તમારા માટે, તમારી સાથે, સતત…

હું એ રાષ્ટ્રનો પ્રતિનિધિ છું જેણે તમામ ધર્મોના લોકોને આશ્રય આપ્યો છે

વિશ્વ ધર્મ સંસદના પ્રથમ દિવસનું વર્ણન સ્વામીજીએ કર્યું

0 144
  • કવર સ્ટોરી

વિશ્વ ધર્મ સંસદના પ્રથમ દિવસનું વર્ણન સ્વામીજીએ કર્યું છે એ તેમના જ શબ્દોમાં જોઈએ.

‘મહાસભા શરૃ થવાના દિવસે અમે બધા શિલ્પ પ્રાસાદ (આર્ટ પેલેસ) નામક બંગલામાં એકત્ર થયા. ત્યાં મહાસભાના અધિવેશન માટે એક વિશાળ ખંડ અને અનેક નાના કામચલાઉ ખંડ બનાવાયા છે. અહીં તમામ જાતિના લોકો એકત્ર થયા હતા. બ્રહ્મ સમાજ પ્રતાપચંદ્ર મજુમદાર અને મુંબઈના નાગરકર ભારતથી આવ્યા હતા. વીરચંદ ગાંધી જૈન સમાજના પ્રતિનિધિ તરીકે અને એની બેસન્ટ તેમજ ચક્રવર્તી થિયોસોફીના પ્રતિનિધિ તરીકે આવ્યા હતા. તેમાંથી મજુમદાર સાથે તો મારે પહેલેથી જ પરિચય હતો ચક્રવર્તી મને નામથી જાણતા હતા. શિલ્પ પ્રસાદ સુધી અમને સરઘસાકારે લઈ જવામાં આવ્યા અને અમને બધાને મંચ પર લાઇનબંધ બેસાડી દેવામાં આવ્યા. જરા કલ્પના કરી જુઓ, નીચે એક હૉલ અને ઉપર પ્રકાંડ ગેલેરી, એ ગેલેરીમાં અમેરિકાના સુશિક્ષિત સમાજના પસંદગીના ૬થી ૭ હજાર સ્ત્રી-પુરુષો બેઠાં હતાં અને મંચ પર સંસારના સર્વજાતીય પંડિતોનો સમાવેશ હતો અને હું જેણે જીવનમાં ક્યારેય કોઈ સામાન્ય લોકો સામે પ્રવચન આપ્યું નથી, એ આ મહાસભામાં વ્યાખ્યાન આપવાનો હતો.

‘પ્રાર્થના, સ્વાગત વગેરે ધામધૂમથી સંપન્ન થયું. એ પછી સભા શરૃ થઈ. એક એક પ્રતિનિધિનો પરિચય કરાવાયો. એ લોકોએ થોડું થોડું સંબોધન કર્યું. મારી છાતી ધ્રુજી રહી હતી અને જીભ સુકાઈ ગઈ. હું એટલો બધો ગભરાઈ ગયો કે બપોર પહેલાં વ્યાખ્યાન આપવાની હિંમત ન ચાલી.

‘મજુમદાર સારું બોલ્યા, ચક્રવર્તીએ તો એથી પણ સારું ભાષણ આપ્યું. ખૂબ તાળીઓ પડી. એ બધા પોતપોતાના ભાષણ તૈયાર કરીને લાવ્યા હતા. હું મંદ બુદ્ધિ-મૂર્ખ- મેં કાંઈ તૈયાર કર્યું ન હતું. દેવી સરસ્વતીને પ્રણામ કરી હું આગળ વધ્યો. ડૉક્ટર બારોજે મારો પરિચય આપ્યો. મારા ભગવા વસ્ત્ર જોઈ દર્શકો મારી તરફ પહેલેથી જ થોડા ઘણા આકર્ષિત હતા. અમેરિકાવાસીઓને ધન્યવાદ આપી અન્ય એક-બે વાત કરી મેં નાનકડું પ્રવચન આપ્યું.

Related Posts
1 of 262

જ્યારે મેં અમેરિકાનાં મારાં બહેનો અને ભાઈઓ’ કહીને સભાને સંબોધિત કરી તો બે મિનિટ સુધી એવી તાળીઓ પડી કે કાન બહેર મારી ગયા. એ પછી મેં બોલવાનું શરૃ કર્યું અને જ્યારે મારું બોલવાનું પૂરું થયું ત્યારે મારું હૃદય ભાવાવેશથી ભરાઈ આવ્યું અને પરવશ બની હું એકદમ બેસી ગયો. ખૂબ તાળીઓ પડી. બીજા દિવસે તમામ અખબારોએ કહ્યું કે, એ દિવસે મારું વ્યાખ્યાન જ સૌને સ્પર્શી ગયું. અસ્તુ, એ દિવસે સમસ્ત અમેરિકા મને ઓળખી ગયું. હવે મને સમજાય છે કે, પ્રભુ મારી સાથે છે અને હું એમના આદેશનું અનુસરણ કરવાની કોશિશ કરું છું.

એ ટૂંકું વ્યાખ્યાન આ પ્રમાણે હતુંઃ ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ!’

‘તમે અમારું જે ઉમળકાભર્યું અને હાર્દિક સ્વાગત કર્યું છે તેનો પ્રત્યુત્તર આપવા માટે ઊભા થતાં મારું હૃદય એક અવર્ણનીય આનંદથી ભરાઈ જાય છે. જગતના પ્રાચીનમાં પ્રાચીન સંન્યાસી સંઘને નામે હું તમારો આભાર માનું છું. સર્વધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું અને તમામ વર્ગો અને સંપ્રદાયોના લાખો હિન્દુઓની વતી હું તમારો આભાર માનું છું.

‘આ વ્યાસપીઠ ઉપર બેઠલા કેટલાક વક્તાઓનો પણ હું આભાર માનું છું, કેમ કે પૂર્વમાંથી આવેલા પ્રતિનિધિઓના ઉલ્લેખ કરતા તેઓએ તમને કહ્યું કે દૂરદૂરના દેશોમાંથી આવેલા આ લોકો જુદા-જુદા દેશોમાં સહિષ્ણુતાની ભાવના પહોંચાડવાનું માન મેળવવાનો દાવો સબળ રીતે આગળ ધરી શકે એમ છે. જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું ગૌરવ હું અનુભવી રહ્યો છું. સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં અમે માનીએ છીએ, એટલું જ નહીં, પરંતુ સર્વ ધર્મો સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે.

‘મને એ વાત કહેતાં અભિમાન થાય છે કે યહૂદી લોકોના એક પરમશુદ્ધ અવશિષ્ટ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે જે વર્ષે અત્યાચારી રોમન લોકોએ એમના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાખ્યા, તે જ વર્ષમાં એ વર્ગ દક્ષિણ ભારતમાં આવ્યો અને અમારી વચ્ચે વસ્યો. મને ગર્વ થાય છે કે મારો એક એવા ધર્મમાં જન્મ થયો છે કે જેણે મહાન જરથોસ્તી પ્રજાના અવશેષને આશ્રય આપ્યો છે અને હજી તેઓ સ્વમાન સાથે ત્યાં વસી રહ્યા છે. બંધુઓ! તમારી સમક્ષ હું એક સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું ઉચ્ચારણ કરું છું કે જે સ્તોત્રનું હું છેક બાળપણથી પારાયણ કરતો આવ્યો છું અને ભારતના લાખો મનુષ્યો દરરોજનું એનું પારાયણ કરી રહ્યા છે. ઃ જે પ્રમાણે ભિન્નભિન્ન મૂળમાંથી ઉદ્ભવ પામેલી જુદી જુદી સરિતાઓના પ્રવાહો અંતે એક સાગરમાં એકત્રિત થાય છે, તેવી રીતે હે પ્રભો! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકાચૂંકા ભાસે, છતાં એ બધા તારી પાસે જ પહોંચે છે.

‘અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્યતમ સભાની આ બેઠક, ગીતાએ પ્રબોધેલા પેલા અદ્ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ સ્વતઃ એક સમર્થન-એક ઉચ્ચારણ – બની રહેલ છે કે ‘મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે.’ પંથવાદ,  ધર્માન્ધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન- એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખતે એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતાં અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત, પણ તેમનો સમય હવે ભરાઈ ચૂકયો છે અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.’
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »