અલગ કમિટીઓ રચી છે. આ સિવાય તે કેટલાક જાગૃતિ કાર્યક્રમો પણ યોજશે. જોવાનું એ રહેશે કે સંગઠનો બોલિવૂડ પર લાગેલો કોમ્પ્રોનો ડાઘ દૂર કરવામાં કેટલાં સફળ થાય છે…

હોલિવૂડમાંથી બોલિવૂડમાં પ્રવેશેલી મી ટુ ચળવળે સમગ્ર ગ્લેમર જગતને ખળભળાવી મૂક્યું છે. નાના પાટેકરથી શરૃ થયેલો જાતીય સતામણીના આરોપોનો સિલસિલો આલોકનાથ, સાજિદ ખાન, વિકાસ બહેલ, સુભાષ ઘાઈ, કૈલાસ ખેર અને છેલ્લે અનુ મલિક સુધી પહોંચી ગયો છે. આ મામલાઓ સામે આવતા જ બોલિવૂડ સાવચેત થઈ ગયું છે અને આવા કિસ્સાઓને રોકવા માટે જાતભાતના પ્રયાસો કરી રહ્યું છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ જાતીય સતામણીના બનાવો રોકવા માટે એક કમિટીનું ગઠન કરવાનો નિર્ણય કર્યો છે. તો સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિયેશન (સિન્ટા)એ પણ અનેક જરૃરી પગલાં ભર્યાં છે. તેણે આલોકનાથ અને નાના પાટેકરને કારણદર્શક નોટિસ ફટકારવાની સાથે જાતીય સતામણી માટેની કમિટી બનાવી છે. સિન્ટા મહાસચિવ સુશાંતસિંહ અને અધ્યક્ષ વિક્રમ ગોખલેએ જણાવ્યા પ્રમાણે, સિન્ટાની જાતીય સતામણીની કમિટીમાં રવિના ટંડન, રેણુકા સાહણે, અમોલ ગુપ્તે, પત્રકાર ભારતી દુબે અને પ્રિવેન્શન ઓફ સેક્યુઅલ હેરેસમેન્ટ(પોર્શ)ના વકીલ તથા એક માનસશાસ્ત્રી વગેરે હશે. આ સિવાય સમગ્ર મામલે જાગૃતતા માટે એક સબકમિટી પણ બનાવવામાં આવી છે, જેમાં સ્વરા ભાસ્કર અને વૃંદા ગ્રોવર છે. સિન્ટા ઇચ્છે છે કે, આ કમિટી એટલી મજબૂત હોય કે, જો તેણે કોઈને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો, તો તે વ્યક્તિ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ જાય. જાતીય સતામણી મુદ્દે જાગૃતતા વધે તે માટે આ કમિટી પોસ્ટર તૈયાર કરીને દરેક શૂટિંગ સ્ટુડિયો અને સેટ પર લગાવવાનું પણ આયોજન કરી રહી છે. આ સિવાય સેમિનાર, ઓપન માઈક સેશન અને પબ્લિક સેશન પણ યોજશે.

હાલ સ્થિતિ એ છે કે, ગ્લેમર જગતમાં કાસ્ટિંગ કો-ઓર્ડિનેટરથી લઈને ફિલ્મના એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર વગેરે ખુલ્લેઆમ ‘કોમ્પ્રો’ની વાત કરે છે. સુશાંત સિંહનું કહેવું છે કે, આ મામલે તેમણે પોલીસનું ધ્યાન દોર્યું હતું, પણ તેણે કહ્યું કે કાયદાની ભાષામાં ‘કોમ્પ્રો’નો કોઈ અર્થ નથી. જોકે તેમના કહેવાનો મતલબ એવો હતો કે, જો અંડરવર્લ્ડની ભાષામાં ઘોડો એટલે બંદૂક અને ખોખું એટલે એક કરોડ માનવામાં આવે છે તો આ ભાષાને પણ માન્ય ગણો. અમારે ત્યાં ‘કોમ્પ્રો’નો સીધો મતલબ સેક્યુઅલ ફેવર થાય છે. માટે અમારા સભ્યોની ફરિયાદ સાંભળો અને તેનાં પર પગલાં લો.

છેલ્લે સવાલ ત્યાં જ આવીને અટકે છે કે, ચાલો એક તબક્કે સુશાંતસિંહ કહે છે તે બધી શરતો માની લેવામાં આવે તો પણ ગ્લેમર જગત પર તેની કેટલી અસર થશે? થશે કે નહીં..?
————————————–.

‘વો કૌન થી’માં ઐશ્વર્યા આઉટ, બિપાશા ઈન
૧૯૬૪માં મનોજ કુમાર અને સાધનાની સુપરહિટ ફિલ્મ ‘વો કૌન થી’ની રીમેક બની રહી છે. જેમાં સાધનાના રોલ માટે ઐશ્વર્યા રાય પર પ્રથમ પસંદ ઉતારવામાં આવી હતી. જોકે હવે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે આ ફિલ્મમાંથી એશ આઉટ થઈ છે અને બોલિવૂડની હોરર ગર્લ બિપાશા બાસુ ઇન થઈ છે. પ્રેરણા અરોરા અને સ્ટુડિયો ફાઇવ એલિમેન્ટ સાથે મળીને વો કૌન થીની રીમેકની તૈયારીમાં લાગી ગયા છે. આવતા મહિનાના અંત સુધીમાં ફિલ્મ શરૃ થવાની શક્યતા છે.

Related Posts
1 of 14

જોકે મિસ વર્લ્ડ આ ફિલ્મમાંથી આઉટ થઈ તેની પાછળના કારણનું રહસ્ય ઘૂંટાતું જાય છે. જોકે એશ પતિ અભિષેક સાથે ફિલ્મ ગુલાબ જાબુનનું શૂટિંગ શરૃ કરવાની તૈયારીમાં હતી, પણ ‘મી ટુ’ના કારણે તેના શૂટિંગમાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. વો કોન થી ફિલ્મની સાધનાને બિપાશા કેટલો ન્યાય આપશે તે જોવું રહ્યું.
———————–

અર્જુન કપૂરની નો એન્ટ્રીમાં એન્ટ્રી
‘નો એન્ટ્રી’ બોલિવૂડની હિટ કોમેડી ફિલ્મોમાંની એક છે જેમાં સલમાન ખાન, અનિલ કપૂર અને બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ હિટ થતાં જ ફિલ્મના નિર્દેશકે તેની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું હતું. સાથે આ જ કલાકારોને રિપીટ કરવાનો પણ ખુલાસો કર્યો હતો.

જોકે હવે બોલિવૂડમાં ચર્ચા છે કે સલ્લુમિયાંની જગ્યાએ નો એન્ટ્રી ફિલ્મમાં અર્જુન કપૂર જોવા મળશે. ફિલ્મના નિર્માતા અનિષ બઝમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મની સિક્વલ તો જરૃર બનશે પછી તેમાં સલમાન ખાન હોય કે ન હોય. સલમાન સારો કલાકાર છે. ફિલ્મમાં તે હોય તો દર્શકોને ગમે, પરંતુ જો તે ફિલ્મ નહીં કરી શકે તો પણ ફિલ્મની સિક્વલ અન્ય કલાકારો સાથે બનશે. હવે એવું જ બનવા જઈ રહ્યું છે. ભાઈજાનની જગ્યા અર્જુન કપૂરે લીધી છે. ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જશે. જોવાનું રહ્યું કે અર્જુનની નો એન્ટ્રીમાં એન્ટ્રી કેવી રહે છે.

———————–

શ્રીદેવી ફિલ્મ હિમ્મતવાલાને અનલકી માનતી
બોલિવૂડમાં ‘૮૦ના દશકમાં સફળ ફિલ્મોમાંની એક હતી શ્રીદેવીની હિમ્મતવાલા. જે ફિલ્મે શ્રીદેવીને બોલિવૂડમાં રાતોરાત ઊંચાઈના શિખર પર બેસાડી દીધી હતી. છતાં પણ ૧૯૮૭માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ આ ફિલ્મને અનલકી કહી હતી. શ્રીદેવીએ કહ્યું હતું કે, તમિલ ફિલ્મોમાં લોકો મને નેચરલ એક્ટિંગથી પસંદ કરતા હતા. જ્યારે હિન્દી ફિલ્મોમાં ગ્લેમરસ રોલ માટે પસંદ કરવામાં આવતી, જે મને ઓછંુ ગમતું. મારે લોકોને મારી એક્ટિંગથી આકર્ષવા હતા અને જે હું કરીને રહીશ. આ વાતને શ્રીદેવી પર લખાયેલા એક પુસ્તકમાં રજૂ કરાઈ છે, જે લલિતા ઐયરે લખી છે.

———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »